પોલીસ અપક્ષનો હાથ બની, ઉમેદવારોને સ્ટેશનમાં બેસાડી ધમકાવતા હોવાનો આક્ષેપ
પારર્દશક અને લોકશાહી બચાવવા તાકિદે પગલા ભરવા આયોગમાં કોંગ્રેસની ફરિયાદ
અગ્ર ગુજરાત, અમદાવાદ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના કલાકો જ બાકી રહી છે રાજ્યમાં ભાજપ દ્વારા કોંગ્રેસ સહિતના પક્ષના ઉમેદવોરને તાડવાની રાજનીતી તેજ બની ગઈ છે અને પોલીસ દ્વારા પણ દબાણ કરવામાં આવી રહ્યાના આક્ષેપ સાથેની ફરિયાદ કોંગ્રેસ દ્વારા આયોગમાં કરતા ચકચાર મચી ગઈ છે અને રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીને પગલે રાજકીય ગરમાવો વધી રહ્યો છે. તા. 26 એપ્રિલ, 2026ના રોજ યોજાનારી ચૂંટણી પૂર્વે કોંગ્રેસે ગુજરાત પોલીસ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ રાજ્ય ચૂંટણી આયોગને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, પોલીસ સત્તાધારી પક્ષના દબાણમાં આવીને કોંગ્રેસના ઉમેદવારોને વારંવાર પોલીસ સ્ટેશનમાં બોલાવી હેરાનગતિ કરી રહી છે.
પત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, કોઈપણ પ્રકારની લેખિત ફરિયાદ કે ગુના વગર ઉમેદવારોને પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવામાં આવે છે, જેના કારણે તેઓ પ્રચાર કાર્ય કરી શકતા નથી અને માનસિક તણાવનો સામનો કરવો પડે છે. કોંગ્રેસે આ સ્થિતિને લોકશાહી માટે ખતરો ગણાવી છે.
અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું કે, “અમદાવાદ શહેરમાં પોલીસનું વલણ એવું લાગી રહ્યું છે કે તેઓ સરકારના કર્મચારી નહીં પરંતુ BJPના કાર્યકર તરીકે કામ કરી રહ્યા છે.” તેમણે જણાવ્યું કે, સત્તાધારી પક્ષને હારનો ભય હોવાથી વિરોધી પક્ષના ઉમેદવારોને ડરાવવા અને દબાવવા માટે આવી રીતો અપનાવવામાં આવી રહી છે.
કોંગ્રેસે રાજ્ય ચૂંટણી આયોગને યાદ અપાવ્યું છે કે, બંધારણ મુજબ દરેક ઉમેદવારને ભયમુક્ત રીતે પ્રચાર કરવાનો અધિકાર છે અને મતદાતાઓને પણ નિષ્પક્ષ વાતાવરણમાં મતદાન કરવાનો અધિકાર છે. આ સંજોગોમાં ચૂંટણી આયોગે તાત્કાલિક હસ્તક્ષેપ કરીને પોલીસના વર્તન પર કાબૂ મેળવવો જોઈએ.
અનેક વખત રજૂઆત કરાઈ
કોંગ્રેસે આ મામલે અગાઉ પણ રજૂઆતો કરી હોવા છતાં અત્યાર સુધી કોઈ કાર્યવાહી ન થતા અસંતોષ વ્યક્ત કર્યો છે. અંતે, કોંગ્રેસે રાજ્ય ચૂંટણી આયોગ પાસે માંગ કરી છે કે, સમગ્ર મુદ્દાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કડક પગલાં લેવાય જેથી ચૂંટણી પ્રક્રિયામાં જનવિશ્વાસ જળવાઈ રહે.


