પ્રેફેન્સીયલ સર્ટીફિકેટ ઇશ્યુ કરવાની સત્તા રાજયની ચેમ્બરને સોંપવા માંગણી
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સાંસદ અને મંત્રાલયમાં રજૂઆત કરાઇ
અગ્ર ગુજરાત, રાજકોટ
ભારત દેશના સર્વાગી વિકાસ માટે નિકાસ એ એક મહત્વનું પરીબળ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના દુરંદેશી નેતૃત્વ હેઠળ નિકાસ વધારવા, રોકાણો આકર્ષવા અને ભારતીય વ્યવસાયો ખાસ કરીને MSMEs ને ગ્લોબલ વેલ્યુ ચેઈન્સમાં સંકલિત કરવા માટે સક્રિયપણે મુક્ત વ્યાપાર કરારો (Free Trade Agreements (FTAs) કરવામાં આવી રહયા છે. જેમાં તેના નીતિ-નિયમો પ્રમાણે નિકાસકારો-આયાતકારોને ડયુટીમાં મુકિત જેવા ફાયદાઓ અને લાભો પ્રાપ્ત થાય છે અને તે માટે દરેક નિકાસકારોએ અન્ય દેશોમાં નિકાસ કરવા પેફેન્સીયલ સર્ટીફિકેટ ઓફ ઓરીજીન મેળવવાનું રહે છે અને તે અત્યંત મહત્વપુર્ણ હોય છે.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી નોન પ્રેફેન્સીયલ સર્ટીફિકેટ ઓફ ઓરીજીન ઈશ્યું કરવાની સતા ધરાવે છે. આ સંદર્ભમાં નિકાસ પ્રક્રિયાને વધુ ઝડપી અને સરળ બનાવવા માટે પ્રેફેન્સીયલ સર્ટીફિકેટ ઓફ ઓરીજીનનું વિકેન્દ્રીકરણ કરી ઈશ્યું કરવાની સતા રાજયની અગ્રણી ચેમ્બર ઓફ કોમર્સ અને ફેડરેશન ઓફ ઈન્ડીયન એકસપોર્ટ ઓર્ગેનાઈઝેશન (FIEO) ને આપવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી. વૈષ્ણવ દ્વારા સંસદ સભ્ય પુરૂષોતમભાઈ રૂપાલાજી તથા ભારત સરકારના વાણિજય મંત્રાલય દ્વારા સ્થાપીત ફેડરેશન ઓફ ઈન્ડીયન એકસપોર્ટ ઓર્ગેનાઈઝેશન ન્યુ દિલ્હીના ડાયરેક્ટર જનરલ અને ચીફ એકિક્ઝકયુટીવ ઓફિસરશ્રી ડો. અજય સહાય અને એડીશ્નલ ડાયરેકટર જનરલ સુવિધ શાહ સમક્ષ રજુઆત કરવામાં આવેલ છે.
પ્રેફેન્સીયલ સર્ટીફિકેટ ઓફ ઓરીજીનના વિકેન્દ્રીકરણ કરી અને ઈશ્યું કરવાની સતા આપવાના મુખ્ય ફાયદાઓ જેમ કે, નિકાસ સંબંધિત પ્રક્રિયાઓ વધુ સુવ્યવસ્થિત બનશે, વ્યવહારનો સમય અને ખર્ચમાં ઘટાડો થશે, તેમજ MSMEs માટે સંસ્થાકીય સમર્થનને મજબુત બનાવશે. આમ આ નિર્ણય જો તાત્કાલીક લેવામાં આવે તો ભારતને વૈશ્વીક નિકાસ હબ બનાવવાના લક્ષ્યને હાંસલ કરવામાં અને સ્થાનીક ઉદ્યોગોને આતંરરાષ્ટ્રિય સ્તર ઉપર મજબુત પ્લેટફોર્મ પુરૂ પાડવામાં મદદરૂપ સાબિત થશે. તેમ રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી. વૈષ્ણવની અખબારી યાદીમાં જણાવેલ છે.


