ચાંદીની આયાત માટે DGFTની મંજૂરી ફરજીયાત
એપ્રિલમાં આયાત વાર્ષિક ધોરણે ૧૫૭ ટકા વધી રૂ.૪૧.૧૦ ડોલર પહોંચી
અગ્ર ગુજરાત, નવી દિલ્હી
સરકારે સોનાની આયાત પર કડક નિયંત્રણો બાદ હવે ચાંદીને લઈ કડક કાર્યવાહી કરી છે. સરકારે સ્પષ્ટ કહ્યું છે કે હવેથી 99.9% અથવા તો શુદ્ધ ચાંદીની પ્રોડક્ટ્સની આયાત માટે ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) પાસેથી આયાતની મંજૂરી મેળવવી જરૂરી બનાવવામાં આવી છે.
વાણિજ્ય વિભાગ તરફથી મંગળવારે એક નોટિફિકેશનમાં આયાત નીતિમાં ફેરફાર કરતાં કહ્યું કે સિલ્વર પાઉડર (Silver Powder), સિલ્વર ગ્રેન અને અન્ય કેટલીક અનવ્રોટ ચાંદીના ઉત્પાદનોની આયાત હવે ફક્ત DGFTની અગાઉથી મંજૂરી મેળવીને જ કરી શકાશે.
આ તમામ ઉત્પાદનો અગાઉની માફક નિયંત્રિત કેટેગરી એટલે કે રિસ્ટ્રીક્ટેડ કેટેગરીમાં રહેશે. જોકે ચાંદીને લગતા ઉત્પાદનોની આયાત પર ચાંપતી નજર વધારી દેવામાં આવી છે.
અત્યાર સુધી આ ઉત્પાદનોની આયાત ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા નોટિફાડ બેન્કો, DGFT દ્વારા નિયત કરાયેલી એજન્સીઓ તથા ઈન્ડિયન ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX) મારફતે આયાત કરવામાં આવતા IFSCA મંજૂરી ધરાવતા જ્વેલર્સ મારફતે કરી શકાતી હતી. જોકે નવા નિયમો અંતર્ગત ઈમ્પોર્ટનું માધ્યમ ગમે તે હોય DGFT પાસેથી આયાત અંગે અધિકૃતિ મેળવવી જરૂરી બનશે.
DGFTના નોટિફિકેશન પ્રમાણે સોના કે પ્લેટિનમની પરત ચડાવેલ ચાંદી સહિત 99.9 ટકા અથવા તેનાથી વધારે શુદ્ધતા ધરાવતી ચાંદી, તેના પાઉડર, ગ્રેન અને અન્ય અર્ધ-નિર્મિત સ્વરૂપની આયાતો ફક્ત DGFTની મંજૂરી મળ્યા બાદ જ શક્ય બનશે.
સરકાર તરફથી એવા સમયે નિયંત્રણ કરવામાં આવી રહ્યાં છે કે દેશમાં ચાંદીની આયાત તેજીથી વધી છે. સરકારના આંકડા પ્રમાણ એપ્રિલમાં ચાંદીની આયાત વાર્ષિક ધોરણે 157 ટકા વધી રૂપિયા 41.10 કરોડ ડોલર પહોંચી ગયા છે. નાણાકીય વર્ષ 2025-26માં ચાંદીની આયાત રેકોર્ડ 12 અબજ ડોલર રહ્યાં, જે ગયા નાણાકીય વર્ષના 4.8 અબજ ડોલરની તુલનામાં ઘણું વધારે છે.


