ગુજરાત AAPમાં મોટું ભંગાણ, ખેડૂત નેતા રાજુ કરપડાનું રાજીનામું
કડદા આંદોલનના ચહેરા રાજકારણથી નારાજ, ‘આપ’ને વધુ એક મોટો ઝટકો
ભાજપમાં જોડાવાની અટકળો તેજ, સૌરાષ્ટ્રના રાજકીય હવામાનમાં ફેરફાર
અગ્ર ગુજરાત, ગાંધીનગર
ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP) માટે મુશ્કેલીઓનો સિલસિલો ચાલુ જ છે. વિધાનસભા ચૂંટણી બાદ સંગઠન મજબૂત બનાવવાના દાવા વચ્ચે હવે પાર્ટીને એક પછી એક નેતાઓના રાજીનામાના ઘા પડી રહ્યા છે. આ કડીમાં હવે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના જાણીતા ખેડૂત નેતા અને ‘આપ’ કિસાન સેલના પ્રમુખ રહેલા રાજુ કરપડાએ પાર્ટીના તમામ પદોથી રાજીનામું આપી દીધું છે, જેના કારણે ગુજરાત AAPમાં મોટું ભંગાણ સર્જાયું હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
રાજુ કરપડાનું રાજીનામું માત્ર એક વ્યક્તિગત નિર્ણય નથી પરંતુ તે કડદા પ્રથા વિરુદ્ધ ચાલેલા ઉગ્ર ખેડૂત આંદોલન, પોલીસ સાથે થયેલા ઘર્ષણ, ધરપકડ, જેલ અને બાદમાં જામીન સુધી પહોંચેલી ઘટનાક્રમ સાથે જોડાયેલું છે. આ રાજીનામું ગુજરાતમાં AAPની ખેડૂત રાજનીતિ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.
રાજુ કરપડાએ પોતાનું રાજીનામું સોશિયલ મીડિયા મારફતે જાહેર કર્યું છે. તેમના રાજીનામા પત્રમાં ભાવનાત્મક શબ્દો અને ખેડૂત સંઘર્ષનો ઉલ્લેખ જોવા મળે છે. તેમણે લખ્યું છે કે, જય કિસાન સાથીઓ… દોસ્તો, આજે આમ આદમી પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપી રહ્યો છું. મારો નિર્ણય તમને ચોકાવશે, પરંતુ પાર્ટીને મજબૂત બનાવવા માટે મેં પરિવારથી વિશેષ મહત્ત્વ અને સમય આપ્યો છે. કુદરતે અહીંયા સુધીનો જ સાથ લખેલો છે. મારા દ્વારા ક્યારેય કોઈની લાગણીને ઠેશ પહોંચી હોય તો ક્ષમા ચાહું છું. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય તથા પ્રદેશ નેતૃત્વ અને તમામ સાથીઓનો પ્રેમ આપવા બદલ હૃદયથી આભાર.આ શબ્દો પરથી સ્પષ્ટ થાય છે કે રાજુ કરપડાની નારાજગી માત્ર તાત્કાલિક નહીં પરંતુ લાંબા સમયથી અંદરખાને ચાલી રહી હતી.
રાજુ કરપડા ગુજરાતના ખેડૂત આંદોલનમાં એક જાણીતું નામ છે. ખાસ કરીને બોટાદ માર્કેટિંગ યાર્ડ (APMC)માં ચાલતી કપાસના વેપારીઓની કડદા પ્રથા વિરુદ્ધ તેઓ આંદોલનનું નેતૃત્વ કરતા હતા. ખેડૂતોના કહેવા મુજબ વેપારીઓ વજન કરતી વખતે કડદા લગાવી ખેડૂતોને આર્થિક નુકસાન પહોંચાડતા હતા. આ મુદ્દે રાજુ કરપડાના નેતૃત્વમાં ખેડૂતો એકત્ર થયા અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો. 10 ઓક્ટોબર, 2025ના રોજ બોટાદ માર્કેટ યાર્ડમાં મોડી રાત્રે ભજન-કીર્તન કરીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો, જે પછી આંદોલન વધુ ઉગ્ર બન્યું હતું.
એક સમયે ગુજરાતમાં ત્રીજા મોરચા તરીકે ઊભરી આવેલી આમ આદમી પાર્ટી હવે નેતાઓના રાજીનામા, આંતરિક અસંતોષ અને સંગઠનાત્મક કમજોરીનો સામનો કરી રહી છે. ખેડૂત નેતા રાજુ કરપડાનું રાજીનામું એ સંકેત આપે છે કે AAP માટે જમીન પર કાર્યકર્તાઓને ટકાવી રાખવું મુશ્કેલ બનતું જઈ રહ્યું છે.
વિપક્ષ તરીકે ભાજપ સરકાર સામે આક્રમક ભૂમિકા ભજવવાની જગ્યાએ પાર્ટી આંતરિક વિખવાદમાં ફસાતી દેખાઈ રહી છે. કડદા પ્રથા વિરુદ્ધ શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે રાજકીય વળાંક પર આવી પહોંચ્યું છે. રાજુ કરપડાનું રાજીનામું માત્ર એક વ્યક્તિનો નિર્ણય નથી, પરંતુ તે ગુજરાતની ખેડૂત રાજનીતિમાં બદલાતા સમીકરણોનું પ્રતિબિંબ છે. આગામી દિવસોમાં રાજુ કરપડાનો આગામી રાજકીય પડાવ શું હશે, તેઓ કઈ પાર્ટી સાથે જોડાશે અને AAP આ ખોટ કેવી રીતે પૂરી કરશે તે જોવાનું મહત્વનું રહેશે.
હડદડ મહાપંચાયત અને પોલીસ સાથે ઘર્ષણ
આંદોલનનો સૌથી વિવાદાસ્પદ તબક્કો 12 ઓક્ટોબર, 2025ના રોજ બોટાદના હડદડ ગામમાં યોજાયેલી ખેડૂત મહાપંચાયત હતો. પોલીસનો દાવો હતો કે આ મહાપંચાયત મંજૂરી વિના યોજાઈ હતી. જ્યારે પોલીસ કાર્યક્રમ રોકવા પહોંચી ત્યારે ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ વાહનો પર પથ્થરમારો કર્યો હતો.
પરિસ્થિતિ કાબુમાં લેવા માટે પોલીસે ટિયર ગેસના શેલ છોડવા પડ્યા હતા. સમગ્ર ઘટના બાદ પોલીસ દ્વારા કુલ 85 લોકો સામે ગુના નોંધવામાં આવ્યા, જેમાં રાજુ કરપડા સહિત અનેક ખેડૂત આગેવાનોના નામો સામે આવ્યા હતા.
ધરપકડ, જેલ અને આમરણ ઉપવાસનો અધૂરો પ્રયાસ
હડદડની ઘટના બાદ આમ આદમી પાર્ટીએ કડદા પ્રથા બંધ કરાવવા અને ખેડૂતોને ન્યાય અપાવવાના મુદ્દે વધુ આક્રમક વલણ અપનાવ્યું હતું. અમદાવાદમાં આમરણ ઉપવાસ પર બેસવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, 16 ઓક્ટોબર, 2025ના રોજ પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રદેશ ફ્રન્ટલ સંગઠન પ્રમુખ પ્રવીણ રામની ધરપકડ કરવામાં આવી હતી.
આ ધરપકડ બાદ AAPએ સરકાર પર ખેડૂત વિરોધી હોવાના આરોપો લગાવ્યા હતા, જ્યારે સરકાર પક્ષે કાયદો અને વ્યવસ્થા જાળવવાની દલીલ કરી હતી.
ચાર મહિના બાદ જામીન, પરંતુ રાજકીય ઘા ઊંડો
બોટાદના હડદડ ગામે પોલીસ અને ખેડૂતો વચ્ચેના ઘર્ષણ કેસમાં ભાવનગર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે 29 જાન્યુઆરી, 2026ના રોજ રાજુ કરપડા અને પ્રવીણ રામને જામીન મંજૂર કર્યા હતા. લગભગ ચાર મહિના સુધી જેલ અને કાનૂની પ્રક્રિયાનો સામનો કર્યા બાદ તેઓ બહાર આવ્યા.
પરંતુ રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે, આ સમયગાળા દરમિયાન રાજુ કરપડાને પાર્ટી તરફથી જે પ્રકારનું સમર્થન મળવું જોઈએ તે મળ્યું નહોતું, જેના કારણે નારાજગી વધુ ઘેરાઈ.
AAPની આંતરિક રાજનીતિથી નારાજગી?
રાજુ કરપડાના રાજીનામાને લઈને AAPની આંતરિક રાજનીતિ પર પણ સવાલ ઊભા થયા છે. ખેડૂત આંદોલનમાં આગેવાની લેનારા નેતાઓનું કહેવું છે કે, પાર્ટી માત્ર આંદોલનના સમયે મોરચો સંભાળે છે પરંતુ મુશ્કેલ સમયમાં કાર્યકર્તાઓ અને નેતાઓ એકલા પડી જાય છે. સૌરાષ્ટ્રમાં AAPનો ખેડૂત આધાર મજબૂત કરવાનો પ્રયાસ રાજુ કરપડાના માધ્યમથી થઈ રહ્યો હતો. તેમનું રાજીનામું એટલે સીધો ખેડૂત વર્ગમાં પાર્ટીની વિશ્વસનીયતા પર પ્રશ્નચિહ્ન છે.
ભાજપમાં જોડાવાની અટકળો તેજ
રાજુ કરપડાના રાજીનામા બાદ રાજકીય ગલીઓમાં સૌથી વધુ ચર્ચા તેમના ભાજપમાં જોડાવાની સંભાવના અંગે ચાલી રહી છે. હાલ સુધી તેમણે કોઈ પાર્ટીમાં જોડાવા અંગે ખુલ્લી જાહેરાત નથી કરી, પરંતુ ભાજપના કેટલાક નેતાઓ સાથે તેમની નજીકતા અને સંપર્કની ચર્ચા શરૂ થઈ ચૂકી છે. જો રાજુ કરપડા ભાજપમાં જોડાશે તો તે સૌરાષ્ટ્રમાં AAP માટે મોટો ફટકો અને ભાજપ માટે રાજકીય ફાયદો સાબિત થઈ શકે છે.


