તળાજાના DYSP નકુમને મહુવાનો ચાર્જ સોંપાયો
અગ્ર ગુજરાત, મહુવા
બગદાણાના કોળી સમાજના યુવાન નવનીત બાલધિયા ઉપર થયેલા હુમલાના પગલે આઇજી ગૌતમ પરમાર દ્વારા સીટની રચના કર્યા બાદ ત્વરિત નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં મહુવાના ઇન્ચાર્જ DYSP રિમાબા ઝાલા પાસેથી ચાર્જ પરત લઈ લેવામાં આવ્યો છે. જ્યારે તેના સ્થાને તળાજાના DYSP એમ.બી નકુમને મહુવા DYSP તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
Dyspનો ચાર્જ રિમાબા ઝાલા પાસેથી પરત લેવાયો બગદાણાના નવનીત બાલધીયા પર થયેલા હુમલા મામલે તા. 1 જાન્યુઆરીએ ભાવનગર જિલ્લા પોલીસવડા દ્વારા બગદાણાના પીઆઈ ડાંગરની બદલી કરી લીવ રિઝર્વમાં બદલી કરવામાં આવી હતી. જ્યારે ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારે સમગ્ર મામલે સીટની રચના કરી દીધી છે. ત્યારે ધારી ડિવીઝનના ASP જયવીર ગઢવીની અધ્યક્ષતામાં તપાસ હાથ ધરવામાં આવશે.
જિલ્લા પોલીસવડા દ્વારા ભાવનગરના SC.ST સેલના મહિલા DYSP રીમાબા ઝાલા મહુવા ડિવાયએસપીના ચાર્જમાં હતા. પરંતુ તેમને પણ મહુવા ડિવીઝનના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. ત્યારે તે ચાર્જ તળાજાના નવનિયુક્ત Dysp એમ.બી.નકુમને સોંપવામાં આવ્યો છે. ત્યારે એકાએક ચાર્જમાં ફરજ બજાવતા રિમાબા ઝાલાને દૂર કરવામાં આવતા ભાવનગર પોલીસબેડામાં ચર્ચાનો વિષય બન્યો હતો.
બગદાણાના નવનીત બાલધિયા નામના કોળી યુવક પર આઠ શખસો દ્વારા 29 ડિસેમ્બર, 2025ના રાત્રિના કરાયેલા હુમલાના ઘેરા પડઘા પડ્યા છે. નવનીત બાલધિયાએ પોતાના પર થયેલા હુમલા પાછળ લોકસાહિત્યકાર માયા આહીરના પુત્ર જયરાજ આહીરનું ષડયંત્ર હોવાનો આક્ષેપ કર્યો છે. આ સાથે જ પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠાવ્યા હતા. જોકે, આ મામલે તપાસ કરવા SITની રચના કરવામાં આવી છે.
હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા નવનીત બાલધિયાના 1 જાન્યુઆરી, 2026ના રોજ ખબર અંતર પૂછવા ગયેલા રાજુલાના ધારાસભ્યએ આ મામલે સોમવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને હર્ષ સંઘવીને મળી રજૂઆત કરવાનો નિર્ણય કર્યો હતો. 5 જાન્યુઆરી સવારે કોળી સમાજના ધારાસભ્યો અને સાંસદ સભ્ય ગાંધીનગર પરસોત્તમ સોલંકીના નિવાસસ્થાને આવી પહોંચ્યા બાદ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી આ કેસની ન્યાયિક તપાસ કરવાની માગ કરી હતી.


