ગુજરાત ભાજપમાં પહેલીવાર અનિશ્ચિતતા: મોડીરાત્રી સુધી યાદી, ત્યારબાદ અસંતોષ અને હવે ડેમેજ કંટ્રોલની તૈયારી
અમદાવાદથી રાજકોટ અને સુરત સુધી ટિકિટ કાપતા દિગ્ગજોમાં રોષ, અત્યાર સુધી 9500થી વધુ ઉમેદવારોએ ભર્યા ફોર્મ
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી પહેલા ભાજપમાં આ વખતે એક અલગ જ દ્રશ્ય જોવા મળ્યું છે. સામાન્ય રીતે ગોઠવણ અને શિસ્ત માટે ઓળખાતી પાર્ટીમાં પ્રથમ વખત આવી અનિશ્ચિતતા અને ગહન મથામણ જોવા મળી હતી. ઉમેદવારોની યાદી જાહેર કરવામાં ભારે વિલંબ થતા રાજ્યભરમાં કાર્યકરો અને દાવેદારોમાં અસ્વસ્થતા જોવા મળી હતી. આખરે મોડીરાત્રી સુધી ચાલેલી બેઠક બાદ એક પછી એક યાદીઓ જાહેર થવા લાગી, પરંતુ તેના તરત બાદ જ અનેક શહેરોમાં અસંતોષનો ભડકો થયો હતો.
રાજ્યની 15 મહાનગરપાલિકા, 33 જિલ્લા પંચાયત, તેમજ નગરપાલિકા અને તાલુકા પંચાયત જેવી મહત્વપૂર્ણ સંસ્થાઓ માટે ઉમેદવારો નક્કી કરવા ભાજપે અંતિમ ક્ષણ સુધી ચર્ચા ચાલુ રાખી હતી. મુખ્યમંત્રીના નિવાસસ્થાન પર પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ યાદીઓ કમલમ કાર્યાલયથી જાહેર થતી ગઈ, પરંતુ દરેક યાદી સાથે નવા વિવાદો અને અસંતોષ પણ બહાર આવતા રહ્યા. આ સ્થિતિના આફ્ટર શોક સવાર સુધી રાજ્યના વિવિધ શહેરોમાં અનુભવાયા હતા.
ખાસ કરીને અમદાવાદ, રાજકોટ અને સુરત જેવા મોટા શહેરોમાં ભાજપે મોટા પાયે ફેરફારો કર્યા છે. અમદાવાદમાં તો પહેલીવાર એવું બન્યું કે સત્તાવાર યાદી જાહેર થાય તે પહેલાં જ 35થી 40 જેટલા નામો બહાર આવતા જ અનેક વોર્ડોમાં ગભરાટ અને વિરોધનો માહોલ ઉભો થયો હતો. અંતે રાત્રીના લગભગ 11 વાગ્યે સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી, પરંતુ ત્યાં સુધીમાં કાર્યકરોમાં અસંતોષ વ્યાપી ગયો હતો.
અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપે 160 બેઠકોમાંથી માત્ર 32 બેઠકો પર જ રીપીટ કર્યું છે, જ્યારે બાકીના મોટા ભાગના બેઠકો પર નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. મેયર, ડેપ્યુટી મેયર સહિતના અનેક મોટા નેતાઓને ટિકિટ ન આપતા પાર્ટીમાં આંતરિક અસંતોષ ઊભો થયો છે. અમદાવાદના ખાનપુર સ્થિત ભાજપ કાર્યાલય પરિસ્થિતિ તંગ બનતા પોલીસ સુરક્ષા ગોઠવવી પડી હતી, જે પક્ષના ઇતિહાસમાં દુર્લભ ઘટના માનવામાં આવે છે.
રાજકોટમાં પણ સ્થિતિ અલગ નહોતી. અહીં પણ મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના અનેક દિગ્ગજોને ટિકિટમાંથી વંચિત રાખવામાં આવ્યા છે. પરિણામે કેટલાક વોર્ડોમાં કાર્યકરો અને સમર્થકોમાં નારાજગી જોવા મળી હતી અને કમલમ કાર્યાલય સુધી અસંતુષ્ટો પહોંચ્યા હતા. સુરત સહિતના અન્ય મહાનગરોમાં પણ સમાન સ્થિતિ જોવા મળી હતી, જ્યાં ટિકિટ ફાળવણીને લઈને આંતરિક વિરોધના અવાજ ઉઠ્યા હતા.
જિલ્લા પંચાયતોમાં પણ ઉમેદવારોની યાદી મોડીરાત સુધી જાહેર ન થતાં દાવેદારોમાં ગૂંચવણ સર્જાઈ હતી. ઘણા સ્થળોએ અંતિમ ક્ષણ સુધી ઉમેદવારો નક્કી ન થતા રાજકીય ચર્ચાઓ તેજ બની ગઈ હતી. ભાજપે આ વખતે મોટા પાયે ઓપરેશન હાથ ધરતા અનેક જૂના અને અનુભવી નેતાઓને બાકાત રાખી નવા ચહેરાઓને આગળ લાવવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ આ નિર્ણયોએ જ પક્ષમાં અસંતોષનું કારણ બન્યું છે.
ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે ભાજપે ગણતરીપૂર્વક મોડીરાતે નામો જાહેર કર્યા હોવાની ચર્ચા પણ ચાલી રહી છે. રાજકીય વર્તુળોમાં માનવામાં આવે છે કે આ પગલાંથી અસંતુષ્ટ દાવેદારોને સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા માટે ઓછો સમય મળે તેવો વ્યૂહરચનાત્મક પ્રયાસ કરવામાં આવ્યો છે.
ગઈકાલથી જ પ્રદેશ કાર્યાલય દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી કે સત્તાવાર ઉમેદવારો સામે કોઈ બળવો ન થાય અને કોઈ બળવાના ફોર્મ ન ભરાય તેની ખાસ કાળજી રાખવામાં આવે. ભાજપના અંદાજ મુજબ રાજ્યભરમાં લગભગ 9500 જેટલા ઉમેદવારો આજે ઉમેદવારી ફોર્મ ભરશે. આટલી મોટી સંખ્યામાં ઉમેદવારોના મેદાનમાં ઉતરતા પક્ષ માટે આંતરિક એકતા જાળવવી વધુ પડકારજનક બની શકે છે.
હવે ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ થતાં ભાજપનું સંપૂર્ણ ધ્યાન ડેમેજ કંટ્રોલ પર કેન્દ્રિત થવાનું છે. પાર્ટીના નેતાઓ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે દરેક મતવિસ્તારની સ્થિતિ પર નજર રાખવામાં આવશે અને જ્યાં પણ અસંતોષ વધુ જોવા મળશે ત્યાં તાત્કાલિક નેતાઓને દોડી જઈ કાર્યકરોને સમજાવવા માટે મોકલવામાં આવશે.
પાર્ટી માટે સૌથી મોટો પડકાર એ રહેશે કે અસંતુષ્ટ કાર્યકરોને કેવી રીતે મનાવવામાં આવે અને તેઓ ચૂંટણીમાં બળવો ન કરે. જો બળવો વધશે તો તે પક્ષના સત્તાવાર ઉમેદવારોને નુકસાન પહોંચાડી શકે છે. તેથી જ પાર્ટી દ્વારા દરેક બેઠક પર વોચ રાખવાની સૂચનાઓ આપવામાં આવી છે. આ સમગ્ર ઘટનાક્રમ દર્શાવે છે કે ભાજપે આ વખતે ચૂંટણી માટે મોટું જોખમ લઈને દિગ્ગજોને બાકાત રાખી નવી ટીમ ઉભી કરવાની દિશામાં આગળ વધવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ આ બદલાવના કારણે આંતરિક અસંતોષ ઊભો થયો છે, જેને નિયંત્રિત કરવું હવે પાર્ટી માટે સૌથી મહત્વપૂર્ણ રહેશે. આ રીતે ગુજરાત ભાજપમાં પહેલીવાર જોવા મળેલી અનિશ્ચિતતા અને મોડી રાત્રે યાદી જાહેર થવા બાદ ઊભી થયેલી પરિસ્થિતિએ ચૂંટણી પહેલા જ રાજકીય તાપમાન વધારી દીધું છે. હવે જોવાનું રહ્યું કે પાર્ટી ડેમેજ કંટ્રોલમાં કેટલી સફળ રહે છે અને આ સમગ્ર પરિસ્થિતિ ચૂંટણીના પરિણામો પર કેટલો પ્રભાવ પાડે છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારીનો અંતિમ દિવસ: રાજકોટમાં રાજકીય ગરમાવો તેજ
મ્યુનિસિપલ કોર્પોરેશનથી લઈ જિલ્લા-તાલુકા પંચાયત સુધી કુલ 554 ફોર્મ ભરાયા, પક્ષો મેદાનમાં ઉતરતા ચૂંટણી રંગત ચઢી
રાજકોટ સહિત રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ હોવાથી રાજકીય પ્રવૃત્તિઓમાં ભારે તેજી આવી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા બાદ હવે તમામ પક્ષોના ઉમેદવારો મેદાનમાં ઉતરતા ચૂંટણી માહોલ ગરમાયો છે. ગઈકાલ સુધીમાં રાજકોટ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગોંડલ નગરપાલિકા માટે કુલ 554 ઉમેદવારોએ નામાંકન પત્રો ભર્યા હોવાનું ચૂંટણી તંત્ર દ્વારા જણાવાયું છે, જ્યારે આજે અંતિમ દિવસે પણ ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે.
ચૂંટણી તંત્રના આંકડા મુજબ રાજકોટ જિલ્લાના 11 તાલુકા પંચાયતની કુલ 202 બેઠકો માટે અત્યાર સુધીમાં 299 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જેમાં 9મી એપ્રિલે 70 અને 10મી એપ્રિલે 229 ફોર્મ ભરાયા હતા. જિલ્લા પંચાયતની 36 બેઠકો માટે અત્યાર સુધીમાં કુલ 60 ઉમેદવારી ફોર્મ નોંધાયા છે, જેમાં 9મી એપ્રિલે 9 અને 10મી એપ્રિલે 51 ફોર્મ ભરાયા હતા. ગોંડલ નગરપાલિકા માટે અત્યાર સુધીમાં 6 ઉમેદવારી ફોર્મ ભરાયા છે, જે 10મી એપ્રિલના દિવસે નોંધાયા હતા.
રાજકોટ મહાનગરપાલિકાની વાત કરીએ તો 18 વોર્ડમાં યોજાનારી ચૂંટણી માટે અત્યાર સુધીમાં કુલ 189 નામાંકન થયા છે. જેમાં 9મી એપ્રિલે 11 અને 10મી એપ્રિલે 178 ઉમેદવારોએ પોતાના ફોર્મ ભર્યા હતા. આમ કુલ મળીને 9મી એપ્રિલે 90 અને 10મી એપ્રિલે 464 ઉમેદવારી ફોર્મ ભરાતા રાજકીય પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારો થયો છે.
ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયાના અંતિમ દિવસે પક્ષોના ઉમેદવારો સાથે મોટી સંખ્યામાં સમર્થકો પણ પહોંચી રહ્યા છે, જેના કારણે ચૂંટણી કચેરીઓ ખાતે ચહલપહલ જોવા મળી રહી છે. ઉમેદવારો દ્વારા શક્તિ પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યું છે, જેથી રાજકીય માહોલ વધુ ગરમાયો છે. હવે ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ છટણી અને પ્રચાર અભિયાન શરૂ થશે, જેમાં તમામ પક્ષો પોતાની જીત સુનિશ્ચિત કરવા માટે પૂરા જોર સાથે મેદાનમાં ઉતરશે.


