ઉનાના દેલવાડા ગામે કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 1100 પાણીના કુંડાનું નિ:શુલ્ક વિતરણ
પક્ષીઓના કલરવ વચ્ચે તપતા તાપ અને દઝાડતી ગરમીથી બચાવવાનું અનોખું અભિયાન
અગ્ર ગુજરાત, ઉના
ઉનાળાની તપતી ધરતી અને આકરા તાપ વચ્ચે માનવી તો પોતાના માટે ઠંડક પ્રસરે તેવી એ.સી., કુલરની વ્યવસ્થા કરી લે છે. પરંતુ નિર્દોષ કલરવ કરતા મૂંગા પશુ-પક્ષીઓને ઠંડક સાથે શુદ્ધ પાણી મળી રહે, ગરમી માં તરસ છીપાવી શકે તેવી વ્યવસ્થા દરેક ઘર, દુકાન અને લીલાં વૃક્ષો આજુબાજુના વિસ્તારમાં ઊભી કરતું અભિયાન ઉના શહેર-તાલુકામાં માનવતાભરી સેવાભાવ નું સુંદર ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગરમીના કપરા સમયમાં પશુ-પક્ષીઓને પીવાનું પાણી સરળતાથી મળી રહે તે હેતુથી 1100 જેટલાં પાણીના કુંડાનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.આ સેવાયજ્ઞ દરમિયાન ટ્રસ્ટના સેવાભાવી યુવાનો અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં આ કુંડાઓનું વિતરણ કરી લોકોને પણ પશુ-પક્ષીઓ માટે પાણી રાખવા પ્રેરિત કરવામાં આવ્યા.
ટ્રસ્ટના પ્રતિનિધિ એચ. આઈ. કુબાવતે જણાવ્યું હતું કે, “પશુ-પક્ષી સેવા કરવી એ દરેક માનવીની જવાબદારી છે. ગરમીમાં પશુ-પક્ષીઓને પાણી મળે તે માટે આ નાનકડો પ્રયાસ કર્યો છે. જેમાં દરેક સમાજના સેવાકીય પ્રવૃત્તિ કરતાં યુવકો પણ જોડાય અને આ સેવાકાર્ય આગળ વધે, જેથી મૂંગા પશુ અને કલરવ કરતાં દેશ-વિદેશના પક્ષીઓ પ્રત્યે માનવતાભર્યું કાર્ય કરવા સરળ રહે.”19 એપ્રિલ, રવિવારે સવારથી કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી આ પાણીના કુંડા વિતરણનું નિ:શુલ્ક કાર્ય શરૂ કરી પહેલ કરતાં પક્ષી પ્રેમી યુવાનોના માનવતાભર્યા કાર્યને દરેક સમાજે આવકાર્યું હતું અને ટ્રસ્ટ દ્વારા ભવિષ્યમાં પણ આવા સેવાકીય કાર્યક્રમો ચાલુ રાખવા અનુરોધ કર્યો હતો.


