ગીરમાં વન વિભાગની બેવડી નીતિનો વધુ એક કિસ્સો, રાજભાને લીલીઝંડી, અન્યને ધૂતકાર
જૂનાગઢના દેવગામ ગીરના માલધારીની અરજી ફગાવી દેતા ફરી વિવાદ છેડાયો : જંગલ ખાતાના નિયમ સામે અરજદારોમાં ઉઠેલા સવાલો
અગ્ર ગુજરાત, જૂનાગઢ
ગીર પૂર્વમાં વનવિભાગ દ્વારા જાણીતા કલાકાર રાજભા ગઢવીને માલધારી તરીકે વસવાટ અંગે ગ્રીન સિગ્નલ આપતા જ સતત વિવાદ સર્જાઈ રહ્યો છે. આ મંજૂરીને કારણે વનવિભાગની બેવડી નીતિ સામે સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે અન્ય માલધારીઓની સમાન પ્રકારની અરજીઓ નકારવામાં આવી રહી છે. માલધારીઓ અનેક મહિનાઓથી સંઘર્ષ કરી રહ્યા છે અધિકારીઓ કોઈને કોઈ વાંધો કાઢીને અરજી નામંજૂર કરી રહ્યા છે.
રાજભા ગઢવીએ અગાઉ જંગલમાંથી નેસડા છોડ્યા બાદ ફરી માલધારી તરીકે વસવાટની મંજૂરી માંગી હતી. વર્ષ 2023માં તેમના પિતાની અરજી ધારી ગીર પૂર્વ વનવિભાગ દ્વારા રદ કરવામાં આવી હતી. જોકે, રાજભા ગઢવી અને તેમના કાકાએ ફરી અરજી કરતા વર્ષ 2026માં તેમને મંજૂરી આપવામાં આવી હતી. આ મંજૂરી પત્ર વાયરલ થતા વિવાદ વકર્યો છે. અનેક માલધારીઓએ સરકાર અને વનવિભાગ સમક્ષ માંગ કરી છે કે, અગાઉ રદ કરાયેલા તમામ માલધારીઓને નેસડામાં વસવાટ કરવાની મંજૂરી આપવામાં આવે.
ગીર પશ્ચિમ વનવિભાગમાં પણ આવા જ એક કિસ્સો સામે આવ્યો છે. જૂનાગઢ જિલ્લાના દેવગામ ગીરના ડાયાભાઇ વિસાભાઇ ચાવડાએ કરેલી અરજી વનવિભાગે 6 મહિના પહેલા નામંજૂર કરી હતી. હવે એ અરજી હાલ ચર્ચાનો વિષય બની છે.
ડાયાભાઇ ચાવડાએ 13-08-2025 તેમજ 13-12-2025ના રોજ ગીર પશ્ચિમ વનવિભાગ સમક્ષ અરજી કરી હતી કે, અમારા પૂર્વજો જન્મથી ફોરેસ્ટ વિસ્તારમાં આબુડી નેશ તેમજ ભેરીયા નેશમાં વસવાટ કરતા હતા. જોકે, 1975થી અમને જંગલ વિસ્તારમાંથી અનઅધિકૃત રીતે બહાર કાઢી મુકવામાં આવ્યા હતા. તેમણે મસવાડી ખેતર, પશુ ચરણ, ઇંધણ એકત્રીત કરવા અને ઔષધિઓ છોડનો ઉપયોગ કરવા માટે મસવાડી પાસની જરૂરિયાત દર્શાવી હતી. જોકે, ગીર પશ્ચિમમાં તેમની આ અરજી મંજૂર કરવામાં આવી ન હતી, જે ગીર પૂર્વ અને પશ્ચિમ વચ્ચેના નિયમોના તફાવતને વધુ સ્પષ્ટ કરે છે.
આ અરજીને વધુ તપાસ માટે રેન્જ ફોરેસ્ટ ઓફિસર દેવળીયા મોકલવામાં આવી હતી. જે અંગે ગીર પશ્ચિમ વન વનવિભાગે જવાબ આપ્યો હતો કે, તારીખ 30/09/2025થી તેઓના જણાવ્યા પ્રમાણે સ્થળ તપાસ કરતા પૂર્વજો કે અરજદારના કોઈ પણ વ્યક્તિ આબુડી નેશમાં હાલની સ્થિતિમાં વસવાટ કરતા નથી અને ભેરિયાનેસમાં પણ કોઈ પણ વ્યક્તિ હાલમાં રહેતા નથી.


