જેતપુર વોર્ડ નં.૬માં રોડ-રસ્તા અને ગંદકીના મુદ્દે રહીશોમાં ભારે આક્રોશ
પ્રાથમિક સુવિધા નહી મળતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠયા
અગ્ર ગુજરાત, જેતપુર
જેતપુર નગરપાલિકાના વોર્ડ નંબર ૬ માં આવેલા ઉજળપા વિસ્તારના રહીશોએ તંત્ર સામે પોતાનો ઉગ્ર પોકાર અને આક્રોશ ઠાલવ્યો છે. સ્માર્ટ સિટીની વાતો વચ્ચે પણ આ વિસ્તારના નાગરિકો પ્રાથમિક સુવિધાઓ માટે વલખાં મારી રહ્યા છે.
જેતપુરના વોર્ડ નં. ૬ માં આવેલા ઉજળપા વિસ્તારના રહીશોએ તંત્ર સામે રોષ વ્યક્ત કરતા ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વિસ્તારની મહિલાઓએ એકત્ર થઈને તંત્રની ઘોર બેદરકારી સામે નગરપાલિકા સામે સવાલોનો મારો ચલાવ્યો છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, ઉજળપા વિસ્તારમાં પાકા રોડ-રસ્તાનો સર્વથા અભાવ છે. છેલ્લા ૧૦ વર્ષથી ઉજળપા વિસ્તારમાં રોડ બન્યો જ નથી. ચોમાસા દરમિયાન અને સામાન્ય વરસાદમાં પણ અહીં આખા રસ્તાઓ કાદવ-કીચડ (ગારા)થી ખદબદી ઉઠે છે. આ ઉપરાંત વિસ્તારમાં સફાઈ કામગીરી લાંબા સમયથી તદ્દન ઠપ થઈ ગઈ છે, જેના કારણે ઠેર-ઠેર ગંદકીના સામ્રાજ્ય અને રોગચાળો ફાટી નીકળવાનો ભય સેવાઈ રહ્યો છે. રહીશોએ અવારનવાર નગરપાલિકામાં રજૂઆતો કરી છે, પરંતુ તંત્ર દ્વારા માત્ર પોલા આશ્વાસનો જ આપવામાં આવે છે. અમે સમયસર ટેક્સ ભરીએ છીએ, તો અમને પાકા રોડ-રસ્તા અને સફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓ કેમ નથી મળતી
હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે આ વિસ્તારમાં આવેલા ઐતિહાસિક કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે રોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. પરંતુ મંદિર સુધી પહોંચવાના મુખ્ય માર્ગ પર જ ગંદા પાણી અને કાદવનું સામ્રાજ્ય હોવાથી ભક્તો માટે મંદિરે જવું અત્યંત મુશ્કેલ અને જોખમી બની ગયું છે. વડીલો અને બાળકો કાદવમાં લપસી પડવાના બનાવો પણ બની રહ્યા છે.
રોષે ભરાયેલા રહીશોની હવે એક જ માગ છે કે નગરપાલિકા તંત્ર કુંભકર્ણની નિદ્રામાંથી જાગે. હવે અમને ખોટા વાયદા કે આશ્વાસન નહીં, પણ ગ્રાઉન્ડ પર સીધું કામ જોઈએ છે. જો નગરપાલિકા વહેલી તકે ઉજળપા વિસ્તારના રોડ-રસ્તા અને સફાઈના પ્રશ્નોનું કાયમી નિરાકરણ આવે તેવી માંગ કરી રહ્યા છે.


