સુરત એરપોર્ટથી PM હેલીકોપ્ટરમાં L&T પ્લાન્ટ હજીરા પહોંચશે
વડાપ્રધાનના કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્યો અને નગરસેવકોને EV વાહનમાં આવવા આદેશ
તા.૫ જૂને વિશ્વ પર્યાવરણ દિવસ અને ઇંધણ કટોકટીને પહોંચી વળવા પક્ષનો આદેશ
સાયકલ, ઇવી વ્હિકલ, બસ, પદયાત્રા કરીને કાર્યક્રમ સ્થળ સુધી પહોંચવા સામાન્ય કાર્યકર્તાઓને સૂચના
અગ્ર ગુજરાત, સુરત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 5 જૂને સુરતની મુલાકાતે આવી રહ્યા છે. પીએમ મોદી હજીરા સ્થિત લાર્સન એન્ડ ટુબ્રો (L&T) પ્લાન્ટમાં ખાસ 45 મિનિટ સુધી રોકાવાના છે.ભારત સરકાર દ્વારા ‘મેક ઇન ઇન્ડિયા’ અંતર્ગત દેશની સુરક્ષા માટે L&Tને જે મહત્વના સંરક્ષણ પ્રોજેક્ટ્સના ઓર્ડર આપવામાં આવ્યા છે, તેનું વડાપ્રધાન ગ્રાઉન્ડ ઝીરો પર જઈને જાતે નિરીક્ષણ કરશે.તેઓ L&Tના ચેરમેન અને ઉચ્ચ એન્જિનિયરોની ટીમ સાથે રૂબરૂ મુલાકાત કરીને પ્લાન્ટ વિઝીટ પણ કરવાના છે. પીએમની આ મુલાકાતમાં મુખ્ય ફોકસ ડિફેન્સ અને દેશની સુરક્ષા ક્ષેત્રે થઈ રહેલી પ્રગતિ પર રહેશે.
પીએમ મોદીની આ હજીરા L&T પ્લાન્ટની મુલાકાત અત્યંત સંવેદનશીલ અને વ્યૂહાત્મક હોવાથી પ્રોટોકોલમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે.અત્યાર સુધી મળેલી સત્તાવાર માહિતી અનુસાર,વડાપ્રધાનની આ 45 મિનિટની પ્લાન્ટ વિઝીટ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ તેમની સાથે હાજર રહેશે નહીં.પીએમ મોદી સંરક્ષણ ક્ષેત્રના પ્રોજેક્ટ્સની ગોપનીયતા અને ટેકનિકલ પાસાઓની સમીક્ષા માત્ર કંપનીના ટોચના મેનેજમેન્ટ અને એન્જિનિયરો સાથે જ એકાંતમાં કરવા માંગતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
વડાપ્રધાનના સુરત પ્રવાસના મિનિટ-ટુ-મિનિટ કાર્યક્રમની વાત કરીએ તો,પીએમ મોદી 5 જૂને દિલ્હીથી સીધા સુરત એરપોર્ટ ખાતે આવી પહોંચશે. સુરત એરપોર્ટ પર ઉતરાણ કર્યાં બાદ તેઓ ત્યાંથી ખાસ હેલિકોપ્ટર મારફતે હજીરા સ્થિત L&T પ્લાન્ટ જવા રવાના થશે.L&Tમાં પોતાનું સેશન પૂરું કરીને તેઓ ફરી હેલિકોપ્ટર દ્વારા જ પરત સુરત એરપોર્ટ આવશે.ત્યારબાદ એરપોર્ટથી તેઓ બાય રોડ (રોડ માર્ગે) કારના કાફલા સાથે સુરતના પ્રખ્યાત ઈન્ડોર સ્ટેડિયમ ખાતે કાર્યક્રમમાં હાજરી આપવા માટે રવાના થશે.
પીએમ મોદીની આ મુલાકાત 5 જૂન એટલે કે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ના રોજ યોજાઈ રહી હોવાથી આખો કાર્યક્રમ ઇકો-ફ્રેન્ડલી થીમ પર આયોજિત કરાયો છે. ઈંધણ બચત અને પર્યાવરણ જાળવણીનો મજબૂત સંદેશ આપવા ભાજપના તમામ ધારાસભ્યો અને કોર્પોરેટર માટે ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) લાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.એટલું જ નહીં,પક્ષના તમામ કાર્યકરો પણ પર્યાવરણ બચાવવાના સંકલ્પ સાથે સાયકલ સવારી,ઈવી વ્હિકલ,બસ અથવા તો પદયાત્રા કરીને કાર્યક્રમના સ્થળ સુધી પહોંચશે.જ્યારે સામાન્ય કાર્યકર્તાઓને લાવવા-લઈ જવા માટે ખાસ ઈવી બસો (EV Buses)ની વ્યવસ્થા કરવામાં આવી છે.
વડાપ્રધાનના આ ગ્રીન પ્રવાસને યાદગાર બનાવવા માટે સુરતમાં મોટા પાયે સફાઈ અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે,જે એક નવો રેકોર્ડ પ્રસ્થાપિત કરશે.કેન્દ્રીય જળ સંચય મંત્રી સી.આર.પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પોતે ગ્રાઉન્ડ પર ઉતરીને આ વૃક્ષારોપણ અને સફાઈ ઝુંબેશની આગેવાની લેશે અને તેમાં સક્રિય ભાગ ભજવશે.આ કાર્યક્રમ દ્વારા સુરતમાંથી સમગ્ર દેશમાં પર્યાવરણ સુરક્ષા અને જળ સંચયનો એક મોટો ડિજિટલ અને ગ્રાઉન્ડ મેસેજ પહોંચાડવામાં આવશે.


