સિવિલમાં ૧૦૮ના કર્મચારીઓએ પોલીસ ટેબલ પર માહિતી આપવાની પ્રક્રિયાબંધ
અમદાવાદ પોલીસ કમિશનરનો આદેશ : અન્ય જિલ્લામાં પણ અમલવારી કરાવવા ચાલતી વિચારણા
અગ્ર ગુજરાત, અમદાવાદ
અમદાવાદ શહેરમાં 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાના નિયમોમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. કટોકટીની સ્થિતિમાં દર્દીઓની સારવારમાં થતો વિલંબ ટાળવા માટે રોડ સેફ્ટી કમિટીની બેઠકમાં એક પ્રશંસનીય નિર્ણય લેવાયો છે. પોલીસ કમિશનરની ખાસ સૂચના બાદ હવે 108 ના સ્ટાફને હોસ્પિટલમાં આવીને લાંબી લાઈનોમાં ઊભા રહીને કેસ કઢાવવાની પ્રક્રિયામાંથી કાયમી મુક્તિ આપી દેવામાં આવી છે.
અત્યાર સુધીની સિસ્ટમ મુજબ, અકસ્માત કે અન્ય કોઈ ગંભીર ઇમરજન્સી સમયે જ્યારે 108 દર્દીને લઈને હોસ્પિટલ પહોંચતી, ત્યારે તેના સ્ટાફે પોલીસ ટેબલ પર દર્દી અંગેની તમામ વિગતો આપવી પડતી હતી અને કેસ કઢાવવા માટે થોભવું પડતું હતું. નવી સૂચના અનુસાર, હવે 108 ના કર્મચારીઓએ પોલીસ ટેબલ પર કોઈ માહિતી આપવાની રહેશે નહીં. જો કે, દર્દીની તબીબી સુરક્ષાને ધ્યાનમાં રાખીને હોસ્પિટલમાં દાખલ કરવા અંગે માત્ર CMO (ચીફ મેડિકલ ઓફિસર) ટેબલ પર જ વિગતો નોંધાવવાની રહેશે.
અમદાવાદમાં રોજ સરેરાશ 150 જેટલા ઇમરજન્સી ફેરા થાય છે. અગાઉની બિનજરૂરી કાગળિયાં પ્રક્રિયામાં 108 નો સ્ટાફ રોકાઈ રહેતો હોવાથી કટોકટીના સમયે મોટી મુશ્કેલી નડતી હતી. ખાસ કરીને જ્યારે શહેરમાં એકસાથે એકથી વધુ અકસ્માત કે ઘટનાઓ બને, ત્યારે એમ્બ્યુલન્સને બીજા લોકેશન પર જલ્દી પહોંચવામાં વિલંબ થતો હતો. હવે આ નિર્ણયથી દરેક ફેરા દીઠ અંદાજે 15 થી 20 મિનિટ જેટલો કિંમતી સમય બચશે, જે ગોલ્ડન અવરમાં દર્દીઓનો જીવ બચાવવા માટે ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થશે.


