અરવલ્લીના મેઘરજમાં ૭૦થી વધારે કાર્યકરોએ પંજાનો સાથ છોડી દીધો
વર્ષોથી પક્ષમાં રહેલા કાર્યકરોને ભાજપની વિકાસ ગાથાએ આંજયા હોવાનો દાવો
અગ્ર ગુજરાત, અરવલ્લી
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં કેટલાકના પત્તા કપાતા પક્ષો સામે મોરચા માંડયા છે. રાજીનામા પડયા છે તો પક્ષને કેટલીક જગ્યાએ પક્ષ છોડવાની ઘટના બની છે. ત્યારે અરવલ્લીના મેઘરજ તાલુકામાં કોંગ્રેસના ૭૦થી વધારે કાર્યકરોએ પક્ષમાંથી રાજીનામુ ધરી દીધુ છે.
અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો માહોલ જામ્યો છે. ત્યારે મેઘરજમાં કોંગ્રેસને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. મેઘરજના ઈંદીરાનગર વિસ્તારમાં યોજાયેલા એક ખાસ કાર્યક્રમમાં કોંગ્રેસના 70થી વધુ સક્રિય કાર્યકરોએ પક્ષને અલવિદા કહીને ભારતીય જનતા પાર્ટીનો છેડો પકડ્યો છે.
મેઘરજના ઈંદીરાનગર સ્થિત હુસેની ચોક ખાતે ભાજપ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેઘરજ જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવાર રૂપલબેનની પ્રેરક ઉપસ્થિતિમાં કોંગ્રેસના પાયાના કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. ભાજપમાં જોડાનારાઓમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષ કાર્યકરોનો સમાવેશ થાય છે.
આ કાર્યક્રમમાં મેઘરજ-1 અને મેઘરજ-2 તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારો પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકરોએ જણાવ્યું હતું કે, ભાજપની વિકાસલક્ષી નીતિઓથી પ્રભાવિત થઈને તેઓ પક્ષમાં જોડાઈ રહ્યા છે. ચૂંટણીના ટાણે જ આટલી મોટી સંખ્યામાં કાર્યકરોનું પક્ષપલટો કરવું એ કોંગ્રેસ માટે ચિંતાનો વિષય બન્યો છે.


