સુરેન્દ્રનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો માટે જીવાદોરી સમાન ગણાતા દૂધરેજ કેનાલ પરના પુલનું આખરે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. છેલ્લા ચાર મહિનાથી સમારકામ અને અન્ય ટેકનિકલ કારણોસર બંધ રહેલા આ પુલને કારણે વાહનચાલકો અને સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા હતા, જેનો હવે સુખદ અંત આવ્યો છે.
સંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ
આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું લોકાર્પણ ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડવાળા મંદિરના સંતો-મહંતો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને શાસ્ત્રોક્ત વિધિ દ્વારા પુલને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. અનેક અવરોધો અને વિલંબ બાદ આખરે આ પ્રોજેક્ટ પૂર્ણ થતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે.
કચ્છ અને હળવદના માર્ગો પરની કનેક્ટિવિટી વધશે
આ પુલ સુરેન્દ્રનગરને સીધું જ કચ્છ, ધ્રાંગધ્રા અને પાટડી સાથે જોડે છે. નેશનલ હાઈવે પર આવેલો આ પુલ વ્યાપારિક અને પરિવહન માટે અત્યંત મહત્વનો છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને હવે શહેર સુધી પહોંચવા માટે લાંબો ફેરો નહીં કરવો પડે. અગાઉ પુલ બંધ હોવાથી ડાયવર્ઝનને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હતી, જે હવે હળવી થશે.
કચ્છ અને ધ્રાંગધ્રા તરફ જતા ભારે વાહનો અને રોજિંદા મુસાફરો માટે સમય અને ઈંધણ બંનેની બચત થશે. સ્થાનિક રહીશોએ પણ આ પુલ શરૂ થવા બદલ આનંદ વ્યક્ત કર્યો છે. ખાસ કરીને ચોમાસા અને તહેવારો દરમિયાન મુશ્કેલી વેઠ્યા બાદ, હવે સુરેન્દ્રનગરની આ મહત્વની કડી ફરી ધબકતી થઈ છે.
શટલ ભાડામાં ઘટાડો થાય તેવી શક્યતા
ઉલ્લેખનીય છે કે, આ પુલ ચાલુ ન હોવાથી લોકોને દુધરેજ કેનાલ ફરીને જવાની ફરજ પડતી હતી, જે રસ્તો અત્યંત જર્જરિત હતો. જે કારણે લોકોને ભારે હાલાકીનો સમાનો કરવા પડી રહ્યો હતો. આ પુલ બંધ હોવાના કારણે આસપાસના ગામમાં આવવા જવા માટેના શટલ ભાડામાં પણ વધારો નોંધાયો હતો. પુલ બનતા હવે વધેલા શટલ ભાડામાં ઘટાડો થાય તેવી શક્યતા છે.
આ પણ વાંચો – Rajkot News: ભાવનગર રોડ પર કારમાં આગ લાગી, અચાનક કારમાં આગ લાગતાં રોડ પર નાસભાગ


