જૂનાગઢ સરકારી હોસ્પિટલના મહિલા કર્મચારીનો ગળેફાંસો ખાઇ આપઘાત
નોકરીમાં રાજીનામુ આપ્યાના ગણતરીના કલાકોમાં જ ભરેલુ પગલુ : પરિવાર શોકમાં
અગ્ર ગુજરાત, જૂનાગઢ
જૂનાગઢ શહેરના મંગલધામ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરની સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા પરિવાર અને હોસ્પિટલ સ્ટાફમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ખાસ વાત એ છે કે, મહિલાએ પોતાની સરકારી નોકરીમાંથી રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ ઘરે આવી આ આત્મઘાતી પગલું ભર્યું હતું.
જૂનાગઢના મધુરમ વિસ્તારમાં અલ્ટ્રા સ્કૂલ પાસે મંગલધામ-1 વિસ્તારમાં રહેતા સુધાબેન વિજયભાઈ સોલંકી જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં પટાવાળા તરીકે સરકારી સેવા આપતા હતા. તેઓ હંમેશ મુજબ પોતાની ફરજ પર ગયા હતા અને ત્યાં નોકરીમાંથી રાજીનામું આપવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. રાજીનામું આપ્યા બાદ તેઓ પોતાના ઘરે પરત ફર્યા હતા અને કોઈ અકળ કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. સી-ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક મંગલધામ ખાતેના તેમના નિવાસસ્થાને દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને નીચે ઉતારી, જરૂરી પંચનામું કરી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.
સરકારી નોકરીમાંથી અચાનક રાજીનામું આપવું અને ત્યારબાદ તરત જ આત્મહત્યા કરી લેવી એ બાબત અનેક સવાલો ઉભા કરી રહી છે. શું મહિલા કર્મચારી પર કોઈ પ્રકારનું દબાણ હતું કે પછી કોઈ અંગત મુસીબતને કારણે આ પગલું ભર્યું છે, તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. હાલમાં આત્મહત્યા પાછળનું સચોટ કારણ જાણી શકાયું નથી, પરંતુ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


