રૈયારોડ પર કુહાડી, ધારિયાના ઘા ઝીંકી યુવાનની કરપીણ હત્યા
ચીચોડાની જૂની અદાવતનો ખાર રાખી સ્વિફ્ટ કાર અને બાઈકમાં આવેલા શખ્સોએ હુમલો કરી કારમાં ઉઠાવી જઈ યુવાનને આગળ ફેંકી દીધો , સારવાર દરમિયાન મોત; આરોપીઓ પકડાય નહીં ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારનો ઇનકાર
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં ફરી એકવાર જાહેર માર્ગ પર બનેલી લોહિયાળ ઘટનાએ કાયદો-વ્યવસ્થાને લઈને સવાલો ઊભા કર્યા છે. રૈયા વિસ્તારના મણિનગરમાં રહેતા 32 વર્ષીય ભાવેશ ડાયાભાઈ વાણવી નામના યુવાનની જૂની અદાવતના કારણે નિર્દયી રીતે હત્યા કરવામાં આવી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ ચીચોડો રાખવા બાબતે થયેલી માથાકૂટ અને તે અંગે કરાયેલી અરજીનો ખાર રાખી હુમલાખોરોએ પૂર્વ આયોજન સાથે ભાવેશભાઈને નિશાન બનાવ્યો હતો. જાહેર રસ્તા પર ઘાતક હથિયારો વડે હુમલો કર્યા બાદ તેમને જબરદસ્તી કારમાં બેસાડી લઈ જવામાં આવ્યા હતા અને આગળ જઈ ગંભીર હાલતમાં ફેંકી દેવામાં આવ્યા હતા. બાદમાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થતાં સમગ્ર ઘટનાએ હત્યાનો વળાંક લીધો છે.
આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, રાહુલ કાનજીભાઈ પરમાર નામના યુવકે સમગ્ર ઘટનાની વિગત આપી છે. ફરિયાદી રાહુલ પરમાર નર્સિંગ સ્ટાફ તરીકે ખાનગી રીતે કામકાજ કરે છે અને રાજકોટમાં ભાડાના મકાનમાં રહે છે. તેમણે પોલીસને જણાવ્યું હતું કે રવિવાર તા. 15-03ની રાત્રે તેઓ પોતાના મિત્ર ભાવેશભાઈ વાણવીને મળવા સોપાન હાઇટ્સ નજીક ગયા હતા. તે સમયે ત્યાં ભાવેશભાઈ સાથે તેમનો ભત્રીજો પ્રિન્સ સુનિલભાઈ વાણવી પણ હાજર હતો. વાતચીત દરમિયાન ભાવેશભાઈએ રાહુલને પોતાના ઘરે જમવા આવવાનું કહ્યું હતું. જેથી રાહુલ પોતાના બાઈક પર ભાવેશભાઈને પાછળ બેસાડી રૈયા તરફ નીકળ્યા હતા, જ્યારે પ્રિન્સ પોતાનું મોટરસાયકલ લઈને પાછળ આવતો હતો.
ત્રણેય લોકો રૈયા રોડ પરથી મણિનગર તરફ જઈ રહ્યા હતા. રાત્રિના લગભગ પોણા દસ વાગ્યાના આસપાસ તેઓ દ્વારકેશ પાર્ક મેઈન રોડ પર ડ્રીમ સિટી સામે પહોંચ્યા ત્યારે અચાનક પાછળથી એક સવીફ્ટ કાર અને બાઈકમાં આવેલા ચારથી પાંચ શખ્સોએ તેમનો પીછો કરીને રસ્તામાં આંતરી લીધા હતા. કોઈ ચર્ચા-વિવાદ વગર જ આ શખ્સો હથિયારો સાથે તૂટી પડ્યા હતા. ફરિયાદમાં જણાવ્યા મુજબ હુમલાખોરોના હાથમાં લાકડીઓ, કુહાડી અને ધારિયા જેવા તીક્ષ્ણ અને જાનલેવ હથિયારો હતા. તેઓએ સૌથી પહેલા ભાવેશભાઈને નિશાન બનાવી તેમના પર ઘા ઝીંકવાનું શરૂ કર્યું હતું.
હુમલો એટલો અચાનક અને એટલો ક્રૂર હતો કે બચાવ માટે ખાસ તક જ મળી નહોતી. પ્રિન્સ બચાવવા માટે આગળ આવતાં હુમલાખોરોએ તેને પણ નિર્દયી રીતે માર માર્યો હતો અને તેના માથામાં ઈજા પહોંચાડી હતી. આ હિંસક દૃશ્ય જોઈ ફરિયાદી રાહુલ ગભરાઈ ગયા હતા અને થોડા અંતરે ખસી ગયા હતા. તે દરમિયાન હુમલાખોરોએ ભાવેશભાઈને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા પછી તેમને જબરદસ્તી સવીફ્ટ કારમાં બેસાડી લીધા હતા. થોડા જ પળોમાં હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ઘટનાસ્થળે સર્જાયેલા અફરાતફરીના માહોલમાં પ્રિન્સ લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો.
રાહુલ પરમારે તરત જ પ્રિન્સને પોતાના બાઈક પર બેસાડી સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. હોસ્પિટલ લઈ જતાં રસ્તામાં પ્રિન્સે તેમને ઘટનાનો સંભવિત મૂળકારણ જણાવ્યું હતું. પ્રિન્સના કહેવા મુજબ, હમીર મેરા જોગરાણા નામના વ્યક્તિ સાથે “ચીચોડો” રાખવા બાબતે અગાઉથી વિવાદ ચાલતો હતો. આ મુદ્દે ભાવેશભાઈએ રાજકોટ મહાનગરપાલિકા સમક્ષ અરજી પણ કરી હતી. આ અરજીને કારણે હમીર જોગરાણા અને તેના સાગરીતો રોષે ભરાયા હતા અને એ જ બાબતનો ખાર રાખીને આ હુમલો કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રિન્સે આપી હતી.
પ્રિન્સને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ રાહુલને વધુ એક ચોંકાવનારી માહિતી મળી હતી. હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં ભાવેશભાઈને પણ સારવાર માટે લાવવામાં આવ્યા હતા. તેમના માથા, હાથ અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ હતી. તીક્ષ્ણ હથિયારોના ઘા હોવાના કારણે તેમની સ્થિતિ અત્યંત નાજુક હતી અને તેઓ બેભાન હાલતમાં હતા. ડોક્ટરોએ તાત્કાલિક સારવાર શરૂ કરી હતી, પરંતુ ઇજાઓ ખૂબ જ ગંભીર હોઈ અંતે તેઓએ દમ તોડી દીધો હતો. આમ, શરૂઆતમાં હુમલો, અપહરણ અને હત્યાના પ્રયાસ તરીકે જોવાતો બનાવ થોડા જ સમયમાં હત્યાના ગુનામાં ફેરવાયો હતો.
યુનિવર્સિટી પોલીસે રાહુલ પરમારની ફરિયાદના આધારે હમીર મેરાભાઈ જોગરાણા તથા અન્ય ચારથી પાંચ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે. શરૂઆતમાં હુમલો, ઇજા અને અપહરણ સંબંધિત કલમો હેઠળ નોંધાયેલ ગુનામાં બાદમાં ભાવેશભાઈના મોતને પગલે હત્યાની કલમ ઉમેરવામાં આવી છે. પોલીસ સૂત્રોના કહેવા મુજબ સમગ્ર હુમલો પૂર્વ આયોજિત હોવાની પૂરી શક્યતા છે. હુમલાખોરો યોગ્ય તક જોઈને સવીફ્ટ કાર અને બાઈક સાથે પીછો કરતાં આવ્યા હતા અને નિશ્ચિત સ્થળે હુમલો કર્યો હતો. તેથી આ મામલો માત્ર આકસ્મિક ઝઘડો નહીં પરંતુ જૂની અદાવતનો પૂર્વનિયોજિત ખૂની ખેલ હોવાની દિશામાં તપાસ આગળ વધી રહી છે.
ઘટનાની જાણ થતાં જ યુનિવર્સિટી પોલીસ ઉપરાંત શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ હોસ્પિટલ અને ઘટનાસ્થળે દોડી ગયો હતો. જાહેર માર્ગ પર બનેલી આ સનસનાટીભરી ઘટના બાદ આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર ફેલાઈ ગઈ હતી. પોલીસ દ્વારા હુમલાખોરોની ઓળખ માટે ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને સવીફ્ટ કારનો નંબર, હુમલાખોરોની હલચલ અને તેઓ કઈ દિશામાં નાસી છૂટ્યા તે જાણવા માટે ટેકનિકલ તથા માનવીય સોર્સિસના આધારે તપાસ ચાલી રહી છે. સ્થળ પર હાજર કે નજીકમાં રહેલા લોકોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે.
મૃતક ભાવેશભાઈના પરિવારે આ ઘટના બાદ ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. પરિવારજનોએ સ્પષ્ટ વલણ અપનાવી જણાવ્યું છે કે જ્યાં સુધી મુખ્ય આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં. પરિવારના આ નિર્ણયને પગલે હોસ્પિટલ તેમજ પોલીસ તંત્ર માટે પણ પરિસ્થિતિ સંવેદનશીલ બની હતી. બીજી તરફ, ભાવેશભાઈના મોતના સમાચાર મણિનગર અને રૈયા વિસ્તાર સુધી પહોંચતાં જ ઓળખીતાઓ તથા સગા-સંબંધીઓમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, મૃતક ભાવેશભાઈ પરિણીત હતા અને તેમને બે નાના દીકરાઓ છે. તેમના સંતાનોમાં લક્ષ નામનો સાત વર્ષનો દીકરો અને અંશ નામનો ચાર વર્ષનો દીકરો હોવાનું જાણવા મળે છે. કમાઉ સભ્યના અચાનક અને કરૂણ મોતથી આખા પરિવારે મોટો આઘાત સહન કરવો પડ્યો છે. તેમના પિતા ડાયાભાઈ અગાઉ કારખાનામાં નોકરી કરતા હતા અને હાલમાં નિવૃત જીવન જીવતા હોવાનું જાણવા મળે છે. પરિવારમાં ઉભી થયેલી આ દુર્ઘટનાએ નજીકના લોકોમાં પણ ગાઢ શોક છવાઈ ગયો છે.
પોલીસ તપાસમાં આ દિશામાં પણ માહિતી સામે આવી રહી છે કે મૃતક ભાવેશભાઈ પોતાને પત્રકાર તરીકે ઓળખાવતા હતા અને તેમના વિરુદ્ધ અગાઉ કેટલાક ગુનાઓ નોંધાયેલા હતા. યુનિવર્સિટી પોલીસ, ગાંધીગ્રામ પોલીસ સહિતના મથકોમાં ધમકી અને મારામારી જેવા કેસ નોંધાયા હોવાની માહિતી મળી રહી છે. તેમની સામે અગાઉ પાસાની કાર્યવાહી પણ થઈ હતી. જોકે વર્તમાન બનાવમાં પોલીસ મુખ્યત્વે જૂની અદાવત, ચીચોડા મુદ્દે કરાયેલી અરજી અને તેના પગલે ઊભેલા રોષના એંગલથી તપાસ ચલાવી રહી છે. ભૂતકાળના કેસોની વિગતો પણ તપાસ માટે સબબ બની શકે તેવી શક્યતા નકારી શકાતી નથી.
આ સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.એન. પટેલની માર્ગદર્શન હેઠળ એએસઆઈ જે.એચ. જાડેજા અને ટીમે તપાસ તેજ કરી છે. મુખ્ય આરોપી હમીર જોગરાણા અને તેના સાગરીતોને ઝડપી લેવા માટે વિવિધ દિશામાં ચક્રો ગતિમાન કરાયા છે. જાહેર માર્ગ પર થયેલી આ કરપીણ હત્યાએ રાજકોટ શહેરને ફરી હચમચાવી નાખ્યું છે અને હવે સૌની નજર આરોપીઓની ઝડપી ધરપકડ પર ટકેલી છે.


