હલકુ લોહી હવલદારનું! સુરત મનપામાં સર્જાયેલા દ્રશ્યો
નકલી ડિમોલેશન રોકવામાં નિષ્ફળ તંત્રનો પત્રકારો પર લાઠીચાર્જ
કૌભાંડ અંગે સવાલ પૂછતા મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ ભાગ્યા, વધુ પ્રશ્નો કરતા માર્શલો બોલાવ્યાં, માર્શલોએ પત્રકારોના કોલર પકડયા
મીડિયા સાથે ધક્કામુક્કી અને ઉધ્ધતાઇ ભર્યુ વર્તન, પોલીસે લાકડીઓ વિંઝી : બિલ્ડરોને બચાવવા સત્તાધીશો અને જવાબદાર અધિકારીઓ બેફામ બન્યાના આક્ષેપ
૧3 દિવસે પણ ડિમોલેશન કોણ કરી ગયુ તેનાથી તંત્ર અને મ્યુનિ.કમિશનર અજાણ : માત્ર એક જ રટણ કરતા અધિકારી, તપાસનો વિષય છે
અગ્ર ગુજરાત, સુરત
સુરતના નાસીરનગરના ભૂતિયા ડિમોલિશનને લઈ ભારે વિવાદ છંછેડાયો છે, ત્યારે ડિમોલિશન કોણે કર્યું તે જાણવા સુરતનું મીડિયા મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજન પાસે પહોંચ્યું હતું. આ દરમિયાન મ્યુ. કમિશનર અને એન્જિનિયર આશિષ નાયક મીડિયાના સવાલોના જવાબો આપવાને બદલે SMCના કોન્ફરન્સ રૂમમાં ભાગ્યા હતા અને દરવાજા બંધ કરી દીધા હતા.
આ દરમિયાન મીડિયા જ્યારે કોન્ફરન્સ રૂમમાં મ્યુ. કમિશનરને મળવા જાય છે, ત્યારે માર્શલો બોલાવીને બળપ્રયોગ કરવામાં આવ્યો હતો અને માર્શલના લોકોએ પત્રકારનો કોલર પકડી ધક્કામુક્કી કરી હતી. મીડિયા સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું. જોકે, સ્થિતિ વણસતા લાલ ગેટ પોલીસને બોલાવવામાં આવી હતી અને પોલીસ દ્વારા બે મીડિયા કર્મચારીઓને લાઠી મારવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર મામલે સુરત મહાનગરપાલિકાનું પ્રાંગણ જાણે સમરાંગણ બન્યું હોય તેમ બેફામ બનેલા બિલ્ડરોને બચાવવા પોલીસ લાચાર બની હોય તેમ મીડિયા પર શૂરી અને લાઠીઓ વિંઝી હતી. તેમજ ભૂતિયા ડિમોલિશનના કલંકને મિટાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા.
ભૂતિયા ડિમોલિશનના 13મા દિવસે SMCમાં ભારે હંગામા બાદ મ્યુનિસિપલ કમિશનર મીડિયા સામે આવ્યા હતા. મ્યુ. કમિશનર એમ. નાગરાજન જાણે કે અધિકારીઓને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું હતું અને મીડિયા સાથેની વાતચીત દરમિયાન 8 મિનિટમાં મ્યુ. કમિશનર 18 વખત એક જ શબ્દ બોલ્યા હતા કે આ તપાસનો વિષય છે.
સુરતના મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજને જણાવ્યું હતું કે, નાસીરનગરમાં અમારા અધિકારીઓ ગયા હતા અને એ વિષયમાં આજે નિવેદન પણ આપ્યું છે. આગળ જે બનાવ બન્યો છે એના વિશે તપાસ સમિતિ રચવામાં આવી છે. તપાસ સમિતિનો જે પણ રિપોર્ટ આવશે તેના મુજબ કામગીરી કરવામાં આવશે.
આપણે વીડિયોમાં જોયું છે કે, ઘણા બધા મકાનોમાં તોડફોડ કરવામાં આવી હતી. તો એ કાય સંજોગોમાં બન્યું છે એના માટે તપાસ સમિતિ રચવામાં આવી છે. એટલે હું આપ સૌને વિનંતી કરું છું કે, તપાસ સમિતિનો રિપોર્ટ આવે ત્યાં સુધી થોડી શાંતિ રાખો. અમે એક સરકારી કર્મચારી છીએ. નિયમોથી બંધાયેલા છીએ તો અમારી પ્રોસેસ પ્રક્રિયામાં અમારે જવાનું હોય છે.
ડિમોલિશન કોણે કર્યું તે મને ખબર નથી: મ્યુ. કમિશનર
મીડિયાએ સવાલ કર્યો કે ડિમોલિશનના 13 દિવસ બાદ ખુલાસો કરવામાં આવે છે, ત્યારે મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, જ્યારે માહિતી મળશે, ત્યારે જ ખુલાસો કરવામાં આવશે. જ્યારે મીડિયા દ્વારા ડિમોલિશન કોણે કર્યું તે પૂછવા પર કમિશનરને કહ્યું કે, મને ખબર નથી અને તે તપાસનો વિષય છે. આના માટે તો સમિતિ બનાવી છે. પત્રકારોના દરેક સવાર પર કમિશનરનું એક જ રટણ હતું કે, તપાસનો વિષય છે. કમિટીની રચના કરાઈ છે.
૧૦૦ પરિવારોના આશરાનો સવાલ
એક તરફ સુરતના ભૂતિયા ડિમોલિશને SMC અને SOGની ઉંઘ ઉડાડી દીધી છે. ત્યાં બીજી તરફ જેના લીધે આ આખો ખેલ ખેલાયો તે બિલ્ડર બેફામ બન્યા છે. એક તરફ 13 દિવસથી 100 પરિવાર ઘરવિહોણા બની ગયા છે તો બીજી તરફ આ બેફામ બિલ્ડરોનું કામ હજુ પણ ચાલી રહ્યું છે.
આ બધા વચ્ચે સૌથી શંકાસ્પદ વાત એ છે કે કોઈ પણ મંજૂરી વગર કામ ચાલુ કર્યું હોવા છતાં SMC માત્ર બિલ્ડિંગના બેઝમેન્ટ/પાયાનાં ખોદાણમાં માટી પુરાણ કરવાની નોટિસ આપી રહી છે. ત્યારે સવાલ એ ઉઠે છે કે SMCને કામ બંધ કરાવવામાં આટલો ડર કેમ લાગે છે? તેવા સવાલો ઉભા થયા છે.


