સોની બજારની ચમક જાખી પડી, યુધ્ધની ગંભીર અસર
ખરીદી પર લાંબા સમયથી બ્રેક, મંદિ હાવી થતા ૭૦ ટકા કારીગરો વતન તરફ વળ્યા : વેપારીઓની આવકને ફટકો, બજાર સૂમસામ
અગ્ર ગુજરાત, રાજકોટ
મિડલ ઇસ્ટમાં ચાલતા યુધ્ધની ગંભીર અસર વેપાર ઉદ્યોગ પર પડી રહી છે અને વડાપ્રધાન દ્વારા સોનુ ખરીદવા પર રોક લગાવવાની અપીલ કરવામાં આવી છે. જેને લઇને રાજકોટની સોની બજારમાં વેપારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને બોણી માટે પણ વેપારીઓને ઝઝૂમવુ પડી રહ્યું છે. ૭૦ ટકા જેટલા કારીગરો વતન જતા રહ્યા છે.
ઈરાન યુધ્ધના કારણે સોના-ચાંદીના ભાવો ભકડે બળી રહ્યા છે અને તેને કારણે શહેરની સોનીબજારમાં મંદી પ્રર્વતી રહી છે. રાજકોટની સોનીબજારમાં વેપારીઓને બોણીના પણ ફાફા પડી રહ્યા છે અને સોનાના દાગીના બનાવનાર બંગાળના કારીગરોએ વતનની વાટ પકડી છે.જો આવીને આવી સ્થિતિ રહેશે તો કેટલીય દુકાનોના શટરો પડી શકવાની શકયતા વ્યકત કરવામા આવી રહી છે.
રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસો.ના પ્રમુખ ભાયાભાઈ સાહોલિયાએ જણાવ્યું કે રાજકોટ સોનીબજારમાં અંદાજે નાની-મોટી 10 થી 12 હજાર જેટલી દુકાનો આવેલી છે અને પેલેસ રોડ,સોનીબજાર,યુનિ.રોડ અને મવડી રોડ જેવા વિસ્તારમાં આશરે 800 થી 1000 જેટલા સોના-ચાંદીના દાગીનાના શોરૂમો આવેલા છે પણ હાલ ભાવની ઉથલ-પાથલ અને બાદમાં સોનાના દાગીના નહીં ખરીદવાની અપીલના પગલે આ શો-રૂમના માલિકો,સેલ્સમેનો નવરાધુપ થઈ ગયા છે,મોટા-મોટા શો-રૂમ ધરાવનાર માલિકોને સ્ટાફ તથા અન્ય ખર્ચાઓ કાઢવા માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે અને સમય જતા વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તેવા સંકેતો મળી રહ્યા છે.સોનીબજા ઉપરાંત શો-રૂમોમાં પણ મોટી ખરીદીની લાંબાસમયથી બ્રેક લાગી ગઈ છે.રાજકોટમાં સોનાના દાગીના બનાવનાર મોટાભાગના બંગાળના કારીગરો કાર્યરત હતા અને તેની સંખ્યા અંદાજે 1 થી 1.50 લાખ જેટલી હતી.
તેમાંથી 70 ટકા કારીગરો રાજકોટ છોડી વતન બંગાળ પરત ફરી ગયા છે.કેમકે દાગીનાનું કામ હાલ 70 ટકાથી વધુ ઘટી ગયું છે એટલે કારીગરોને કામ પૂરતા પ્રમાણમાં મળતું નથી.તેથી તેઓને ખર્ચા,ભાડા વિગેરે કાઢવા માટે અત્યંત કઠીન થયું છે.આવી સ્થિતિમાં રાજકોટમાં રહેવું પરવડી શકે તેમ નથી.આથી વતન રવાના થઈ ગયા છે.


