11મીએ મોદી વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનું ઉદઘાટન કરશે
55 એકરમાં 6 એક્ઝિબિશન સહિત 7 હોલ તૈયાર, 350 વિદેશી ડેલિગેટ્સ સહિત 5000થી વધુ ઉદ્યોગપતિ હાજર રહેશે
વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ સમિટનું ઉદ્ઘાટન આગામી તારીખ 11 જાન્યુઆરીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવનાર છે ત્યારે આ વાઇબ્રન્ટ સમિટને લઇ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. રાજકોટ મોરબી હાઇવે પર આવેલ મારવાડી યુનિવર્સીટી ખાતે 55 એકર જેટલી વિશાળ જગ્યામાં 6 એક્ઝિબિશન ડોમ અને 1 મુખ્ય ઇનોગ્રલ હોલ તૈયાર કરવામાં આવ્યો છે કે જ્યાંથી પ્રધાનમંત્રી સૌરાષ્ટ્ર કચ્છ રિજનલ વાઇબ્રન્ટ સમિટને ખુલ્લો મૂકી ઉદ્યોગકારોને સંબોધન કરશે. આ સમિટમાં 350 જેટલા વિદેશી ડેલિગેટ સહિત કુલ 5000થી વધુ ઉદ્યોગકારો ભાગ લેવાના છે.
11મીએ PM મોદી વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનું ઉદઘાટન કરશે આગામી તારીખ 11 જાન્યુઆરીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે.સોમનાથી પીએમ મોદી હેલિકોપ્ટર મારફત બેડી માર્કેટીંગ યાર્ડમાં બનાવાયેલા હેલીપેડ પર આવી પહોંચશે. ત્યાંથી સીધા મારવાડી યુનિવર્સિટી પહોંચશે. પીએમના હસ્તે રિજનલ સમિટનું ઉદઘાટન કરવામાં આવશે.
મારવાડી યુનિવર્સિટી ખાતે 55 એકર વિશાળ જગ્યામાં ખાસ એક્ઝિબિશન માટે 26,400 સ્કવેર મીટરમાં 6 ડોમ કે જેમાં સૌરાષ્ટ્ર કચ્છ ઉપરાંત દેશભરમાંથી ઉદ્યોગકારો ભાગ લઇ પોતાની પ્રોડક્ટ એક્ઝિબિશનમાં રાખશે અને તેની અંદર સ્પેશિયલ MSME હેન્ડલુમ અને હેન્ડીક્રાફ્ટ માટે ખાસ 4400 સ્કેવર મીટર જગ્યા ફાળવવામાં આવી છે. આ ઉપરાંત એક કોન્ફોરન્સ હોલ પણ ખાસ તૈયાર કરવામાં આવ્યો છે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિદેશી ડેલિગેટ્સ અને ગુજરાત તેમજ ભારતભરના ઉદ્યોગકારોને સંબોધન કરશે. અહિયાંથી લાખો કરોડોની કિંમતના MOU થવાનો પણ અંદાજ છે અને આ જ હોલમાં બે દિવસ સુધી કોન્ફોરન્સ, સેમિનાર, કોન્ક્લેવ, અને વક્તાઓના પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું છે.
સમિટમાં 22થી વધુ દેશના 350 જેટલા વિદેશી ડેલિગેટ્સ આવશે રાજકોટ મારવાડી યુનિવર્સીટી ખાતે છેલ્લા દોઢ મહિનાથી આ વાઇબ્રન્ટ સમિટને લઇ તૈયારીઓ ચાલી રહી છે અને હવે આ તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ઓલમોસ્ટ 90% જેટલી કામગીરી પૂર્ણ થઇ ગઈ છે અને હવે PMO તેમજ ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત કરી બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ વાઇબ્રન્ટ સમિટમાં 22થી વધુ દેશોના 350 જેટલા વિદેશી ડેલિગેટ્સ આવવાના છે તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ, ગુજરાત અને દેશભરમાંથી મળી 5000થી વધુ ઉદ્યોગકારો આ સમિટમાં ભાગ લેવા માટે આવનાર છે.તેઓના સ્વાગતથી લઈ, ભોજન, પાર્કિંગ સહિતની વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. 55 એકર જગ્યામાં વિશાળ ડોમમાં સુવિધા ઉભી કરવામાં આવી મારવાડી યુનિવર્સિટીની 55 એકર જગ્યામાં કુલ 6 એક્ઝિબિશન હોલ તૈયાર કરવામાં આવ્યા છે જયારે કે જમણી તરફ વિશાળ પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. એ જ રીતે મેઈન બિલ્ડિંગની બાજુમાં મુખ્ય ઇનોગ્રેશન હોલ તૈયાર કરવામાં આવ્યો છે. જયારે જમવા માટે બે અલગ અલગ જગ્યા પર ડાઇનિંગ જગ્યા ઉપલબ્ધ કરાવવામાં આવી છે જેમાં એક સિલ્વર ડાઇનિંગ કે જે મેઈન બિલ્ડિંગની પાછળ F ટાવરની બાજુમાં અને ગોલ્ડ ડાઇનિંગ વ્યવસ્થા ટાગોર ટાવરની બાજુમાં મેઈન બિલ્ડિંગની સામે કરવામાં આવી છે. આ ઉપર મેઈન બિલ્ડીંગ પાછળ એક ફૂડ સ્ટોલ પણ રાખવામાં આવેલ છે. અલગ અલગ વિષયો પર સેમિનાર યોજાશે તારીખ 11 જાન્યુઆરીના રોજ વાઇબ્રન્ટ ગુજરાતની મુખ્ય ઉદઘાટન સેરેમની ઉપરાંત બ્લુ એનર્જી, ગ્રીન ફ્યુચર, ગ્રીન સ્ટાર્ટઅપ, ઓઇલ એન્ડ ગેસ, શિપબિલ્ડીંગ, વુમન એમ્પાવર, એમ્પાવર ગુજરાત કોન્ફોરન્સ સેમિનાર કોન્ક્લેવ થવાના છે જયારે અંતમાં કલચરલ પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એ જ રીતે બીજા દિવસે 12 જાન્યુઆરીના રોજ ટુરિઝમ, બ્લુ ઈકોનોમી, સીરામીક કોન્ક્લેવ, ગિફ્ટ સીટી ઑપર્ચ્યૂનિટિ, માઇનિંગ રિવોલ્યુશન, MSME કોન્ક્લેવ, સ્ટાર્ટઅપ સેમિનાર, ડિફેન્સ, બાંધણી-પટોળાની અંદર ગ્લોબલ ઑપર્ચ્યૂનિટિ, આયાત નિકાસ સેમિનાર વગેરે આયોજન કરવામાં આવ્યું છે. PM મોદી હાજર રહેવાના હોય પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન અને બે દિવસ ચાલનાર વાઈબ્રન્ટ સમિટના આયોજનમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં રાજકોટ રેન્જ આઈજી અને બોર્ડર રેન્જ આઈજીના માર્ગદર્શન હેઠળ 11 ડીસીપી 30 એસીપી, 90 પીઆઈ, 235 પીએસઆઈ, 2560 પોલીસમેન અને સાથે હોમગાર્ડ, ટીઆરબીના જવાનો પણ સુરક્ષામાં ખડેપગે રહેશે. ઉપરાંત એસઆરપીની 3 કંપનીના 210 જવાનો પણ સુરક્ષા વ્યવસ્થામાં જોડાશે. આ ઉપરાંત SPG ટિમ પણ હાલ રાજકોટમાં આવી પહોંચી છે જેમના દ્વારા પણ મારવાડી યુનિવર્સીટી ખાતે સુરક્ષા બંદોબસ્ત અંગે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
મહેસાણા બાદ રાજકોટમાં બીજી રિજનલ વાઈબ્રન્ટ સમિટ ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 2047ના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે તેમને શરૂ કરેલા વાઇબ્રન્ટ ગુજરાત કોન્સ્ટેપટને વધુ આગળ ધપાવી મજબૂત બનાવવા રિજનલ સમિટ શરૂ કરવામાં આવી છે જેમાં પ્રથમ મહેસાણા બાદ બીજું વાઇબ્રન્ટ સમિટ સૌરાષ્ટ્ર-કચ્છમાં કરવામાં આવ્યું છે જેમાં રાજકોટ સહી સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના ઉદ્યોગો તેમજ અહીંયાના પ્રવાસન સ્થળોને પણ પ્રોત્સાહન આપવા અને તેનો વ્યાપ વધારવું માટેનો સરકારનો આ એક નવતર પ્રયાસ છે. આ વાઇબ્રન્ટ સમિટમાં રિલાયન્સ, અદાણી, ટાટા, ન્યારા જેવી અનેક કંપનીઓ પણ ઉપસ્થિત રહી મહત્વપૂર્ણ MOU કરે તેવી શક્યતા સેવાઈ રહી છે.


