જાફરાબાદના વડલી ગામનો રોડ ૧૦ વર્ષથી બિસ્માર: સ્થાનિક પ્રજામાં ઉગ્ર આક્રોશ
પ્રસૂતિ કે ઇમરજન્સી સમયે ગ્રામજનોની હાલત કફોડી, રસ્તાના અભાવે લોકો તોબા પોકારી ગયાં
અગ્ર ગુજરાત, રાજુલા
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના વડલી ગામ આજે પણ પાયાની સુવિધાઓથી વંચિત હોવાનું સામે આવ્યું છે. છેલ્લા ૧૦ વર્ષથી ગામનો મુખ્ય રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી ગ્રામજનો હેરાન પરેશાન થયા છે. તંત્ર કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી ન હતી. ભાજપના શાસનમાં વિકાસની વાતો વચ્ચે વડલી ગામમાં રસ્તાના નામે માત્ર ખાડાઓ જ જોવા મળી રહ્યા છે જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
વડલી ગામની સ્થિતિ એટલી દયનીય છે કે અહીંથી પસાર થવું વાહનચાલકો અને રાહદારીઓ માટે મુશ્કેલ બન્યું છે. રોડ પર મસમોટા ખાડાઓ પડી ગયા છે. ખાસ કરીને કોઈ ગંભીર બીમારી કે પ્રસૂતિ જેવી તાત્કાલિક મેડિકલ ઇમરજન્સી સમસ્યા ઉભી થાય ત્યારે ખરાબ રસ્તાને કારણે સમયસર હોસ્પિટલ પહોંચવું જોખમી બની જાય છે. રસ્તાની કફોડી હાલતના કારણે વડલી ગામના લોકો તોબા તોબા પોકારી ગયા છે. ગ્રામજનોએ આક્ષેપ છે કે, આ વિસ્તારમાં ભાજપનું શાસન હોવા છતાંપણ અનેક રજૂઆતો કર્યા બાદ પણ પરિણામ શૂન્ય આવ્યું છે.
ભાજપના પ્રતિનિધિઓ રસ્તાની સમસ્યા ઉકેલવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે. હાલમાં ચાલી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલમાં ટીંબી જીલ્લા પંચાયત બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીતેન્દ્રભાઈ વરૂ પોતાના સમર્થકો સાથે વડલી ગામે પ્રચાર અર્થે પહોંચ્યા હતા. ગામની આ બદતર હાલત જોઈ તેમણે મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કર્યો હતો. જીતેન્દ્રભાઈ વરૂએ ગ્રામજનોને વિશ્વાસ આપતા જણાવ્યું હતું કે, જો જનતા મને આશીર્વાદ આપીને ચૂંટશે , તો મારી પ્રાથમિકતા વડલી ગામનો નવો અને પાકો રસ્તો બનાવવાની રહેશે. વર્ષોથી હાલાકી ભોગવતી જનતાને આ સમસ્યામાંથી મુક્તિ અપાવીશ તેમ જણાવ્યું હતું. વડલી ગામે વિકાસનો જાણે ખાડો ખોદાયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. હવે જોવાનું એ રહે છે કે આ ચૂંટણીમાં રસ્તાનો આ પ્રશ્ને મતના રાજકારણમાં કેવો વળાંક લાવે છે. વડલી ગ્રામજનોની એક જ માંગ છે કે વહેલામાં વહેલી તકે નવો રસ્તો બનાવવાની માંગ કરવામાં આવી છે.


