દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઇ અડ્ડા પર શુક્રવારે મોડી રાત્રે ઇરાનથી 290 ભારતીય નાગરીકને લઇને ઓપરેશન સિંધુની ફ્લાઇટ રાજધાની આવી પહોંચી છે. વિમાનમાંથી ઉતરતાની સાથે જ હિન્દુસ્તાન ઝિંદાબાદના અને ભારત માતા કી જયના નારા લાગ્યા હતા. આ નજારો જોવા જેવો હતો. લોકો દેશભક્તિ જોઇને ભાવુક થઇ ગયા હતા. એક-બીજાને ગળે લગાવી ખુશી વ્યક્ત કરી રહ્યા હતા.
ઈરાને પોતાના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવાની મંજૂરી આપીને આ મિશન શક્ય બનાવ્યું
ઈરાનથી ભારત પરત ફરેલા મોટાભાગના વિદ્યાર્થીઓ જમ્મુ અને કાશ્મીરના હતા. કેટલાક વિદ્યાર્થીઓ દિલ્હી, હરિયાણા, કર્ણાટક અને પશ્ચિમ બંગાળના પણ છે. પરત ફરનારાઓમાં મોટાભાગના એવા છે જે ઈરાન યાત્રા પર ગયા હતા જ્યારે ઘણા વિદ્યાર્થીઓ ત્યાં તબીબી અભ્યાસ કરી રહ્યા હતા.
290 માંથી 190 ભારતીયો જમ્મુ અને કાશ્મીરના છે
તેહરાન યુનિવર્સિટી ઓફ મેડિકલ સાયન્સમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ કહ્યું, ‘આ યાત્રા સંઘર્ષોથી ભરેલી હતી, પરંતુ ભારતીય દૂતાવાસ અને ભારત સરકારની મદદથી અમે સુરક્ષિત રીતે ઘરે પરત ફરી શક્યા. અમારા માતા-પિતા ખૂબ ચિંતિત હતા.’
ભારત સરકારે ‘ઓપરેશન સિંધુ’ શરૂ કર્યું
ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, ભારત સરકારે ‘ઓપરેશન સિંધુ’ શરૂ કર્યું હતું જેથી ઈરાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે પાછા લાવી શકાય. અગાઉ ગુરુવારે પણ 110 ભારતીય વિદ્યાર્થીઓને આર્મેનિયા અને દોહા થઈને ભારત લાવવામાં આવ્યા હતા.
વિદેશ મંત્રાલયમાં પાસપોર્ટ, વિઝા અને કોન્સ્યુલર બાબતોના સચિવ અરુણ કુમાર ચેટર્જીએ જણાવ્યું હતું કે, ‘આજે ઈરાનથી ભારત પહોંચેલા 290 નાગરિકોમાંથી 190 જમ્મુ અને કાશ્મીરના છે. ઈરાને પોતાના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવાની મંજૂરી આપીને આ મિશન શક્ય બનાવ્યું.
‘ઓપરેશન સિંધુ’ હેઠળ 1000 ભારતીય નાગરિકો ઘરે પરત ફરશે.
જમ્મુ અને કાશ્મીર સ્ટુડન્ટ્સ એસોસિએશને પણ ભારત સરકાર, વિદેશ મંત્રાલય અને તમામ સંબંધિત એજન્સીઓનો આભાર માન્યો છે. એસોસિએશનનું કહેવું છે કે આ તે પરિવારો માટે મોટી રાહત છે જેઓ લાંબા સમયથી તેમના બાળકોના સુરક્ષિત પરત ફરવા માટે ચિંતિત હતા.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આજે વધુ બે ફ્લાઇટ્સ ભારત પહોંચશે, જેમાંથી એક તુર્કમેનિસ્તાનના અશ્ગાબાતથી હશે. સમગ્ર ‘ઓપરેશન સિંધુ’ હેઠળ, લગભગ 1,000 ભારતીય નાગરિકોને ઘરે પાછા લાવવામાં આવી રહ્યા છે.