આજે અમદાવાદ અને ગાંધીનગરની અનેક સ્કૂલોમાં ફરીવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. અમદાવાદ અને ગાંધીનગરની 19 સ્કૂલોને આ પ્રકારની ધમકી મળતાં સ્કૂલ સંચાલકોએ તરત જ વિદ્યાર્થીઓની સલામતી માટે મહત્વપૂર્ણ નિર્ણય લઈને બાળકોને શાળામાંથી રજા આપી દીધી હતી. બોમ્બની ધમકીના પગલે વાલીઓમાં પણ ભય ફેલાયો હતો. દરેક વાલી પોતાના બાળકને લેવા માટે સ્કૂલમાં પહોંચી ગયા હતાં. અમદાવાદમાં વસ્ત્રાપુરની કેન્દ્રીય વિદ્યાલય દ્વારા બાળકોને નહીં છોડાતા વાલીઓમાં રોષ ફેલાયો હતો.
બાળકોને સ્કૂલમાંથી નહીં છોડતા વાલીઓમાં રોષ ફેલાયો
અમદાવાદની જે સ્કૂલોને બોમ્બની ધમકી મળી હતી તે સ્કૂલોએ સલામતીના ધોરણે બાળકોને સ્કૂલોમાંથી તાત્કાલિક છોડી દેવાનો નિર્ણય લીધો હતો. બીજી તરફ શહેરના વસ્ત્રાપુરમાં સ્થિત કેન્દ્રીય વિદ્યાલય દ્વારા બાળકોને સ્કૂલમાંથી નહીં છોડતા વાલીઓમાં રોષ ફેલાયો હતો. સ્કૂલમાં બાળકોને લેવા માટે ગયેલા કેટલાક વાલીઓને બાળકોને આપવામાં આવ્યા હતાં. ત્યાર બાદ સ્કૂલના પ્રિન્સિપાલે સ્કૂલ છૂટ્યા બાદ જ બાળકોને લઈ જવા માટે વાલીઓને કહ્યું હતું. જેથી ગભરાઈને દોડી આવેલા વાલીઓમાં ગણગણાટ શરૂ થયો હતો કે, ભલે આ સ્કૂલને ધમકી નથી મળી પણ કંઈક અજૂગતુ થાય તો જવાબદારી કોની? અન્ય સ્કૂલો દ્વારા બાળકોને છોડી દેવાયા તો કેન્દ્રીય વિદ્યાલય દ્વારા કેમ બાળકોને છોડવામાં નથી આવ્યા. કંઈ પણ થાય તો જવાબદારી સ્કૂલની રહેશે?
સ્કૂલોએ તાત્કાલિક નિર્ણય લઈ લીધો હતો
જે સ્કૂલોને ધમકી મળી હતી તે સ્કૂલોએ તાત્કાલિક નિર્ણય લઈ લીધો હતો. પરંતુ કેન્દ્રીય વિદ્યાલય સરકારી સ્કૂલ હોવાથી કોઈ નિર્ણય લેવાયો નહોતો. ગભરાયેલા વાલીઓ સ્કૂલની બહાર ઉભા રહીને પોતાના બાળકને લેવા માટે આજીજી કરી રહ્યા હતાં. પરંતુ સ્કૂલના પ્રિન્સિપાલે તેમને કહ્યું હતું કે, અહીં એવું કશું થવાનું નથી જેથી તમે ગભરાશો નહીં. સ્કૂલમાં કોઈ અજાણ્યો શખ્સ આવી જશે તો સ્કૂલનો ગાર્ડ પણ તેને વાલી સમજીને પ્રવેશ આપી દેશે. જેથી સ્કૂલ છૂટે પછી જ તમારા બાળકોને અહીંથી લઈ જાઓ. પરંતુ વાલીઓ ડરના માર્યા સ્કૂલની બહાર જ બેસી રહ્યા હતાં. સ્કૂલની આ બેદરકારીને લઈને અનેક સવાલો ઉભા થયાં છે.


