સપ્ત સંગીત : પં.વિશ્વ મોહનજીની મોહન વીણાએ શ્રોતાઓને કર્યા મંત્રમુગ્ધ
ડો.ભાવિક માંકડની ગાયકીએ સંગીત રસીકોને ડોલાવ્યા
અગ્ર ગુજરાત, રાજકોટ
સપ્તસંગીતિના છઠ્ઠા દિવસે ભારતીય શાસ્ત્રીય વીણાના તત્ત્વો અને ગિટારની અભિવ્યક્તિનું સુમેળભર્યું સંયોજન ધરાવતી પંડિત વિશ્વમોહન ભટ્ટની મોહન વીણામાંથી નીકળતા સુરોમાં પરંપરાની ગંભીરતા સાથે સંશોધનનો નવીન સ્પર્શ અનુભવાયો. જ્યારે બીજી તરફ રાજકોટના કલાકાર ડો. ભાવિક માંકડના શાસ્ત્રીય ગાયનને શ્રોતાઓની વાહવાહી પ્રાપ્ત થઈ હતી. પરંપરા, અભ્યાસ અને કલાત્મક સંવેદનાના આ બે અલગ છતાં એકસૂત્રે બંધાયેલા કાર્યક્રમોએ સંગીતરસિકોને અવિસ્મરણીય સંગીતાનુભૂતિ આપી હતી. કાર્યક્રમની શરુઆત છઠ્ઠા દિવસના પેટ્રન ઓરબિટ બેરિંગ્સ ઇન્ડિયા પ્રા. લિ. ના શ્રી વિનેશભાઈ પટેલ અને પરિવારના હસ્તે દિપ પ્રાગટયથી કરવામાં આવી હતી.
કાર્યક્રમના પ્રથમ ચરણની શરુઆત ડો. ભાવિક માંકડે પ્રથમ રાગ કામોદમાં વિલંબિત ઝુમરા તાલમાં માતી માલનીયા બંદીશ રજૂ કરી હતી, જ્યારે દ્રુત એકતાલમાં લાગી રે મોરી નઇ લગન ખુબ સુંદર રીતે પ્રસ્તુત કરી હતી. બીજી પેશકશમાં રાગ પરજ કાલિંગડા માં મધ્યલય તીનતાલમાં બાલમ હે પ્રસ્તુત કરી હતી જે શ્રોતાઓ એ તાલીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. તેમની ગાયકીમાં પરંપરાગત તાલીમ, શાસ્ત્રીય શિસ્ત અને ભાવસભર અભિવ્યક્તિનું સુમેળ સ્પષ્ટપણે ઝલકતું હતું. તેમની રજૂઆતમાં રાગના આલાપથી લઈને વિસ્તૃત બંદિશ અને તાનના સંયમિત પ્રયોગથી તેમની એક પરિપક્વ કલાકારની ઓળખ અનુભવી શકાતી હતી.
બીજા ચરણમાં વિશ્વ મોહન ભટ્ટ જેવા વિરલ સંગીત સાધકની મોહન વીણા સાથેનું સંગીત સ્વયંમાં જ એક ઐતિહાસિક અનુભૂતિ બની રહે છે. આ સંગીત સંધ્યાની શરૂઆત પંડિતજીના પ્રિય રાગ શ્યામ કલ્યાણ આલાપ – જોડ -જાલા સાથે વિલંબત તાલ તીનતાલમાં થઈ હતી. તેમની પ્રસ્તુતિમાં એક જ સ્ટ્રોક માં મંદ્ર, મધ્ય અને તાર એમ ત્રણેય સપ્તક ના સૂરોને વણીને અનોખી અને નાવીન્યસભર પ્રસ્તુતિ કરી હતી. જ્યાં મોહન વીણાના ઘન, ગંભીર અને ઝંકારભર્યો નાદ શ્રોતાઓને રાગમય લોકની અનુભુતી કરાવતો હતો.
ત્યારબાદ ફરમાઈશ ઉપર રાગ બસંત ઉપર આધારીત ફગવા બ્રીજ દેખન બંદીશ મોહન વિણામાં કોયલની કુહ સાથે સંભળાવી. જે ધૂનની રચના થકી પંડિતજીને ગ્રેમી એવોર્ડ પ્રાપ્ત થયો છે તે મિટીંગ બાય ધ રીવર ધૂન સંભળાવી સૌને અભિભૂત કરી દીધા હતા. સભાના અંતે રાગ દેશમાં વંદે માતરમ અને સભાનું સમાપન મોહન વિણાના તાર ઉપર રાષ્ટ્રગીત પરોવીને કર્યું હતું.
યશવંત વૈષ્ણવ યુવા પેઢીમાં આજના સમયમાં ખૂબ પ્રચલિત અને લોકપ્રિય વાદકોમાંના એક કલાકાર છે. તેઓ પંડિત યોગેશ શમશીજીના વરિષ્ઠ શિષ્ય છે. તેમણે પંડિત મુકુંદ ભાલેજી પાસે પણ તબલા ની તાલીમ લીધી છે. તેમણે પંડિત અજય ચક્રવર્તીજી, સુશ્રી. કૌશિકી ચક્રવર્તીજી જેવા અનેક ગુણી કલાકારો સાથે તબલા સંગત કરી છે. આ ઉપરાંત અનેક વાદ્ય કલાકારો સાથે પણ તબલા સંગત કરી છે. તેઓ સ્વતંત્ર તબલા વાદનના અનેક કાર્યક્રમો દેશ વિદેશમાં આપી રહ્યા છે. કલ્પતરુ ઠાકરે (હાર્મોનિયમ): કલ્પતરુ ઠાકરે કોબીઓ અભી ના કલાકાર છે. તેઓ હાલમાં શ્રી મિલિંદ કુલકર્ણી પાસે તાલીમ લઈ રહ્યા છે. તેમજ અનેક સંમેલનમાં પોતાની પ્રતિભા પ્રદર્શિત કરી છે.
પટિયાલા ઘરાનાની સુ.શ્રિ.કૌશિકી ચક્રવર્તી એ આજના સમયની ખુબ જ પ્રખ્યાત શાસ્ત્રીય કંઠય સંગીત ની દુનિયામાં નામના ધરાવતુ વ્યક્તિત્વ છે. તેઓ શાસ્ત્રીય સંગીતમાં મુઠી ઉંચેરુ સ્થાન ધરાવતા શ્રી અજય ચક્રવર્તેના પુત્રી છે. સુ.શ્રિ.કૌશિકી એ પતિયાલા ઘરાનામાં તાલિમ પામેલા અને ખયાલ તથા ઠુમરી ગાયકી માં સારુ પ્રભુત્વ ધરાવે છે. તેમનુ ઘડતર જ સંગીત રિસર્ચ એકેડમીમાં થયુ કે જ્યા તેમના પિતા એક શિક્ષક હતા. કૌશિકીજીને અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો દ્વારા સન્માન પ્રાપ્ત થયેલ છે.


