ગુજરાતના કલાજગતમાં ફરી લવમેરેજ બાબતે ધમાચકડી
ગાયિકા રિધ્ધીએ રિધમ આર્ટિસ્ટ જયેશ વાઘેલા સાથે આંતરજ્ઞાતિય લગ્ન કરતા છેડાયો વિવાદ
બંનેને પાટીદાર સમાજના કાર્યક્રમમાં ઓર્ડર નહી આપવા હિરેન ભેંસાણીયાની ચીમકી
રાજયમાં અન્ય સમાજના દિકરા-દિકરીઓના લગ્નને લઇને વધુ એક વિવાદ સામે આવ્યો
અગ્ર ગુજરાત, સુરત
ગુજરાતના કલાજગતમાં કલાકારોના અંગત જીવન અને લગ્નને લઈને વિવાદો થવા એ કોઈ નવી વાત નથી. તાજેતરમાં જ ગુજરાતની વધુ એક જાણીતી ગાયિકા લગ્નના બંધનમાં બંધાતાની સાથે જ મોટા વિવાદમાં સપડાઈ છે. લોકગાયિકા રિદ્ધી રાજપરાએ આંતરજ્ઞાતિય લગ્ન કરી લેતા સોશિયલ મીડિયાથી લઈને કલાજગતમાં ભારે ચર્ચા જાગી છે.
મળતી માહિતી મુજબ, ગુજરાતમાં લોકગાયિકા રિદ્ધી રાજપરાએ અન્ય સમાજના યુવક અને જાણીતા મ્યુઝિક રિધમ આર્ટિસ્ટ જયેશ વાઘેલા સાથે લગ્ન કર્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જો કે, આ મામલે એક નવો વળાંક પણ સામે આવ્યો છે. હિરેન ભેસાણીયા નામના વ્યક્તિએ દાવો કર્યો છે કે, ગત 20 મે 2026ના રોજ જયેશ વાઘેલા રિદ્ધી રાજપરાને ભગાડીને લઈ ગયો હતો. આંતરજ્ઞાતિય લગ્નના કારણે પરિવાર અને સમાજમાં હાલ આ મામલો ભારે ગરમાયો છે.
તમને જણાવી દઈએ કે, જયેશ વાઘેલા મ્યુઝિક રિધમ આર્ટિસ્ટ છે. થોડા સમય પહેલા પાટીદાર સિંગર આરતી સાંગાણીએ પણ તબલા પ્લેયર દેવાંગ ગોહિલ સાથે લગ્ન કર્યા હતા. આમ સુરતમાં વધુ એક પાટીદાર સિંગરે આંતરજ્ઞાતીય લગ્ન કરતાં સમાજના આગેવાનોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. આ અંગે પાટીદાર અગ્રણી હિરેન ભેંસાણીયાએ સોશિયલ મીડિયા પોસ્ટ કરીને લખ્યું, પાટીદાર સમાજને ફરી એકવાર વિનંતી કરું છું કે, આગળ જેવી રીતે સપોર્ટ કર્યો હતો એવી જ રીતે આ બાબતમાં સપોર્ટ કરજો. અત્યારે એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે.. પાટીદારની દિકરી ભગાડી જાવ અને પાટીદાર નામ પર ધંધો કરો. છોકરીનું નામ છે રીધી રાજપરા (પાટીદાર). છોકરાનું નામ છે જયેશ વાઘેલા. 20-05-2026ના રોજ ભગાડીને લઈ ગયો છે. એટલે તમામ સિંગરો, લગ્ન ગીત વાળા, રિધમ વાળાને આ બેય ને કોઈ પાટીદાર સમાજના સ્ટેજ પર બુક કરવા નહીં વિનંતી.
હિરેન ભેંસાણીયાએ જણાવ્યું કે, 20 મેના રોજ જ્યારે આ બંને ભાગી ગયા ત્યારે તેમણે તરત જ રિદ્ધિના પિતાનો સંપર્ક કર્યો હતો. ત્યારેબાદ છોકરો અને છોકરી તેમની ઓફિસે આવ્યા હતા. તેમણે રિદ્ધિને સમજાવી હતી કે પરિવાર તને સ્વીકારવા તૈયાર છે, તું માન સન્માન સાથે ઘરે પાછી ફરી જા. તેમણે યુવકને પણ છોકરીની કારકિર્દી બગડે નહીં તે માટે છોડી દેવા સમજાવ્યો હતો. આ ઉપરાંત પાટીદાર અગ્રણીએ કહ્યું, જે દીકરીએ ક્યારેય માતા-પિતાનું માથું નીચું નહીં થવા દેવાનો ભરોસો આપ્યો હતો તેણે જ આવું પગલું ભરતાં માતા-પિતા ભારે આઘાતમાં છે અને કંઈ બોલી શકવાની સ્થિતિમાં નથી.
ગાયિકાઓ અને વિવાદો
કિંજલ દવે: જાણીતી ગાયિકા કિંજલ દવેએ જ્યારે ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી ત્યારે મોટો વિવાદ થયો હતો. સમાજના આગેવાનો દ્વારા તેમને જ્ઞાતિ બહાર કરવાની અને તેમના સ્ટેજ પ્રોગ્રામ્સનો બહિષ્કાર કરવાની ચીમકી પણ આપવામાં આવી હતી.
કિંજલ રબારી: ગાયિકા કિંજલ રબારીએ અશોક ચૌધરી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. પરંતુ લગ્ન બાદ ભારે વિવાદ થતાં તેમણે કોર્ટમાં છૂટાછેડાની અરજી કરવી પડી હતી. એવો પણ દાવો કરાયો હતો કે સમાજના ભારે દબાણના કારણે તેમણે આ પગલું ભરવું પડ્યું હતું.
કાજલ મહેરિયા: લોકપ્રિય ગાયિકા કાજલ મહેરિયાએ પણ ઘર-પરિવારની જાણ બહાર લગ્ન કરી લીધા હોવાનો દાવો થયો હતો. જો કે, બાદમાં કાજલે પોતે સામે આવીને સ્પષ્ટતા કરી હતી કે તેણે કોઈના દબાણમાં આવ્યા વિના પોતાની મરજીથી લગ્ન કર્યા છે.
આરતી સાંગાણી: પાટીદાર સમાજમાંથી આવતી ગાયિકા આરતી સાંગાણીએ જ્યારે તબલા ઉસ્તાદ દેવાંગ ગોહેલ સાથે લગ્ન કર્યા ત્યારે પણ જ્ઞાતિ અને સમાજ સ્તરે ભારે હોબાળો મચ્યો હતો.


