છુટાછેડા મેળવવા કરેલ અરજી નામંજૂર કરી, પત્નીને લગ્નજીવનની ફરજો પૂરી કરવાનો હુકમ
૨૦૨૦માં કરેલી પત્નીની અરજી મુદ્દે ફેમીલી કોર્ટનો ચૂકાદો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં આવેલ જલારામ ચોક પાસે રહેતા દંપતી વચ્ચે વૈવાહિક તકરારોના કારણે પત્ની તેણીના પુત્ર સાથે સને ૨૦૨૦ માં રેલનગર વિસ્તારમાં તેમના પિયર જતાં રહેલ અને પતિ તથા સાસરીયાવાળા વિરુદ્ધ ભરણપોષણ તથા ઘરેલું હિંસા વિગેરે જેવા અલગ અલગ કેસો કરેલ અને રાજકોટ ફેમેલી કોર્ટમાં પતિ પાસેથી છુટાછેડા મેળવવા અરજી કરેલ જે ફેમેલી કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવેલ અને પતિએ લગ્નના હક્કો ભોગવવા પત્નીને પરત લાવવા ફેમેલી કોર્ટમાં અરજી કરેલ જે નામદાર ફેમેલી કોર્ટ દ્વારા મંજુર કરી પત્નીને લગ્નજીવનની ફરજો પૂરી કરવા પતિના ઘેર રહેવા જવાનો આદેશ કરવામાં આવેલ.
આ કેસની હકીકત એવી કે, રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં આવેલ જલારામ ચોક ખાતે રહેતા દંપતી વચ્ચે વૈવાહિક તકરારોના કારણે પત્ની તેણીના પુત્ર સાથે સને ૨૦૨૦ માં રેલનગર વિસ્તારમાં તેમના પિયર જતાં રહેલ અને ત્યારબાદ પતિ તથા સાસરીયાવાળા વિરુદ્ધ ભરણપોષણ તથા ઘરેલું હિંસા વિગેરે જેવા અલગ અલગ કેસો કરેલ અને પતિ પાસેથી છુટાછેડા મેળવવા ૨૦૨૩ માં રાજકોટ ફેમેલી કોર્ટમાં હિન્દુ મેરેજ એક્ટની કલમ-૧૩(એ) હેઠળ અરજી કરેલ જેમાં પત્નીએ પતિ તથા તેમના પરિવારજનો વિરુદ્ધ અસહ્ય શારીરિક, માનસિક તથા આર્થિક દુઃખત્રાસ આપવા અને ફીનાઈલ પીવડાવવા જેવા ગંભીર આક્ષેપો કરી સામાન્ય નાની તકરારોને ખોટી રીતે મોટું સ્વરૂપ આપી ડિવોર્સની માંગણી કરેલ જે કેસમાં પતિને નામદાર કોર્ટની નોટીસ મળતા પતિ તેમના એડવોકેટ સાથે ફેમેલી કોર્ટમાં હાજર થયેલ અને પત્નીને લગ્નજીવન ચલાવવા પરત તેડી આવવા સને ૨૦૨૪ માં હિન્દુ મેરેજ એક્ટની કલમ-૯ હેઠળ ફેમેલી કોર્ટમાં અરજી કરેલ જે બન્ને કેસો સાથે ચાલી જતાં પતિ તરફે કોઈ દુઃખત્રાસ આપેલ ન હોવાનું અને ફીનાઈલ પીવરાવવા જેવા ગંભીર આક્ષેપો ખોટા હોવાનું નામદાર કોર્ટમાં સાબિત કરેલ અને રજુ રાખેલ તમામ દસ્તાવેજી પુરાવાઓ, પતિ તરફે તપાસવામાં આવેલ સાક્ષીઓ તેમજ કરવામાં આવેલ લેખીત, મૌખિક દલીલોને ધ્યાને લઇ નામદાર ફેમેલી કોર્ટ દ્વારા પત્ની દ્વારા કરવામાં આક્ષેપો ગ્રાહ્ય ન રાખી, પત્નીએ પતિ પાસેથી છુટાછેડા મેળવવા કરેલ અરજી નામંજૂર કરવામાં આવેલ અને પતિએ લગ્નના હક્કો ભોગવવા પત્નીને પરત તેડી જવાની અરજી મંજુર કરી, પત્નીને લગ્નજીવનની ફરજો પૂરી કરવા પતિના ઘરે રહેવા જવાનો આખરી હુકમ કરવામાં આવેલ.
ઉપરોક્ત બન્ને કામમાં પતિ વતી રાજકોટના પી. એમ. શાહ લો ફર્મ (મો. ૯૯૦૪૦ ૮૬૪૨૯) ના એડ્વોકેટ પીયષુભાઈ એમ. શાહ, અશ્વિનભાઈ ગોસાઈ, નિવિદભાઈ પારેખ, નિતેષભાઈ કથીરીયા, જીતેન્દ્રભાઈ ધૂળકોટીયા, વિજયભાઈ પટગીર, હર્ષિલભાઈ શાહ, ચિરાગભાઈ શાહ, રાજેન્દ્રભાઈ જોષી, રવિરાજભાઇ વાળા તથા આસિસ્ટન્ટ તરીકે રાજાભાઈ ભટ્ટ તથા વિપુલભાઈ દેવમુરારી રોકાયેલા હતા.


