કમોસમી વરસાદનો કહેર
રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન
સૌરાષ્ટ્ર-કચ્છમાં ખેતીના પાકને મોટો ફટકો, સુરતમાં મીની વાવાઝોડાથી કરોડોનું નુકસાન; 72 તાલુકામાં વરસાદ, હજારો ગામમાં વીજળી ખોરવાઈ
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદ અને તોફાની પવનના પ્રકોપે છેલ્લા બે દિવસમાં ભારે તબાહી મચાવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 19 માર્ચ સુધીમાં રાજ્યના કુલ 72 તાલુકામાં 1 મિમીથી લઈને 41 મિમી સુધી વરસાદ નોંધાયો હતો, જેમાં અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં સૌથી વધુ દોઢ ઈંચથી વધુ વરસાદ નોંધાતા જનજીવન પ્રભાવિત થયું હતું. વરસાદ સાથે અનેક વિસ્તારોમાં વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાતા ઝાડો ઉખડી પડ્યા, હોર્ડિંગ્સ તૂટી ગયા અને વીજ પુરવઠા પર ગંભીર અસર પડી હતી.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સાયકલોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા આ કમોસમી વરસાદી માહોલ સર્જાયો છે. 20 માર્ચના રોજ પણ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભાવનગર અને કચ્છ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યભરમાં આ કમોસમી વરસાદ અને પવનના કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છમાં પરિસ્થિતિ ગંભીર બની હતી, જ્યાં કુલ 2645 ગામોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. પીજીવીસીએલની ટીમોએ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરીને 2398 ગામોમાં મોડીરાત સુધી વીજ પુરવઠો પુનઃસ્થાપિત કર્યો હતો, જ્યારે બાકીના 247 ગામોમાં કામગીરી ચાલુ છે.
આ તોફાની વાતાવરણનો સૌથી મોટો ફટકો ખેડૂતોને પડ્યો છે. Rajkot સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં ઘઉં, જીરૂ, કેરી, ચણા અને બાજરી જેવા પાકોને ભારે નુકસાન થયાના અહેવાલો સામે આવ્યા છે. જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, બોટાદ અને કચ્છ સહિતના વિસ્તારોમાં તૈયાર પાક પર વરસાદ પડતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે.
ગોંડલ અને આસપાસના વિસ્તારોમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. પવન એટલો તીવ્ર હતો કે શહેરમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા અને મોટા હોર્ડિંગ્સ તૂટી પડ્યા હતા. બસ સ્ટેન્ડ વિસ્તારમાં તો એક વિશાળ વૃક્ષ ધરાશાયી થતાં આસપાસના સ્ટ્રક્ચર્સને નુકસાન પહોંચ્યું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં પણ પવન સાથે વરસાદ વરસતા લોકો ઘરમાં જ સીમિત થઈ ગયા હતા.
ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં પણ વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. ભારે પવનના કારણે બજારોમાં તોફાની વંટોળ ઉઠ્યા હતા અને ધૂળના ગોટા સાથે આખું આકાશ છવાઈ ગયું હતું. સાંજના સમયે અચાનક બદલાયેલા વાતાવરણને કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. બાઇક ચાલકો ઝડપથી ગંતવ્ય પર પહોંચવા દોડતા જોવા મળ્યા હતા, જેના કારણે અકસ્માતની ભીતિ પણ ઉભી થઈ હતી.
તળાજા અને આસપાસના વિસ્તારોમાં બાગાયતી પાકો જેમ કે કેરી, ચીકુ અને કેળને ભારે નુકસાન પહોંચ્યું છે. સાથે જ ઘઉં, ચણા અને બાજરી જેવા પાકો પણ પવન અને વરસાદથી પલળી જતા ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવાનું વારો આવ્યો છે. કાચી કેરી મોટા પ્રમાણમાં પડી જતા બજારમાં તેની આવક વધી શકે છે, જેના કારણે ભાવમાં ઘટાડો થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં સતત બીજા દિવસે ભારે વરસાદ વરસતા 45 મિમી જેટલો વરસાદ નોંધાયો હતો. શહેરના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા અને મુખ્ય માર્ગો પર વૃક્ષો ધરાશાયી થતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખેતીકામમાં રોકાયેલા ખેડૂતો માટે પરિસ્થિતિ કઠિન બની ગઈ છે, કારણ કે લણણી માટે તૈયાર પાક વરસાદમાં પલળી ગયો છે.
સાબરકાંઠા જિલ્લામાં પણ કમોસમી વરસાદ નોંધાયો હતો, જ્યાં હિંમતનગર, ઈડર, વડાલી, વિજયનગર અને ખેડબ્રહ્મા સહિતના વિસ્તારોમાં 1 થી 3 મિમી વરસાદ પડ્યો હતો. ભલે વરસાદ ઓછો હતો, પરંતુ પાકોને નુકસાન થવાની ભીતિ યથાવત છે.
આ તરફ સુરત શહેરમાં મીની વાવાઝોડાએ ભારે તારાજી સર્જી છે. ખાસ કરીને ડુમસ વિસ્તારમાં આવેલા પાર્ટી પ્લોટોમાં લગ્ન માટે તૈયાર કરવામાં આવેલા ભવ્ય સેટ પવનમાં તૂટી પડતા કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. અંદાજે 7 જેટલા પાર્ટી પ્લોટમાં સેટ ધરાશાયી થતા માલિકો અને આયોજકોને આર્થિક ઝટકો લાગ્યો છે.સુરતમાં 80થી વધુ વૃક્ષો અને અનેક વીજપોલ તૂટી પડતા શહેરના અનેક વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા ફાયર વિભાગની ટીમોએ આખી રાત કામગીરી હાથ ધરી હતી અને રસ્તાઓ પરથી અવરોધો દૂર કરવાની કામગીરી કરી હતી. લગ્ન સીઝનમાં આવી કુદરતી આફત સર્જાતા ઘણા પરિવારોમાં ચિંતા છવાઈ ગઈ છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાક બાદ તાપમાનમાં વધારો થશે અને આગામી સાત દિવસમાં તાપમાન 4થી 5 ડિગ્રી સુધી વધી શકે છે. એટલે કે હાલના કમોસમી વરસાદ બાદ ફરી એકવાર ગરમીનો પ્રકોપ વધવાની શક્યતા છે.આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે નાગરિકોને સાવચેત રહેવા, તીવ્ર પવન દરમિયાન બહાર ન નીકળવા અને હળવા વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને જરૂરી તકેદારી રાખવાની સલાહ આપી છે.
આ રીતે કમોસમી વરસાદે રાજ્યભરમાં જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે, જેમાં ખાસ કરીને ખેડૂતોને સૌથી મોટું નુકસાન સહન કરવું પડી રહ્યું છે. સરકાર અને તંત્ર માટે હવે નુકસાનનું મૂલ્યાંકન કરી રાહત પગલાં લેવાની જરૂરિયાત ઊભી થઈ છે.
બોક્ષ……….
હાથમાં આવેલો કોળિયો છીનવાયો, ખેડૂતોને કમ્મરતોડ ફટકો
ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદ અને તોફાની પવનના કારણે ખેડૂતો પર ફરી એકવાર આફત તૂટી પડી છે. છેલ્લા ચાર મહિનામાં બીજીવાર આવેલા માવઠાએ ઊભા અને કાપેલા પાકનો નાશ કરતાં ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. ઘઉં, જીરૂ, બાજરી, કપાસ, વરિયાળી, એરંડા, ઈસબગુલ જેવા પાકો ખેતરમાં જ બરબાદ થયા છે, જ્યારે બજાર યાર્ડમાં મૂકાયેલ અનાજ પણ પલળી જતાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે.
ખાસ કરીને અમરેલી સુરેન્દ્રનગર બનાસકાંઠા અને ભરૂચ સહિતના વિસ્તારોમાં ભારે અસર જોવા મળી છે. અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં કેરીનો 70 ટકા પાક જમીનદોષ થતાં બાગાયતી ખેડૂતોને મોટો ફટકો લાગ્યો છે. મોરબી પાસે પપૈયા અને મહેસાણામાં દિવેલાના પાકને પણ નુકસાન થયું છે. ઘણા ખેડૂતોએ કાપણી કરીને રાખેલા ઘઉં અને જીરૂ વરસાદમાં પલળી જતા મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો એવી વ્યથા વ્યક્ત કરી છે. વાવ-થરાદ વિસ્તારમાં ઈસબગુલ, વરિયાળી અને કપાસના પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતો હવે સરકાર પાસે તાત્કાલિક સર્વે અને વળતર માટે આશા રાખી રહ્યા છે.
બોક્ષ………..
ગોહિલવાડમાં મિની વાવાઝોડાનો કહેર: વૃક્ષની ડાળી પડતાં એકનું મોત, 323 ગામોમાં વીજળી ગુલ
ગોહિલવાડ પંથકમાં ગઈકાલે સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવતાં મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે શહેર સહિત સમગ્ર જિલ્લામાં ભારે તારાજી સર્જાઈ છે. સાંજે છ વાગ્યા બાદ ધૂળની તોફાની ડમરીઓ અને તેજ ગતિએ ફૂંકાયેલા પવનને કારણે અનેક સ્થળોએ મહાકાય વૃક્ષો ધરાશાયી થયા હતા અને રસ્તાઓ પર અવરજવર પ્રભાવિત થઈ હતી.
શહેરમાં ફૂંકાયેલા પ્રચંડ પવનને કારણે અનેક દુકાનોના છાપરા ઉડી ગયા હતા, જ્યારે મકાનો પર લગાવેલી સોલાર પેનલો પણ તૂટી પડતાં આર્થિક નુકસાન થયું છે. ધૂળના ગોટાળાને કારણે દૃશ્યતા ઘટી જતા હાઈવે પર વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અનેક વિસ્તારોમાં વૃક્ષો વીજ લાઈનો પર પડતાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. વાવાઝોડા બાદ શરૂ થયેલા કમોસમી વરસાદે ખેતી ક્ષેત્રે પણ ચિંતાનો માહોલ ઉભો કર્યો છે. ઘઉં, એરંડા અને ખાસ કરીને કેરીના પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ દુર્ઘટનામાં પાલિતાણા ખાતે તળેટી રોડ વિસ્તારમાં મનશાંતિ ભવન નજીક એક વૃક્ષની ભારે ડાળી તૂટીને પરપ્રાંતિય મજૂર યોગી પ્રધાન પર પડતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું મોત નિપજ્યું હતું. વાવાઝોડાના કારણે ભાવનગર શહેર અને જિલ્લામાં કુલ 416 ફીડરોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો, જેના કારણે 323 ગામોમાં વીજળી ગુમ થઈ ગઈ હતી. તંત્ર દ્વારા વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રએ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે અને નાગરિકોને પણ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
બોક્ષ……….
ચોટીલામાં કમોસમી વરસાદથી બજારોમાં નદીઓ વહી
ચોટીલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદે ભારે હાહાકાર મચાવ્યો છે. અચાનક બદલાયેલા હવામાનને કારણે વરસેલા ભારે વરસાદે સમગ્ર પંથકને જળબંબાકાર બનાવી દીધો છે. શહેરના મુખ્ય બજારોમાં પાણી ફરી વળતા પરિસ્થિતિ પૂર જેવી બની ગઈ હતી.
નિચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. વેપારીઓની દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા માલસામાનને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. રસ્તાઓ પર પાર્ક કરાયેલા બાઈક અને કાર સહિતના અનેક વાહનો અડધાથી વધુ પાણીમાં ડૂબી ગયા હતા. પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે વાહનચાલકો માટે રસ્તા પરથી પસાર થવું મુશ્કેલ બની ગયું હતું. અનેક સ્થળોએ ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. ચોટીલા સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. તૈયાર પાકને નુકસાન થવાની શક્યતા વચ્ચે ખેડૂતોમાં ગભરાટનો માહોલ છે. આ અચાનક વરસાદે સ્થાનિક તંત્રની પ્રી-મોનસૂન કામગીરી પર પણ સવાલો ઉભા કર્યા છે, કારણ કે વરસાદી પાણીના નિકાલ માટે પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે શહેરમાં આવી પરિસ્થિતિ સર્જાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
બોક્ષ……….
જામનગરમાં તોફાની પવનનો પ્રભાવ: 66 કેવીનો વિજ પોલ ધરાશાયી
શહેરમાં ફૂંકાયેલા તોફાની પવનના કારણે સમાણા રોડ વિસ્તારમાં મોટો બનાવ બન્યો હતો. જીબી પાર્ટી પ્લોટ પાછળ ઉત્કર્ષ સોસાયટી નજીક 66 કેવીનો વિજ પોલ અચાનક ધરાશાયી થઈ ગયો હતો.
પવનની ગતિ એટલી તેજ હતી કે ભારે વજન ધરાવતો વિજ પોલ પણ ટકી શક્યો નહીં અને જમીન પર પડી ગયો. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સદ્નસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ તંત્ર દ્વારા સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરવામાં આવી છે અને વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
બોક્ષ………
સૌરાષ્ટ્ર-કચ્છમાં 690 ગામોમાં અંધારપટ, રાજકોટ ગ્રામ્યના 112 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો
કમોસમી વરસાદ અને તોફાની પવનના કારણે સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં વીજ વ્યવસ્થા ખોરવાઈ જતા 690 ગામોમાં અંધારપટ છવાઈ ગયો છે. ખાસ કરીને રાજકોટ ગ્રામ્યના 112 ગામોમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે બંધ થઈ જતાં જનજીવન પર ભારે અસર પડી છે.
મળતી માહિતી મુજબ, બપોર બાદ 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવન અને વરસાદના કારણે પીજીવીસીએલના વીજ નેટવર્કને ભારે નુકસાન થયું છે. અનેક સ્થળોએ વીજ થાંભલા ધરાશાયી થયા છે અને વાયર તૂટી જતા વીજ પુરવઠો ઠપ્પ થયો છે.
સૌથી વધુ અસર જામનગર અને દ્વારકા જિલ્લામાં જોવા મળી છે, જ્યાં 302 ગામોમાં વીજળી ગુમ થઈ ગઈ છે. હાલાર વિસ્તારમાં 98 જેટલા વીજ થાંભલા પડી ગયા છે. રાજકોટ શહેરમાં પણ પંચવટી સોસાયટી, અમીન માર્ગ, કાલાવડ રોડ અને કોઠારિયા સહિતના વિસ્તારોમાં 20 જેટલા થાંભલા ધરાશાયી થયા છે.
શહેરમાં કુલ 53 ફીડર બંધ થઈ જતા અનેક વિસ્તારોમાં પાંચ કલાકથી વધુ સમય સુધી વીજ પુરવઠો બંધ રહ્યો હતો. સાધુ વાસવાણી રોડ, રેલનગર અને માધાપર વિસ્તારમાં લોકો અકળાઈ ઉઠ્યા હતા અને વીજ કચેરીઓમાં ફરિયાદોનો મારો ચલાવ્યો હતો. આ ઉપરાંત મોરબી જિલ્લામાં 132, ભુજ વિસ્તારમાં 111, અંજારમાં 25 અને સુરેન્દ્રનગર જિલ્લાના 8 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. વીજ કંપની દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.


