છત્તીસગઢના વેદાંત પાવર પ્લાન્ટમાં બોઇલર બ્લાસ્ટ : ૧૨ શ્રમિકોના મોત
૮૦ ટકા દાઝેલા ૧૦ મજૂરોની હાલત ગંભીર : સારવારમાં ખસેડાયા, ૪૦ શ્રમિકો ઘટનામાં દાઝી ગયા : કડક કાર્યવાહી અને વળતરની માંગ કરતા પરીજનો : કંપની બહાર હોબાળો
અગ્ર ગુજરાત, રાયપુર
છત્તીસગઢના સક્તિ જિલ્લામાં વેદાંતા પાવર પ્લાન્ટમાં મંગળવારે બપોરે બોઈલર ફાટ્યું. આ દુર્ઘટનામાં 12 મજૂરોના મોત થયા છે. ASP પંકજ પટેલે તેની પુષ્ટિ કરી છે. 4 મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 18 ઘાયલોને રાયગઢની જિંદલ ફોર્ટિસ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં 8 મજૂરોએ દમ તોડ્યો છે. બાકીના 10 ઘાયલોની હાલત ગંભીર છે. મજૂરો 80% દાઝી ગયા છે.
આ ઘટના ડભરા પોલીસ સ્ટેશન વિસ્તારની છે. આ દુર્ઘટનામાં 30 થી 40 મજૂરો ગંભીર રીતે દાઝી ગયા છે. રાયગઢની મેટ્રો હોસ્પિટલમાં 3 ઘાયલોની સારવાર ચાલી રહી છે. 2 મજૂરોને એપેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 6 ગંભીર રીતે ઘાયલોને બિલાસપુર રિફર કરવામાં આવ્યા છે.
દુર્ઘટના બાદ પ્લાન્ટની બહાર મજૂરોના પરિવારોએ હોબાળો મચાવ્યો હતો. તેમણે મેનેજમેન્ટ સામે કાર્યવાહી અને વળતરની માગ કરી. કેટલાક મજૂરો ગુમ છે. પરિજનોનું કહેવું છે કે મેનેજમેન્ટ કોઈ માહિતી આપી રહ્યું નથી. જ્યારે કલેક્ટર અમૃત વિકાસ તોપનોએ મેજિસ્ટ્રિયલ તપાસના આદેશ આપ્યા છે.
PMO એ વળતરની જાહેરાત કરી છે. PMNRF માંથી દરેક મૃતકના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયા આપવામાં આવશે. મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાયે ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી.
પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ દીપક બૈજે મૃતકોના પરિજનોને 1-1 કરોડ અને ઈજાગ્રસ્તોને 50-50 લાખ રૂપિયા વળતર આપવાની માગ કરી છે. બૈજે જણાવ્યું કે, આ ઘટનામાં 9 મજૂરોના મોત અને 50 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર અત્યંત પીડાદાયક છે. તેમણે આ ઘટનાને અકસ્માત નહીં પણ ‘હત્યા’ ગણાવીને પ્લાન્ટ મેનેજમેન્ટ અને વહીવટીતંત્રને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે આ મામલે ન્યાયિક તપાસ કરાવવા, ઈજાગ્રસ્તો માટે વધુ સારી સારવારની વ્યવસ્થા કરવા અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.
પ્લાન્ટ મેનેજમેન્ટે ન્યૂઝ એજન્સી PTI ને જણાવ્યું કે, સિંઘીતરાઈ પ્લાન્ટના એક બોઈલર યુનિટમાં અકસ્માત થયો હતો. આ યુનિટનું સંચાલન અને જાળવણી NTPC GE Power Services Limited (NGSL) ના કર્મચારીઓ કરે છે અને તેઓ જ આમાં સામેલ હતા.
મેનેજમેન્ટે કહ્યું કે તેમની સૌથી પહેલી પ્રાથમિકતા ઈજાગ્રસ્ત લોકોને સારી સારવાર આપવાની છે. આ માટે તેઓ ડોક્ટરો અને સ્થાનિક વહીવટીતંત્ર સાથે મળીને કામ કરી રહ્યા છે. મેનેજમેન્ટે એમ પણ જણાવ્યું કે ઘટનાની સંપૂર્ણ વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. પાર્ટનર્સ અને અધિકારીઓ સાથે મળીને આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.


