રાજકોટને મળ્યો નવો ટ્રાફિક લાઇફલાઇન
હર્ષ સંઘવીએ ખુલ્લો મૂક્યો નવનિર્મિત સાંઢિયા ફોરલેન બ્રિજ
120 ગર્ડર સાથે 74.32 કરોડના ખર્ચે બનેલો આધુનિક બ્રિજ ખુલતા રોજના 1 લાખથી વધુ વાહનચાલકોને મળશે રાહત, જામનગર રોડ પર ટ્રાફિક સમસ્યાનો આવશે અંત
અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટવાસીઓ લાંબા સમયથી જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે નવનિર્મિત સાંઢિયા ફોરલેન બ્રિજ આખરે લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. શનિવારે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રૂ. 74.32 કરોડના ખર્ચે તૈયાર થયેલો આ આધુનિક ફોરલેન બ્રિજ હવે રાજકોટ-જામનગર માર્ગ પર વાહનવ્યવહારને વધુ સરળ અને ઝડપી બનાવશે.
લોકાર્પણ બાદ હર્ષ સંઘવીએ મેયર અને અન્ય પદાધિકારીઓ સાથે ખુલ્લી જીપમાં બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન ટ્રાફિક પોલીસે થોડા સમય માટે વાહનોને રોક્યા હતા, પરંતુ લોકોની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને હર્ષ સંઘવીએ તાત્કાલિક ટ્રાફિક શરૂ કરવાની સૂચના આપી હતી. બ્રિજ ખુલતા જ સ્થાનિક નાગરિકો અને વાહનચાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ જૂનો સાંઢિયા બ્રિજ વર્ષો જૂનો અને જર્જરિત બની ગયો હતો. તેની સ્થિતિ એવી હતી કે કોઈપણ સમયે ગંભીર અકસ્માત સર્જાઈ શકે તેવી ભીતિ હતી. હવે તેની જગ્યાએ આધુનિક સુવિધાઓથી સજ્જ અને વધુ ક્ષમતાવાળો ફોરલેન બ્રિજ બનાવવામાં આવ્યો છે. અગાઉ અહીં ટુ-લેન બ્રિજ હોવાથી વાહનોની ભારે ભીડ સર્જાતી હતી, જ્યારે નવા ફોરલેન બ્રિજથી ટ્રાફિકનું દબાણ નોંધપાત્ર રીતે ઘટશે.
ખાસ કરીને સિવિલ હોસ્પિટલ વિસ્તારથી માધાપર ચોકડી તરફ જતા વાહનચાલકો માટે આ બ્રિજ આશીર્વાદરૂપ સાબિત થશે. અંદાજે રોજના 1 લાખથી વધુ વાહનો આ માર્ગ પરથી પસાર થાય છે. નવા બ્રિજના કારણે મુસાફરીનો સમય ઘટશે તેમજ ઇંધણની પણ બચત થશે.
બ્રિજના લોકાર્પણ પહેલાં તેની ગુણવત્તા અને સુરક્ષા અંગે ખાસ ધ્યાન અપાયું હતું. રાજકોટના મેયર ડો. નેહલ શુક્લાએ થોડા દિવસ પહેલાં સ્થળ મુલાકાત દરમિયાન વરસાદી પાણીના નિકાલ સહિતની કેટલીક ખામીઓ શોધી કાઢી હતી. ત્યારબાદ તાત્કાલિક અસરથી તમામ ખામીઓ દૂર કરવા માટે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને સૂચના આપવામાં આવી હતી. યુદ્ધના ધોરણે કામગીરી પૂર્ણ થતાં આજે બ્રિજ સંપૂર્ણપણે તૈયાર થઈ લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.ટેકનિકલ રીતે પણ આ બ્રિજ અત્યાધુનિક માનવામાં આવે છે. તેની કુલ પહોળાઈ 16.40 મીટર અને ઊંચાઈ 6.25 મીટર છે. માધાપર ચોકડી અને હોસ્પિટલ ચોક તરફ તેની લંબાઈ 298-298 મીટર છે, જ્યારે રેલવે ટ્રેક ઉપર 36 મીટરનો વિશાળ સ્પાન બનાવવામાં આવ્યો છે. જૂના રેલવે ઓવરબ્રિજને ડાયમંડ કટિંગ પદ્ધતિથી તબક્કાવાર દૂર કરી નવા બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
આ પ્રોજેક્ટ માટે 30 મહિનાનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ મનપાની દેખરેખ હેઠળ માત્ર 27 મહિનામાં કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. આગામી સમયમાં જનરલ બોર્ડમાં ઠરાવ પસાર કરી બ્રિજનું સત્તાવાર નામકરણ કરવામાં આવે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સાંઢિયા બ્રિજની મુખ્ય વિશેષતાઓ
કુલ ખર્ચ : રૂ. 74.32 કરોડ
પ્રકાર : ફોરલેન બ્રિજ
પહોળાઈ : 16.40 મીટર
ઊંચાઈ : 6.25 મીટર
લંબાઈ : 298 મીટર (બંને તરફ)
રેલવે સ્પાન : 36 મીટર
કુલ ગર્ડર : 120
વાહનચાલકોને શું મળશે ફાયદો?
રોજના 1 લાખથી વધુ વાહનચાલકોને સીધો લાભ
જામનગર રોડ પર ટ્રાફિક ભીડમાં ઘટાડો
મુસાફરીનો સમય ઓછો થશે
ઇંધણની બચત થશે
સિવિલ હોસ્પિટલથી માધાપર ચોકડી માર્ગ વધુ સરળ બનશે
મેયરની મુલાકાત બાદ દૂર કરાઈ ખામીઓ
વરસાદી પાણીના નિકાલની સમસ્યા સામે આવી હતી
ફિનિશિંગ અને ટેકનિકલ ખામીઓ મળી હતી
કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને કડક સૂચના અપાઈ
યુદ્ધના ધોરણે સુધારણા કામગીરી હાથ ધરાઈ
તમામ ખામીઓ દૂર થયા બાદ જ લોકાર્પણ કરાયું
સમય પહેલાં પૂર્ણ થયો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ
નિર્ધારિત સમયગાળો : 30 મહિના
વાસ્તવિક પૂર્ણતા : 27 મહિના
ભોમેશ્વર પાસેથી ડાયવર્ઝન માર્ગ બનાવાયો હતો
રેલવે ટ્રાફિકને અસર ન થાય તે રીતે કામગીરી કરાઈ
ભવિષ્યમાં બ્રિજનું નામકરણ થવાની શક્યતા છે.
નરેશ પટેલ-હર્ષ સંઘવીની બંધ બારણે મુલાકાતે રાજકીય ગરમાવો: ‘માત્ર સામાજિક ચર્ચા’નું સ્પષ્ટીકરણ
રાજકોટમાં સાંઢીયા ફોરલેન પુલના લોકાર્પણ બાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક કાગવડ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના નિવાસસ્થાને પહોંચતા રાજકીય વર્તુળોમાં ચર્ચાઓનો દોર શરૂ થયો છે. બંને આગેવાનો વચ્ચે લગભગ અડધો કલાક સુધી બંધ બારણે બેઠક યોજાઈ હતી. વર્ષ 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે યોજાયેલી આ મુલાકાતને લઈને અનેક અટકળો વહેતી થઈ હતી, જોકે બંને પક્ષોએ તેને માત્ર શુભેચ્છા અને સામાજિક મુલાકાત ગણાવી છે.
મુલાકાત બાદ નરેશ પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમના ઘરે ચા-પાણી માટે આવ્યા હતા અને બંને વચ્ચે માત્ર સામાજિક વિષયો પર જ ચર્ચા થઈ હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ મુલાકાતને કોઈ રાજકીય રંગ આપવાની જરૂર નથી અને અન્ય કોઈ ખાસ ચર્ચા થઈ નથી.
આ અંગે ધારાસભ્ય રમેશ ટીલાળાએ પણ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે હર્ષ સંઘવીની ઇચ્છા હતી કે તેઓ નરેશભાઈ પટેલને શુભેચ્છા મુલાકાત આપે. તેથી તેઓ તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે નરેશ પટેલની નિવૃત્તિનો નિર્ણય સંપૂર્ણપણે વ્યક્તિગત બાબત છે અને આ મુલાકાતને રાજકીય દ્રષ્ટિએ જોવી યોગ્ય નથી.
જોકે, આ મુલાકાતનું મહત્વ એટલા માટે પણ વધ્યું છે કે થોડા સમય પહેલાં જ નરેશ પટેલે જાહેર મંચ પરથી નિવૃત્તિના સંકેતો આપ્યા હતા. આગામી જાન્યુઆરી-2027માં કાગવડ સ્થિત ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના દસ વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘દશાબ્દી મહોત્સવ-2027’નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવના પ્રચાર અને આમંત્રણ માટે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ગુજરાતભરમાં ત્રણ રથયાત્રાઓ પણ પ્રસ્થાન કરાવવામાં આવી છે.
દશાબ્દી મહોત્સવના પ્રારંભ પ્રસંગે નરેશ પટેલે જણાવ્યું હતું કે હવે ખોડલધામની ટીમ સંપૂર્ણપણે સક્ષમ બની ગઈ છે અને તેઓ પોતે આરામ કરવા માંગે છે. તેમણે સંકેત આપ્યો હતો કે વર્ષ 2027 દરમિયાન તેઓ સક્રિય જવાબદારીઓમાંથી નિવૃત્તિ લઈ શકે છે. સાથે જ તેમણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે તેમની જગ્યાએ તેમના પરિવારનો કોઈ સભ્ય નેતૃત્વ સંભાળશે નહીં.
નરેશ પટેલના આ નિવેદન બાદ ખોડલધામના ભાવિ નેતૃત્વ અંગે પણ ચર્ચાઓ શરૂ થઈ છે. રાજકીય અને સામાજિક વર્તુળોમાં એવી અટકળો ચાલી રહી છે કે તેમની નિવૃત્તિ બાદ અનાર પટેલને વધુ મહત્વપૂર્ણ ભૂમિકા સોંપવામાં આવી શકે છે. જોકે ટ્રસ્ટ તરફથી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ દરમિયાન હર્ષ સંઘવી અને નરેશ પટેલ વચ્ચે થયેલી મુલાકાતે ફરી એકવાર ચર્ચાઓને વેગ આપ્યો છે. બંને આગેવાનોએ તેને સામાન્ય અને સામાજિક મુલાકાત ગણાવી હોવા છતાં, રાજ્યની રાજકીય પરિસ્થિતિ અને 2027ની ચૂંટણીના સંદર્ભમાં આ બેઠકને વિશેષ મહત્વથી જોવામાં આવી રહી છે. જોકે હાલ માટે બંને પક્ષો તરફથી કોઈ રાજકીય ચર્ચા કે નિર્ણયની શક્યતાને સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવી છે.


