સોમનાથ મહાદેવના ચરણોમાં દિવંગત વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ
પ્રથમ પુણ્યતિથિએ સોમેશ્વર પૂજા, પ્રાર્થના અને અન્નદાન કરાયું
અગ્ર ગુજરાત, ગીર સોમનાથ
ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના દુઃખદ અવસાનને આજે એક વર્ષ પૂર્ણ થતાં ગીર સોમનાથ જિલ્લામાં તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. એક વર્ષ પૂર્વે અમદાવાદ ખાતે સર્જાયેલી કરૂણ વિમાન દુર્ઘટનામાં વિજયભાઈ રૂપાણી સહિત અનેક લોકોના અવસાનથી સમગ્ર ગુજરાત શોકમગ્ન બન્યું હતું. આજે તેમની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે વિવિધ સ્થળોએ શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાયા હતા.
દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પવિત્ર ધામ ખાતે વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના કારોબારી ચેરમેન તથા ગીર સોમનાથ જિલ્લા વણિક સમાજના પ્રમુખ ઉદયભાઈ શાહ અને તેમના મિત્રવર્તુળ દ્વારા વિશેષ સોમેશ્વર પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સોમનાથ મહાદેવના ચરણોમાં દિવંગત વિજયભાઈ રૂપાણી સહિત વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા તમામ હદભાગી આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
પૂજા-અર્ચના દરમિયાન ઉપસ્થિત આગેવાનો અને ભક્તજનોએ વિજયભાઈ રૂપાણીના જાહેર જીવન, તેમની સરળતા, સેવાભાવ અને ગુજરાતના વિકાસમાં આપેલા યોગદાનને યાદ કરીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. સૌએ ભગવાન સોમનાથને પ્રાર્થના કરી કે દિવંગત આત્માઓને ચિરશાંતિ પ્રાપ્ત થાય અને તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે.
ત્યારબાદ પ્રભાસતીર્થ સ્થિત પૂજ્ય ડોંગરેજી મહારાજ અન્નક્ષેત્ર ખાતે વિજયભાઈ રૂપાણીની સ્મૃતિમાં અન્નદાન કાર્યક્રમ યોજાયો હતો. યાત્રિકો, સાધુ-સંતો અને જરૂરિયાતમંદોને ભોજન પ્રસાદ અર્પણ કરીને તેમની યાદને જીવંત રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
વિજયભાઈ રૂપાણીના જીવનકાર્યને યાદ કરતાં સોમનાથની પવિત્ર ભૂમિ પરથી તેમને અપાયેલી આ શ્રદ્ધાંજલિ સૌ માટે ભાવુક અને સ્મરણિય ક્ષણ બની રહી હતી.


