અમદાવાદના જજીસ બંગલો રોડ નજીક NRI ટાવરમાં ખેલાયો ખૂની ખેલ
કોંગ્રેસ નેતા શકિતસિંહ ગોહિલના ભત્રીજાએ પત્નીને ગોળી ધરબી પોતે આપઘાત કર્યો
કલાસ-૧ અધિકારીએ ઝઘડાથી કંટાળી પગલુ ભર્યુ : દાંપત્ય જીવનનો ઘરકંકાસથી બે મહિનામાં જ આવેલો કરૂણ અંત : ઘટના સ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
બંનેના મૃતદેહનો કબ્જો લઇ પોલીસે પોસ્ટમોર્ટમમાં ખસેડયા : સમગ્ર રાજયમાં ઘટનાથી ચકચાર
અગ્ર ગુજરાત, અમદાવાદ
અમદાવાદના જજીસ બંગલો રોડ પર આવેલા NRI ટાવરમાં મોડી રાત્રે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના સગા ભત્રીજા અને ક્લાસ-1 અધિકારી યશરાજસિંહ ગોહિલે પત્ની સાથેના ઝઘડા બાદ પત્નીને ગોળી મારી પોતે પણ આપઘાત કરી લીધો છે. માત્ર બે મહિના અગાઉ જ લગ્નગ્રંથિથી જોડાયેલા આ દંપતી વચ્ચે કોઈ અગમ્ય કારણોસર તકરાર થતા ખૂની ખેલ ખેલાયો.
યશરાજસિંહે પહેલા પત્ની પર ફાયરિંગ કર્યું હતું અને ત્યારબાદ 108ને જાણ કરી પોતે પણ પોતાના માથે ગોળી ધરબી દીધી હતી. વસ્ત્રાપુર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. ઘટનાને પગલે NRI ટાવરના ગેટ બંધ કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ફ્લેટના રહીશો સિવાય કોઈપણ વ્યક્તિને અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો નહી. શકિતસિંહ ગોહિલ અને કોંગ્રેસ નેતા અસારવા સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતાં. ઉલ્લેખનીય છે કે, મૃતક ગુજરાત મેરિટાઇમ બોર્ડમાં અધિકારી તરીકે ફરજ બજાવતો હતો. થોડા સમય અગાઉ જ પ્રમોશન મળતા વર્ગ 2માંથી વર્ગ 1 થયા હતા.
મળતી માહિતી મુજબ જજીસ બંગલો રોડ પર આવેલા NRI ટાવરમાં ભાવનગરના યશરાજ ગોહિલ અને તેમના પત્ની રાજેશ્વરી ગોહિલ રહેતા હતા. બંનેના બે મહિના અગાઉ જ લગ્ન થયા હતા. ગત મોડી રાતે યશરાજ અને તેમના પત્ની રાજેશ્વરી વચ્ચે કોઈ બાબતને લઈને ઝઘડો થયો હતો. ઝઘડો વધુ વધતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
ઝઘડો વધતા યશરાજે પોતાની પાસે રહેલા લાયસન્સ વાળા હથિયાર વડે પત્ની રાજેશ્વરી પર ફાયરિંગ કર્યું હતું. પત્ની પર ફાયરિંગ કરતા પત્ની ઢળી પડી હતી, જેથી યશરાજે 108ને જાણ કરી હતી. 108 પહોંચતા તબીબ દ્વારા રાજેશ્વરીને મૃત જાહેર કરવામાં આવી હતી. 108નો સ્ટાફ ઘરની બહાર નિકળતા જ યશરાજે પણ પોતાના માથે હથિયાર વડે ગોળી મારી આપઘાત કરી લીધો હતો.
બનાવ બનતા આસપાસના લોકો ભેગા થયા હતા. પોલીસને જાણ કરતા ઝોન 1 ડીસીપી, ક્રાઈમ બ્રાન્ચની ટીમ સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. સમગ્ર બનાવમાં દંપતીનું મોત થયું છે. પોલીસે બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. હાલ ઝઘડાનું કારણ જાણવા મળ્યું નથી, વસ્ત્રાપુર પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે.


