પાલીતાણાના શેત્રુંજય પર્વત પર યાત્રાળુની બેગ ઉઠાવી જતો વનરાજ
પર્વત પર સિંહ આવી જતા યાત્રા રોકવી પડી, લોકોમાં ફફડાટ, વન વિભાગે જંગલમાંથી બેગ શોધી કાઢી
અગ્ર ગુજરાત, ભાવનગર
પ્રસિદ્ધ જૈન તીર્થધામ પાલીતાણાના શેત્રુંજય ગિરિરાજ પર્વત પર ફરી એકવાર સિંહ દેખાયો છે જેના પગલે યાત્રિકોમાં ભારે ભય અને ચિંતાનો માહોલ સર્જાયો છે. પર્વતની યાત્રા દરમિયાન પગદંડી પર અચાનક સિંહ આવી ગયો હતો. જેના લીધે યાત્રિકોના જીવ તાળવે ચોંટી ગયા હતા અને તેમણે પોતાની યાત્રા અધવચ્ચે જ થંભાવી દીધી હતી.
સિંહને જોઈને ગભરાયેલા યાત્રિકોએ સલામતી માટે દોડાદોડ કરી મૂકી હતી. આ દરમિયાન ઘણા યાત્રિકો પોતાની પાસે રહેલી બેગ અને થેલા રસ્તા પર જ છોડીને સલામત સ્થળે ખસી ગયા હતા. આ દરમિયાન એક અજીબોગરીબ ઘટના સામે આવી હતી. જેમાં પગદંડી પર પડેલી એક યાત્રિકની બેગ મોઢામાં દબાવીને સિંહ જંગલ તરફ ભાગી ગયો હતો. આ દ્રશ્ય જોઈને હાજર યાત્રિકોમાં વધુ ફફડાટ ફેલાયો હતો.
ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી હતી. વનકર્મીઓએ જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરીને યાત્રિકની ખોવાયેલી બેગ શોધી કાઢી હતી. વન વિભાગ દ્વારા આ બેગ સલામત રીતે શેઠ આણંદજી કલ્યાણજી પેઢીને સોંપવામાં આવી છે. જેથી તેના મૂળ માલિક સુધી સામાન પહોંચાડી શકાય છે. અને મૂળમાલિકએ પેઢી પરથી બેગને પરત મેળવી લીધી છે.
ઉલ્લેખનીય છે કે શેત્રુંજય ગિરિરાજ પર્વતની યાત્રાની પગદંડી પર વારંવાર સિંહ દેખાવાના બનાવો બનતા રહે છે. વન્યજીવોની આ પ્રકારે અવરજવરને કારણે અહીં આવતા શ્રદ્ધાળુઓ અને યાત્રિકોમાં સતત ભય અને અસલામતીનો માહોલ જોવા મળી રહ્યો છે. યાત્રિકોની સુરક્ષાને લઈને વન વિભાગ આગામી દિવસોમાં વધુ સતર્ક બને તેવી માંગ ઉઠી રહી છે.


