- પોલીસ-ડ્રાઈવરના અપમૃત્યુ પાછળ પણ ગાંધીનગર SP રવિ તેજાની સંદિગ્ધ ભૂમિકા
- જૂનાગઢમાં એસપી હતા તે સમયનો કાંડ : હાઈકોર્ટે પણ ભરચક કોર્ટમાં આકરો ઉધડો લીધેલો
- પોલીસ ડિપાર્ટમેન્ટના જ કોઇ કર્મચારી પર આટલો અત્યાચાર એ બહુ ગંભીર બાબત
પોલીસ તંત્રમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતાં પિતા પર કથિત પોલીસ અત્યાચાર અને રહસ્યમય સંજોગોમાં તેમના મોત પ્રકરણમાં જૂનાગઢ પોલીસ દ્વારા કોઇ જ કાર્યવાહી નહી કરવાના પ્રકરણમાં આ બનાવ વખતે ઇન્ચાર્જમાં હતા તે જૂનાગઢ ડીએસપી રવિ તેજા વાસમ શેટ્ટી અને પીઆઇ એમ.એમ.વાઢેર સામે ગુજરાત હાઈકોર્ટે કાર્યવાહી કરવા માટે ગૃહવિભાગને નિર્દેશ આપ્યો હતો. આમ છતા રાજયના ગૃહવિભાગ જૂનાગઢ ડીએસપી રવિ તેજા વાસમ શેટ્ટી અને પીઆઇ એમ.એમ.વાઢેરની સામે તપાસ કરવા માટે કેમ વિલંબ કરી રહ્યાનો ભોગ બનેલા પરિવાર જણાવી રહ્યા છે. આ અંગે ભોગ બનેલા પરિવાર દ્વારા આગામી દિવસોમાં હાઈકોર્ટના દ્વારા ખખડાવવામાં આવે તેવી શકયતા છે.
ઉલ્લેખનીય છે કે, હાઈકોર્ટે આવા સંવેદનશીલ કેસમાં તપાસમાં ગંભીર નિષ્કાળજી દાખવવા બદલ બંને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો ભરચક કોર્ટમાં ઉધડો લઇ નાંખ્યો હતો. એટલું જ નહી, હાઇકોર્ટે સમગ્ર મામલાની બહુ ગંભીર નોંધ લઇ ડીએસપી રવિ તેજા વાસમ શેટ્ટી અને પીઆઇ એમ.એમ.વાઢેર તેમની સત્તાવાર ફરજ નિભાવવામાં સદંતર નિષ્ફ્ળ રહ્યા હોઇ તેમની વિરુદ્ધ કાયદાનુસાર પગલાં લેવા રાજયના ગૃહ વિભાગને હુકમ કર્યો હતો અને હુકમની નકલ ગૃહવિભાગને મોકલી આપવા હુકમ કર્યો હતો.
ડીએસપી રવિ તેજા શેટ્ટીને કહ્યું હતું કે, તમે મરનારના ફોટા જોયા ?
આટલુ જ નહીં હાઈકોર્ટે બંને અધિકારીઓનો ભરચક કોર્ટરૂમમાં રીતસરનો ઉધડો લેતાં હાઇકોર્ટે ડીએસપી રવિ તેજા શેટ્ટીને સીધો જ સવાલો કર્યો હતો કે, તમે માર્ચ મહિનાથી અત્યારસુધી શું કર્યું..? તમે મરનારના ફેટા જોયા..? શું તમારી ફરજ નહોતી તાત્કાલિક ફરિયાદ નોંધવાની…? તમે ત્રણ મહિના સુધી કર્યું શું..? હાઇકોર્ટે પીઆઇને પણ બરોબર ઝાટકયા હતા કે, એફ્આઇઆર દાખલ કરવાની જવાબદારી પોલીસ સ્ટેશનની અન્ડરમાં આવે છે કે નહી…? તો તમે કેમ કંઇ કાર્યવાહી ના કરી..?
કેમ હાઈકોર્ટે ગંભીર નોંધ લેવાની ફરજ પડી
જુનાગઢના તત્કાલીન ડીએસપી રવિ તેજા શેટ્ટીએ ગુનો દાખલ કરવામાં વિલંબ કર્યો હતો.જેની હાઈકોર્ટે ગંભીર નોંધ લેવાની ફરજ પડી હતી. જુનાગઢના હાજર રહેલા પોલીસ અધિકારી દ્વારા હાઈકોર્ટમાં એવો બચાવ રજૂ કરાયો હતો કે, સાહેબ અમે એફ્એસએલ રિપોર્ટ અને વિશેરા રિપોર્ટની રાહ જોઇ રહ્યા છીએ પછી આગળની કાર્યવાહી કરીશું. જેથી હાઈકોર્ટએ પોલીસનો ઉધડો લેતાં જણાવ્યું કે, માર્ચ મહિનાનો બનાવ છે અને તમે છેલ્લા પાંચ મહિનાથી તપાસનું નાટક જ કરી રહ્યા છો? પોલીસ ડિપાર્ટમેન્ટના જ કોઇ કર્મચારી પર આટલો અત્યાચાર એ બહુ ગંભીર બાબત છે. તેમણે આત્મહત્યા કરી કે તેમને તેમ કરવા મજબૂર કરાયા તે અલગ વાત છે પરંતુ તેમના શરીર પર માર માર્યાના જે નિશાન મળ્યા છે તે જોયા તમે? ફેટોગ્રાફ્સ જુઓ જરા..તો ખબર પડે તમને..કંઇ ખબર પડે છે? કેસની કોઇ ગંભીરતા છે કે નહી? પ્રસ્તુત કેસમાં ડીવાયએસપી સામે ગંભીર આક્ષેપો છે.
કેસ શું હતો ?
મોરબીના માળિયા મિયાણા તાલુકાના મેઘપર ગામના વતની એવા એએસઆઈ બ્રિજેશભાઈ ગોવિંદભાઈ લાવડીયા જૂનાગઢ સ્થિત પોલીસ ટ્રેનીંગ સેન્ટરના એમ.ટી.વિભાગમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ ગત તા.20 માર્ચે અચાનક ટ્રેનીંગ સેન્ટરમાં નીકળી ગયા અને ગુમ થતા પરિવાર અને પોલીસની શોધખોળના અંતે બીજા દિવસે તેમની વંથલીના શાપુર પાસે ચીકુના બગીચામાંથી ગળેફંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. જે કેસમાં તેઓને મરી જવા મજબુર કર્યા હોય અને આપઘાત પૂર્વે તેમને ઢોર માર મારવામાં આવ્યો હોય તેવા નિશાનો જોવા મળ્યા છતાં પોલીસે ત્રણ મહિના સુધી કોઈ ગુન્હો દાખલ ના કરતા અંતે બ્રિજેશભાઈના પુત્ર રીતેશે હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.જેમાં હાઇકોર્ટે પોલીસને ફ્ટકાર લગાવ્યા બાદ અંતે રીતેશભાઈ બ્રિજેશભાઈ લાવડીયાની ફરિયાદ પરથી વંથલી પોલીસમાં પીટીસીના ડીવાયએસપી ખુશ્બુ કાપડિયા અને પીએસઆઈ પ્રવિણકુમાર નરેન્દ્રભાઈ ખાચર સામે 12મી ઓગષ્ટના રોજ ગુનો નોધ્યો હતો.