ડ્રાઇવરને ઝોંકુ આવતા રોડ નીચે ઉતરી બસ
લાઠી, બાબરા, ઢસાની હોસ્પિટલમાં દાખલ : ભાવનગરથી જામનગર પરત ફરતા સર્જાયેલો અકસ્માત
અગ્ર ગુજરાત, અમરેલી
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ચાવંડ નજીક 30 માર્ચની વહેલી સવારે એક જાનની બસ પલટી મારી ગઈ હતી. ભાવનગરથી જામનગર પરત ફરી રહેલી આ બસમાં સવાર આશરે 25 જાનૈયાને ઈજા પહોંચી હતી. ડ્રાઈવરને ઝોકું આવી જવાના કારણે આ અકસ્માત સર્જાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગરના લોકો ભાવનગરમાં લગ્નપ્રસંગ પૂર્ણ કરીને વહેલી સવારે ‘પાર્થ ટ્રાવેલ્સ’ની બસમાં જામનગર પરત ફરી રહ્યા હતા. ચાવંડ ગામ નજીક પહોંચતા બસના ચાલકને ઊંઘ આવી ગઈ હતી, જેના કારણે બસ રોડ પર પલટી મારી ગઈ હતી. બસમાં અંદાજે 40 જેટલા જાનૈયા સવાર હતા.
અકસ્માત બાદ બસમાં ભારે દેકારો મચી ગયો હતો. ઈજાગ્રસ્ત 25 મુસાફરોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે લાઠી, બાબરા અને ઢસા સહિતની નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ લાઠી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.
સદનસીબે, બસ પલટી મારી હોવા છતાં કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી અને એક મોટી દુર્ઘટના ટળી હતી. ઈજાગ્રસ્તોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.


