અલીયાવાડા સ્ટેશન પર માત્ર 7 કલાકના બ્લોકમાં આધુનિક આરસીસી ટ્વિન બોક્સ બ્રિજ નિર્માણ કાર્ય પૂર્ણ
રાજકોટ ડિવિઝનની સિધ્ધી : અલીયાવાડા સ્ટેશન યાર્ડમાં માત્ર 10 દિવસમાં 3 પુલોનું સફળ પુનઃનિર્માણ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ. પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સુદૃઢીકરણ અને મુસાફરોની સુરક્ષાની દિશામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરતા, અલીયાવાડા સ્ટેશન યાર્ડ સ્થિત જૂના બ્રિજ નંબર 311 ને આધુનિક આરસીસી ટ્વિન બોક્સ બ્રિજમાં સફળતાપૂર્વક પરિવર્તિત કર્યો છે. આ કાર્યથી પાણીના નિકાલની ક્ષમતામાં વધારો થવાની સાથે-સાથે રેલવે ટ્રેકની સુરક્ષા અને મજબૂતીમાં પણ વધારો થયો છે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડોમેસ્ટિક કોમર્શિયલ મેનેજર (SR DCM) સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, અગાઉ આ પુલ 2 x 1.83 મીટર સ્પાન ધરાવતા જૂના આરસીસી સ્લેબ પ્રકારના પુલ તરીકે કાર્યરત હતો, જેને હવે 2 x 1.85 x 1.56 મીટર સ્પાન ધરાવતા આધુનિક આરસીસી ટ્વિન બોક્સ બ્રિજમાં બદલવામાં આવ્યો છે. આ અપગ્રેડેશનથી પાણીના પ્રવાહની ક્ષમતા વધી છે, જેના કારણે ચોમાસા દરમિયાન પાણી ભરાવાની શક્યતા ઘટશે અને રેલવે સંચાલન વધુ સુરક્ષિત તેમજ સુચારુ બનશે.
આ કાર્ય તારીખ 20 મે, 2026 ના રોજ રાજકોટ ડિવિઝનના અલીયાવાડા સ્ટેશન પર પ્રસ્તાવિત ડબલિંગ (દોહરીકરણ) પ્રોજેક્ટ અંતર્ગત કન્સ્ટ્રક્શન ડિપાર્ટમેન્ટ દ્વારા માત્ર 7 કલાકના બ્લોકમાં અત્યંત ઝીણવટભર્યા આયોજન અને કુશળ સંકલન સાથે સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું. કાર્ય દરમિયાન ટ્રેક હટાવવો, જૂના પુલને તોડવો, નવા બોક્સ અને બેઝ સ્લેબ ગોઠવવા, ફરીથી ટ્રેક બિછાવવો અને ઓએચઈ (OHE) એડજસ્ટમેન્ટ જેવા જટિલ કાર્યો નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવ્યા હતા, જે બાદ રેલવે ટ્રાફિકને ફરીથી સામાન્ય રીતે શરૂ કરી દેવામાં આવ્યો હતો.
રાજકોટના ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) ગિરિરાજ કુમાર મીનાએ આ સિદ્ધિ બદલ પ્રસન્નતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રાજકોટ ડિવિઝન સતત આધુનિક અને સુરક્ષિત રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે ઉમેર્યું કે, અલીયાવાડા સ્ટેશન યાર્ડમાં સ્થિત બ્રિજ નંબર 309, 310 અને 311 ના પુનઃનિર્માણનું મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર આધુનિકીકરણ કાર્ય કન્સ્ટ્રક્શન ડિપાર્ટમેન્ટ દ્વારા તાજેતરમાં માત્ર 10 દિવસના ટૂંકા ગાળામાં સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે, જે ડિવિઝનના કુશળ આયોજન, ઉત્કૃષ્ટ સંકલન અને ઝડપી અમલીકરણની ક્ષમતા દર્શાવે છે. તેમણે કહ્યું કે આ પ્રકારના કાર્યોથી માત્ર રેલવે સંચાલનની સુરક્ષા અને વિશ્વસનીયતામાં જ વધારો નથી થતો, પરંતુ ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને મુસાફરોને વધુ સારી અને અવરોધ વિનાની રેલ સેવાઓ પૂરી પાડવામાં પણ મદદ મળે છે.


