અમદાવાદમાં શાંગરીલા-૨ આર્કેડમાં ભીષણ આગ, ફસાયેલા 3૦થી વધારે લોકોનું રેસ્કયું
પાર્કિંગમાં રાખેલા તમામ વાહનો બળીને ખાખ : રસ્તો અને કોમ્પ્લેક્ષ બંધ કરાયા : લોકોમાં નાસભાગ મચી : ફાયર વિભાગ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા
અગ્ર ગુજરાત, અમદાવાદ
અમદાવાદના શ્યામલ ચાર રસ્તા પાસે આવેલા શાંગરીલા-2 આર્કેડમાં આગ લાગવાની ઘટના બની હતી. ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી કોટક મહિન્દ્રા બેન્કમાં એટીએમ પાસે આગ લાગવાની ઘટના બની હતી. જે આગ ધીમે ધીમે વિકરાળ બની અને બહારના ભાગે આવેલા પાર્કિંગમાં અને ઉપરના માળે પહોંચી ગઈ હતી. ગ્રાઉન્ડ ફ્લોરથી આગ HR ફિટનેસ નામના જિમ સુધી પહોંચી ગઈ હતી. જિમમાં 25થી 30 લોકો ફસાયેલા હતા જે તમામ લોકોને ફાયરબ્રિગેડે સહી સલામત નીચે ઉતારી લેવાયા હતા.
બનાવની જાણ થતાં જ અમદાવાદ ફાયરબ્રિગેડની 20થી વધુ ગાડીઓ અને 50 અધિકારીઓએ ઘટનાસ્થળ પર પહોંચીને પાણીનો મારો ચલાવીને આગ કાબૂમાં લઈ લીધી હતી. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
આગને નજરે જોનાર સિદ્ધિ દેખાઈએ જણાવ્યું હતું કે શાંગરીલા-2 આર્કેડમાં બીજા માળે આવેલી ઓફિસમાં હું નોકરી કરું છું. હું જ્યારે અહીંયા આવી ત્યારે મારું વાહન પાર્ક જ કરવા જતી હતી ત્યારે મેં આગ જોઈ એટલે હું તરત જ સાઈડમાં જતી રહી અને ત્યારબાદ મારા ઓફિસના લોકોને જાણ કરી કે આગ લાગી છે ત્યાં સુધીમાં તો આગ ખૂબ જ વધારે ફેલાઈ ગઈ હતી. બીજા બધા લોકોના વાહનો ખેંચી સાઈડમાં કર્યા હતા, પરંતુ આગ વધારે ફેલાઈ ગઈ અને ત્યારબાદ ફાયરબ્રિગેડ તેમજ પોલીસને જાણ કરતા પોલીસ સહિત પર ફાયરબ્રિગેડની ટીમ પહોંચી હતી.
આગ કાબૂમાં આવી ગયા બાદ શ્યામલ ચાર રસ્તાથી પ્રહલાદનગર તરફ જવાનો રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. પોલીસ અને એફએસએલ દ્વારા હાલમાં આગ લાગવાના કારણ અંગે તપાસ કરવામાં આવશે. શ્યામલ ચાર રસ્તા પાસે શાંગરીલા-2 આર્કેડને ખાલી કરાવી દેવાયું છે. જ્યાં સુધી કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી કોમ્પ્લેક્સ બંધ રાખવામાં આવશે.


