મહેસાણા મનપાના વોર્ડ નં.૪માં ભાજપના ઉમેદવારના ભાણાની કરપીણ હત્યા
અન્ય એક ઘાયલ, કોંગ્રેસ ઉમેદવારના પતિ પણ ઇજાગ્રસ્ત : અજાણ્યા ૪-૫ શખ્સો છરી-પાઇપથી તૂટી પડયા : ગામમાં ચુસ્ત બંદોબસ્ત
અગ્ર ગુજરાત, મહેસાણા
મહેસાણામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે વોર્ડ નં. 4 માં રાજકીય વિવાદે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. તાવડિયા રોડ પર ભાજપ અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે થયેલી અથડામણમાં ભાજપના ઉમેદવારના ભાણા મિતેન ચૌધરી પર 4થી 5 અજાણ્યા શખ્સોએ છરી, લાકડીઓ અને પાઈપ વડે જીવલેણ હુમલો કર્યો હતો.
જેમાં ગંભીર ઇજાઓને કારણે મિતેન ચૌધરીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ હુમલામાં અન્ય એક યુવક ધીમંત ચૌધરી પણ ઘાયલ થયા છે. કોંગ્રેસ ઉમેદવારના પતિ ભરત ચૌધરીને પણ ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયા છે.
આ ઘટનાને પગલે મહેસાણા એ ડિવિઝન પોલીસ અને LCBએ CCTV અને CDRના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ શરૂ કરી છે.
આજે સવારે મિતેન ચૌધરીના મૃતદેહનું પીએમ કરાયું છે. મહેસાણાના તાવડીયા ગામે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મૃતકની અંતિમયાત્રા નીકળી હતી. અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં ચૌધરી સમાજ સહિત ગામના લોકો જોડાયા હતા.
DySP મિલાપ પટેલે જણાવ્યું હતુ કે, ગઈકાલે મોડી રાત્રે આ ઘટના બની છે. જેમાં મહેસાણા શહેર ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં માનવઆશ્રમ ચોકડીથી તાવડિયા તરફ જતાનો જે વિસ્તાર છે, ત્યાં બે વ્યક્તિઓ મિતેન ચૌધરી તથા તેનો મિત્ર ધીમંત ચૌધરી તેના અન્ય બીજા બે મિત્રો સાથે ત્યાંથી પસાર થઈ રહ્યા હતાં.
રસ્તામાં તેની ગાડીને રોકી અને અન્ય ચારથી પાંચ શખસોએ તેને રોક્યા હતાં અને તેમના ઉપર તીક્ષ્ણ હથિયાર અને લાકડી અથવા તો પાઈપ વડે હુમલો કર્યો હતો. જેમાં મિતેન ચૌધરીને થોડી ગંભીર ઇજાઓ થઈ અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું છે અને એ સિવાય તેની સાથેના ધીમંત ચૌધરી અત્યારે સારવાર હેઠળ છે.
DySP પટેલે વધુમાં કહ્યું હતું કે, આ સમગ્ર બાબતે કોણ કોણ આરોપીઓ છે, તેઓએ ગુનાહિત કાવતરું કેવી રીતે રચ્યું છે, આ ગુનાહિત કાવતરામાં કોણ કોણ વ્યક્તિઓની સંડોવણી છે?, કોણે શું રોલ ભજવ્યો છે. તે સમગ્ર દિશામાં અત્યારે પોલીસે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. મૃતદેહને પીએમ માટે ખસેડીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
પીએમ કર્યા બાદ મૃતક મિતેન ચૌધરીના મૃતદેહને મહેસાણાના તાવડીયા ગામે લાવવામાં આવ્યો હતો. તાવડીયા ગામે Dysp સહિત પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે મૃતકની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. અંતિમ યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં ચૌધરી સમાજ તેમજ ગામના લોકો જોડાયા હતા.


