માંગરોળ તાલુકા પંચાયતમાં ભાજપનો ભવ્ય વિજય : આપનું ખાતું ખુલ્યું
જીલ્લા પંચાયતમા કોગ્રેસનો સફાયો, ચારેય બેઠકો પર ભાજપે જીત મેળવી
માંગરોળ તાલુકા પંચાયતમાં મુસ્લિમ વિસ્તારોમાંથી પણ ભાજપને મતો મળ્યા
માંગરોળ તાલુકા પંચાયતની 20 બેઠકમાં ભાજપને 12, કોંગ્રેસને 7 અને આપને 1 બેઠક મળી
અગ્ર ગુજરાત, માંગરોળ
જુનાગઢ જિલ્લા પંચાયતની ચાર બેઠકો અને તાલુકા પંચાયતની 20 બેઠકની મત ગણતરી માંગરોળ શારદા ગ્રામ કોલેજ આજે કરવામાં આવી હતી. જેમા જુનાગઢ જિલ્લા પંચાયતની ચારેય બેઠકો અને માંગરોળ તાલુકા પંચાયતમાં 12 બેઠકો પર ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે. માંગરોળ તાલુકાની મકતુપુર, મેખડી, શીલ અને ઓજી જીલ્લા પંચાયતની ચારેય બેઠક પર ભાજપે કબજો કરી લેતા કોંગ્રેસનો સફાયો થયો હતો. માંગરોળ મુસ્લિમ બાહુલ ઓજી બેઠક પર પણ ભાજપને મતો મળતા કોંગ્રેસના દિગ્ગજ નેતા વાલાભાઈ ખેર સામે ભાજપના જેઠાભાઈ ચુડાસમાએ વિજય મેળવ્યો હતો. એવી જ રીતે માંગરોળ તાલુકા પંચાયતની 20 બેઠકોમાથી ભાજપે 12 બેઠકો પર વિજય મેળવી સ્પષ્ટ બહુમતિ મેળવી લીધી છે. જ્યારે કોંગ્રેસે 7 બેઠકો પર વિજય મેળવ્યો છે. આમ આદમી પાર્ટીએ હુસેના બાદ બેઠક પર વિજય મેળવી ખાતુ ખોલ્યુ છે.
આ વખતની પંચાયતની ચૂંટણીમા ખરાખરીનો ખેલ જોવા મળ્યો હતો. માંગરોળ તાલુકાની ચાર જીલ્લા પંચાયત અને વીસ તાલુકા પંચાયત ની બેઠકો પર શરૂઆતથી ચૂંટણી જંગ જામ્યો હતો. જેમા ખાસ કરીને માંગરોળ ઓજી વિસ્તારમાં અનેરો ચૂંટણી જુવાળ જોવા મળ્યો હતો. એક તરફ કોંગ્રેસના દિગ્ગજ નેતા વાલાભાઈ ખેર સામે ભાજપના જેઠાભાઈ મંત્રી અને આમ આદમીના યુનૂસભાઈ બંમ વચ્ચે કાંટાની ટક્કર થઈ હતી. જેમા ભાજપને 8500, કોંગ્રેસને 6684 અને આપને 4470 મતો મળ્યા હતા. આ બેઠક વર્ષોથી કોંગ્રેસનું ગઢ ગણાય છે. પરંતુ આ વખતે સ્થાનિક કોંગ્રેસ પ્રત્યેની એન્ટી ઇન્કમ્બન્સીના લીધે ભાજપને પણ મુસ્લિમ મતો ખોબલે ખોબલે મળ્યા હતા. પરિણામે કોંગ્રેસના દિગ્ગજ નેતા વાલાભાઈ ખેર ની હાર થઈ હતી.
એવી જ રીતે માંગરોળ તાલુકા પંચાયતની ઓજી બેઠક પર મીમમાથી આવેલા કોંગ્રેસના નવનિયુક્ત ઉમેદવાર આબેદીનભાઈ જેઠવા, ભાજપના ફારૂકભાઈ હકીમ અને પૂર્વ સભ્ય હાજીભાઈ જેઠવા(ડટા)ના અપક્ષ ઉમેદવાર વચ્ચે ખરાખરીનો ખેલ જોવા મળ્યો હતો. જોકે તેમા ભાજપના ફારૂકભાઈ હકીમની જીત નિશ્ચિત મનાતી હતી. પરંતુ હાજી ભાઈ ડટાના અપક્ષ ઉમેદવાર ઉષ્માનભાઈ કોતલ ને 1008 મતો, આપને 658 અને ફારૂકભાઈ હકીમને 1464 મતો સામે કોંગ્રેસના આબેદીનભાઈ જેઠવાને 1551 મતો મળતા 87 મતે આબેદીનભાઈ જેઠવાને જીત મળી હતી. બીજી તરફ હુસેનાબાદ બેઠક પર આમ આદમી ના નારણભાઈ ચાવડાને કોંગ્રેસ સામે ફક્ત 2 મતથી વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. માંગરોળ તાલુકા પંચાયતની ચુંટણીમાં એકદરે મુસ્લિમ સમાજના નિર્ણાયક ગણાતા મતોનું રિતસરનુ વિભાજન થતુ જોવા મળ્યુ છે. જેમા મુખ્યત્વે સ્થાનિક કોંગ્રેસ પ્રત્યેની એન્ટી ઇન્કમ્બન્સી, યુવાનોની અવગણના અને સામાજિક આગેવાનો વચ્ચેની ખેચતાણ જવાબદાર ગણવામાં આવી રહી છે.


