જેતપુરના મેવાસા-હરીપર માર્ગ પર લટકતી પુલની કામગીરીથી લોકો પરેશાન
અધિકારીઓને કામગીરી તુરંત શરૂ કરવા ધારાસભ્ય રાદડીયાની તાકીદ
અગ્ર ગુજરાત, જેતપુર
જેતપુર તાલુકાના મેવાસાથી હરીપર ગામને જોડતા માર્ગ પર R&B પંચાયત વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી પુલની કામગીરી છેલ્લા ઘણા સમયથી ખોરંભે પડતા સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. અટકેલી કામગીરી અને યોગ્ય ડાયવર્ઝનના અભાવે ખેડૂતોને પોતાના ખેતરો સુધી પહોંચવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.
ચૂંટણી પ્રચાર અર્થે આ વિસ્તારમાંથી પસાર થઈ રહેલા ધારાસભ્ય જયેશ રાદડિયાને ખેડૂતોએ અટકાવ્યા હતા અને પોતાની આપવીતી જણાવી હતી. ખેડૂતોએ ફરિયાદ કરી હતી કે મેવાસાથી હરીપર જવાના રસ્તે પુલની કામગીરી શરૂ તો કરવામાં આવી હતી, પરંતુ નબળી ગુણવત્તા અથવા અન્ય ટેકનિકલ કારણોસર કામ અધવચ્ચે જ બંધ કરી દેવામાં આવ્યું છે. પુલનું કામ બંધ હોવાથી અને વૈકલ્પિક રસ્તો ન હોવાથી ખેતીકામ માટે જવું દુષ્કર બન્યું છે.
ખેડૂતોની રજૂઆતને ગંભીરતાથી લઈ, ધારાસભ્ય જયેશ રાદડિયાએ સ્થળ પરથી જ R&B પંચાયતના ઉચ્ચ અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. તેમણે અધિકારીઓનો ઉધડો લેતા જણાવ્યું હતું કે, ખેડૂતોને પડતી હાલાકી જરા પણ ચલાવી લેવામાં આવશે નહીં. રાદડિયાએ અધિકારીઓને તુરંત જ કોન્ટ્રાક્ટર સાથે વાત કરી, આવતીકાલથી જ પુલની કામગીરી પૂરજોશમાં શરૂ કરાવવા અને વહેલી તકે પૂર્ણ કરવા કડક સૂચના આપી હતી.
નોંધનીય છે કે, લાંબા સમયથી બંધ પડેલી આ કામગીરીને કારણે ખેડૂતો આર્થિક અને શારીરિક રીતે પરેશાન થઈ રહ્યા હતા. હવે ધારાસભ્યને સીધી રજૂઆત બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને ખેડૂતોમાં આશા જન્મી છે કે વર્ષો જૂનો આ પ્રશ્ન હવે ઉકેલાઈ જશે.


