વેરાવળ પાલીકા પ્રમુખ પદે યુવા ઉદ્યોગપતિની, ઉપપ્રમુખમાં નારાજ પ્રજાપતિ સમાજની મહિલાની વરણી
ભાજપ દ્વારા આગામી વિધાનસભા ચુંટણીને ધ્યાને લઈ પાલીકાના હોદેદારોની નિયુકિત કરી
સાગરપુત્ર ફાઉન્ડેશન ખારવા સમાજએ ફરી પાલીકા પ્રમુખ પદ પર દબદબો પ્રસ્થાપિત કર્યો
અગ્ર ગુજરાત, ગીર સોમનાથ
વેરાવળ પાલીકાના હોદ્દેદારોની વરણીમાં ફરી સાગરપુત્ર ફાઉન્ડેશન ખારવા સમાજનો દબદબો જોવા મળ્યો છે. આજે પાલિકાના હોદ્દેદારોની ભાજપ દ્વારા કરાયેલ જાહેરાતમાં ખારવા સમાજના યુવા ઉદ્યોગપતિ નરેશ ગોહિલની પાલિકાના પ્રમુખ પદે વરણી કરવામાં આવી છે જ્યારે ઉપપ્રમુખ પદ પ્રજાપતિ સમાજના ફાળે અને કારોબારી ચેરમેન પદ વણિક સમાજના ફાળે ગયું છે.
ગઇકાલે સવારે વેરાવળ સર્કીટ હાઉસ ખાતે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જીલ્લા ભાજપ પ્રમુખ ડો. સંજયભાઈ પરમાર, શહેર પ્રમુખ શૈલેષ મેસવાણિયાની ઉપસ્થિતિમાં ભાજપના ચૂંટાયેલા 24 નગરસેવકોની બેઠક મળી હતી. બેઠકમાં પ્રદેશમાંથી બંધ કવરમાં પાલિકાના હોદ્દેદારોના નામો આવેલ જેની શહેર પ્રમુખ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. જેમાં પાલિકા પ્રમુખ પદે યુવા ઉદ્યોગપતિ નરેશભાઈ ગોહેલ, ઉપપ્રમુખ પદે હેમીબેન જેઠવા, કારોબારી ચેરમેન પદે ઉદય શાહ, પક્ષના નેતા તરીકે રીટાબેન તન્ના અને દંડક તરીકે જીતેન ઉપાધ્યાયની વરણી કરવામાં આવી હતી. આ વરણીને બેઠકમાં ઉપસ્થિત સાંસદ સહિત ભાજપ સંગઠનના હોદ્દેદારોએ આવકારીને પાલિકાના નવનિયુકત પદાધિકારીઓના હારતોરા કર્યા હતા.
બાદમાં ભાજપના તમામ નગર સેવકો પાલિકા કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં નાયબ કલેકટરની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ભાજપ તરફથી પ્રમુખ પદ માટે નરેશ ગોહેલ અને ઉપપ્રમુખ પદ માટે હેમીબેન જેઠવાએ ઉમેદવારી કરી હતી. જેની સામે કોંગ્રેસમાંથી પ્રમુખ પદ માટે મનીષાબેન માલમ અને ઉપપ્રમુખ પદે લક્ષમણ સોલંકીએ દાવેદારી કરી હતી. ત્યારે સ્પષ્ટ બહુમતીના આધારે ભાજપ માંથી ઉમેદવારી કરનાર બંન્ને હોદ્દેદારોની પાલિકાના પ્રમુખ – ઉપપ્રમુખ તરીકે નિયુક્તિની જાહેરાત કરવામાં આવી હતી.
બેઠક પૂર્ણ થયા બાદ પાલીકાના નવનિયુક્ત હોદેદારોને માનસિંહ પરમાર, લખમભાઈ ભેંસલા, દામજીભાઈ ફોફંડી, તુલસીભાઈ ગોહેલ, ભાજપ સંગઠનના હોદેદારો, કાર્યકરો અને જુદા જુદા સમાજના આગેવાનો દ્વારા હારતોરા કરી મોઢા મીઠા કરી આવકારવામાં આવ્યા હતા.
પાલીકાના હોદેદારોની વરણીમાં સાગરપુત્ર ફાઉન્ડેશનનો ફરી દબદબો
અત્રે નોંધનીય છે કે પાલિકાના હોદ્દેદારોની કરાયેલ જાહેરાતમાં સાગરપુત્ર ફાઉન્ડેશન ખારવા સમાજનો ફરી દબદબો જોવા મળ્યો છે. તો ચૂંટણી સમયે ભાજપથી નારાજ દેખાતા પ્રજાપતિ, વણિક અને બ્રહ્મ સમાજની નારાજગી દુર કરવા હેતુસર ત્રણેય સમાજના ચૂંટાયેલા નગરસેવકોની મહત્વના પદો ઉપર વરણી કરેલ હોવાની રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે.
લાંબા અને ટૂંકા ગાળાના વિકાસકામોના વિઝનો પરિપૂર્ણ કરવાની ઈચ્છા : પ્રમુખ નરેશ ગોહેલ
આ તકે નવનિયુક્ત પ્રમુખ નરેશ ગોહેલ એ મીડિયા સાથેની વાતમાં ભાજપના સૌ કાર્યકરો આગેવાનો અને ખાસ કરીને સાગર પુત્ર ફાઉન્ડેશન ખારવા સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે સાથે પોતાના વિઝન અંગેની પણ વાત કરતા શહેરમાં લાંબા અને ટૂંકા ગાળાના વિકાસકામોના વિઝનો પરિપૂર્ણ કરવા મહેચ્છા ધરાવે છે. ટૂંકાગાળામાં ખાસ કરીને બેઝિક પ્રાથમિક સુવિધાઓ વહેલી તકે અને સૂચના રૂપે મળી રહે તેમ જ લાંબા ગાળામાં શહેરના અનેક મહત્વપૂર્ણ વિકાસકામો પણ હાથ ધરવાની મહેચ્છા ધરાવી હતી.


