પુતિને કહ્યું કે, રશિયા ભારત અને ચીન વચ્ચેના સરહદી વિવાદમાં દખલ કરશે નહીં. તેમણે બંને દેશોને “નજીકના મિત્રો” ગણાવ્યા છે.
સંબધોમાં મજબૂતી અને સંતુલન જરુરીઃ પુતિન
રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને પૂછવામાં આવ્યું કે સરહદી મુદ્દાઓ પર બંને દેશો વચ્ચે સતત તણાવ હોવા છતાં, રશિયા બે મુખ્ય એશિયન શક્તિઓ, ભારત અને ચીન સાથે તેના સંબંધોને કેવી રીતે સંતુલિત કરે છે. આ પ્રશ્નના જવાબમાં, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જણાવ્યું કે, મોસ્કો ભારત અને ચીન વચ્ચેના મામલાઓમાં દખલ કરશે નહીં. તેમણે બંને દેશોને અમારા સૌથી નજીકના મિત્રો ગણાવ્યા અને ભાર મૂક્યો કે આ તણાવને ઉકેલવાની જવાબદારી નવી દિલ્હી અને બેઇજિંગના નેતૃત્વની છે.
રશિયા કેવી રીતે સંતુલન જાળવી રાખે છે?
રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું કે રશિયા બંને દેશો સાથેની તેની ભાગીદારીને મહત્વ આપે છે, પરંતુ એ પણ સ્પષ્ટ કર્યું કે રશિયા સમજે છે કે ભારત અને ચીન વચ્ચેના કોઈપણ મતભેદો સંપૂર્ણપણે દ્વિપક્ષીય બાબત છે અને તેમને ઉકેલવા જોઈએ. પુતિને કહ્યું, ભારત અને ચીન અમારા સૌથી નજીકના મિત્રો છે. અમે આ સંબંધને ખૂબ મહત્વ આપીએ છીએ, અને હું માનતો નથી કે અમને તમારા દ્વિપક્ષીય સંબંધોમાં દખલ કરવાનો કોઈ અધિકાર છે. પુતિને એ પણ સ્પષ્ટ કર્યું કે વડા પ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બંને તણાવ ઘટાડવા માટે પ્રતિબદ્ધ છે.
પીએમ મોદી અને જિનપિંગ વિશે પ્રતિક્રિયા
પુતિને કહ્યું હતુ કે, હું જાણું છું કે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ બધા મુદ્દાઓ, સૌથી જટિલ મુદ્દાઓના ઉકેલ શોધવા માટે પ્રતિબદ્ધ છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પુતિન પીએમ મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ 2025 SCO સમિટ દરમિયાન અનેક પ્રસંગોએ અનૌપચારિક રીતે વાતચીત કરતા જોવા મળ્યા હતા.


