અમુ સિંગલ જેતપુર
જેતપુરમાં ડીઝલ-ખાતરની અછત અને ભાવ વધારા મુદ્દે કોંગ્રેસનું મામલતદારને આવેદનપત્ર
તાકિદે યોગ્ય પગલા ભરવા રજૂઆત કરાઈ
અગ્ર ગુજરાત, જેતપુર
જેતપુર શહેર અને તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને ખેતીકામ માટે અનિવાર્ય એવા ડીઝલની અછત અને રાસાયણિક ખાતરની તંગી તેમજ આસમાને પહોંચેલા ભાવોને લઈને સ્થાનિક સ્તરે ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ગંભીર જનસમસ્યા મુદ્દે જેતપુર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગોવિંદભાઈ પી. ડોબરીયાની આગેવાની માં જેતપુરના મામલતદારને એક લેખિત આવેદનપત્ર પાઠવી તાત્કાલિક યોગ્ય પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.
આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, આપણો દેશ ખેતીપ્રધાન દેશ છે અને ખેતી માટે ટ્રેક્ટર સહિતના આધુનિક સાધનો ચલાવવા માટે ડીઝલ અનિવાર્ય ઘટક છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી જેતપુર અને આસપાસના વિસ્તારોમાં પેટ્રોલ પંપો પર ડીઝલ લેવા માટે લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. આ અછતના કારણે માત્ર ખેતી જ નહીં, પરંતુ સામાન્ય વાહનચાલકો અને પરિવહન ક્ષેત્રને પણ મોટો ફટકો પડ્યો છે. અનેક વાહનો ડીઝલ વિના થંભી ગયા છે, જેનાથી જનજીવન પ્રભાવિત થયું છે.
બીજી તરફ, ચોમાસાની સીઝન નજીક આવી રહી છે ત્યારે ખેતીના પાક માટે અત્યંત જરૂરી એવા ખાતરની પણ ભારે અછત સર્જાઈ છે. મંડળીઓ અને એજન્સીઓ દ્વારા હાલમાં માત્ર ખેડૂત ખાતેદાર દીઠ માત્ર ૨ (બે) થેલી જ ખાતર આપવામાં આવી રહ્યું છે, જે પૂરતું નથી. આ ઉપરાંત ખાતરમાં સમયાંતરે કરવામાં આવેલો ભાવવધારો ખેડૂતોની કમર તોડી રહ્યો છે. જો ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર અને ડીઝલ નહીં મળે, તો આગામી સમયમાં પૂરતી ઉપજ કે પાક ઉત્પાદન મેળવવાની કોઈ સંભાવના રહેશે નહીં.
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈને શહેર તેમજ તાલુકાની આમ જનતા અને ખેડૂતોના હિતમાં તાત્કાલિક સમયસર ડીઝલ અને ખાતરનો પુરવઠો ઉપલબ્ધ કરાવવામાં આવે તેમજ ખાતરના ભાવો ઘટાડવા માટે યોગ્ય અને નક્કર પગલાં લેવામાં આવે તેવી કોંગ્રેસ દ્વારા અજુઆત કરવામાં આવી હતી.


