રાજકોટવાસીઓ હનુમાનજીના વિશ્વરૂપમના દર્શન કરશે
આકૃતિ આર્ટ ગ્રુપ દ્વારા તા.૮, ૯ અને ૧૦ આર્ટ ગેલેરીમાં સંકટ મોચન આર્ટ એકઝીબિશનનું આયોજન
૧૦૦થ્ વધુ કલાકારો હનુમાનજીના જીવન દર્શનને કેનવાસમાં જીવંત કરશે : શનિવારે દાદાનો ડાયરો : ‘અગ્ર ગુજરાત’ની મુલાકાતે આવેલા આયોજકો
અગ્ર ગુજરાત, રાજકોટ
અંજનીપુત્ર સહિતના અસંખ્ય વિશેષણોના આધિ પતિ હનુમાનજી મહારાજના જીવન દર્શનને જીવંત કરતાં ચિત્રોના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટવાસીઓ હનુમાનજી દાદાના વિશ્વરૂપમના દર્શન કરી શકશે. તા.૮, ૯ અને ૧૦ સુધી ડો.શ્યામા પ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરીમાં આકૃતિ આર્ટ ગ્રુપ દ્વારા સંકટ મોચન આર્ટ એકઝીબિશનનું આયોજન કરવામાં આવ્યું છે.
‘અગ્ર ગુજરાત’ની મુલાકાતે આવેલા આયોજકોએ જણાવ્યું હતું કે સનાતન ધર્મની સંસ્કૃતિ ઉજાગર થાય અને નવી પેઢીને હનુમાનજીના જીવનના અમુલ્ય ક્ષણોના દર્શન થાય તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હનુમાનજીના જીવનના વિવિધ પ્રસંગો અને રાજકોટ સહિતના મંદિરોમાં હનુમાનજીના વિવિધ સ્વરૂપોની મૂર્તિને કેનવાસમાં કંડારવામાં આવશે. જેને નીહાળી રાજકોટ સહિતના લોકોના ધન્યતા અનુભવશે અને નવી પેઢીને પણ તેમના વિશે જાણકારી મળશે. વધુમાં જણાવ્યું હતું કે શનિવારે રાત્રે ૯ થી ૧૨ દાદાનો ડાયરો યોજાશે. જેમાં નામાંકિત કલાકારો દ્વારા રામધૂન, હનુમાન ચાલીસા સહિતના પાઠોનું પઠન કરવામાં આવશે.
આકૃતિ આર્ટ ગ્રુપ દ્વારા રાજકોટની ધર્મપ્રેમી અને કલાપ્રેમી જનતા માટે ફરી એકવાર એક વિશેષ અને આધ્યાત્મિક કલાપ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે – “સંકટમોચન આર્ટ એક્ઝિબિશન” આ અનોખા પ્રદર્શનમા ભગવાન શ્રી હનુમાનજીની ભક્તિભાવ, શક્તિ અને સમર્પણને વિવિધ કલાકારો દ્વારા કલાત્મક સ્વરૂપમાં રજૂ કરવામાં આવશે. પ્રદર્શનની દરેક કૃતિમાં ભક્તિનો ભાવ, આધ્યાત્મિક ઊર્જા અને ભારતીય સંસ્કૃતિની ઝલક અનુભવી શકાશે.
આ પ્રદર્શનમાં વિવિધ કલાનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમ કે કેનવાસ પેઇન્ટિંગ, ઓઇલ પેઇન્ટિંગ, ક્રોશે (Crochet), લિપ્પન આર્ટ, સ્કલ્ચર, ફેબ્રિક પેઇન્ટિંગ, સ્કેચ, પોર્ટ્રેટ તેમજ અનેક અન્ય સર્જનાત્મક કૃતિઓ, જે દર્શકોને વૈવિધ્યસભર અને અનોખો કલાનો અનુભવ આપશે.
આ પ્રદર્શનનો મુખ્ય હેતુ ભક્તિ અને કલાના સમન્વય દ્વારા લોકોને આધ્યાત્મિક અનુભવ આપવાનો છે. અહીં દર્શાવવામાં આવનાર કૃતિઓ દર્શકોને ભક્તિના રંગમાં રંગી દેશે અને હનુમાનજી પ્રત્યેની શ્રદ્ધાને વધુ મજબૂત બનાવશે. આકૃતિ આર્ટ ગ્રુપ દ્વારા આયોજિત આ પ્રદર્શનમાં શહેરના ઉભરતા કલાકારો ભાગ લેશે અને તેમની અનોખી કલ્પનાઓ દ્વારા કલા અને ભક્તિનું સુંદર પ્રદર્શન કરશે.
‘અગ્ર ગુજરાત’ની મુલાકાતે આવેલા આરતી બાવીશી, દર્શન સોલંકી, યાજ્ઞિક સોંડાગર, હેતાંશ રાઠોડ, દિનાઝ મીર, દ્રષ્ટિ પરમાર, નિયતી ચાવડા, શુભમ જાવિયા, ધારા ચૌહાણ, અર્શનાઝ મીર, ઈશા કીચડીયા, જીયા નાગર, રીયા ડોબરિયાએ અંતમાં જણાવ્યું છે.


