આજે વિશ્વ થેલેસેમિયા દિવસ
થેલેસેમિયા માઇનોર દંપતિના બાળકને મેજર થવાનું જોખમ અનેકગણુ વધુ
જીવન માટે સંઘર્ષ કરતા દર્દીઓને રક્તદાન થકી મદદરૂપ થવાનો સાદ
‘હવે છૂપાવો નહીં: નિદાન વિહોણાને શોધો, વણઓળખાયેલાને સહારો આપો’ની થીમ સાથે સંદેશ અપાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
થેલેસેમિયા એ લોહીનો વારસાગત રોગ છે. થેલેસેમિયા પ્રત્યે જાગૃતિ લાવવા અને થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓને મદદરૂપ થવાના ઉદ્દેશ્યથી થેલેસેમિયા ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા ૮ મેના રોજ ‘વિશ્વ થેલેસેમિયા દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષની થીમ છે ‘હવે છૂપાવો નહીં: નિદાન વિહોણાને શોધો, વણઓળખાયેલાને સહારો આપો’ (“Hidden No More: Finding the Undiagnosed. Supporting the Unseen”).
આ થીમનો મુખ્ય ઉદ્દેશ્ય એવા લોકોને શોધવાનો છે જેમને હજુ સુધી પોતાની બીમારીની જાણ નથી અને જેઓ આ બીમારી સાથે લડી રહ્યા છે, છતાં લોકોની નજરમાં નથી આવ્યા તેમને મદદ પૂરી પાડવાનો છે.
નોંધનીય છે કે, વિશ્વ થેલેસેમિયા દિવસ એ આ રોગ વિશે દુનિયાભરમાં જાગૃતિ લાવવા માટેનું એક મુખ્ય અભિયાન છે. આ દિવસ વિશ્વભરના થેલેસેમિયાના દર્દીઓ અને તેમના પરિવારોની હિંમત, ગૌરવ અને તેમની એકતાને સન્માન આપવા માટે સમર્પિત છે.
જ્યારે બે ‘થેલેસેમિયા માઈનોર’ વ્યક્તિઓ લગ્નગ્રંથિથી જોડાય છે, ત્યારે તેમના સંતાનને ‘થેલેસેમિયા મેજર’ થવાનું જોખમ અનેકગણું વધી જાય છે. વિજ્ઞાનની પ્રગતિ છતાં સામાજિક જાગૃતિ જ આ રોગને નાબૂદ કરવાનું શક્તિશાળી શસ્ત્ર છે. થેલેસેમિયાના મુખ્ય બે પ્રકાર છે: માઈનોર અને મેજર. માઈનોર થેલેસેમિયા ધરાવતી વ્યક્તિઓ લગભગ સ્વસ્થ જીવન જીવે છે, જ્યારે મેજર થેલેસેમિયા ધરાવતા દર્દીઓને સમયાંતરે લોહી ચઢાવવું પડે છે.
આપણા લોહીમાં શ્વેત રક્તકણો (WBC) અને લાલ રક્તકણો (RBC) હોય છે. શ્વેત રક્તકણો આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે, જ્યારે લાલ રક્તકણો શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર જાળવી રાખે છે. પરંતુ થેલેસેમિયાના દર્દીના શરીરમાં લાલ રક્તકણો શરીરને જોઈએ તેવી ઝડપે ઉત્પન્ન થતા નથી.
આરોગ્ય નિષ્ણાતોના મતે, થેલેસેમિયા મુક્ત સમાજ બનાવવા માટે લગ્ન પૂર્વની લોહીની તપાસ અત્યંત આવશ્યક છે. આથી, ‘હિમોગ્લોબિન ઈલેક્ટ્રોફોરેસિસ’ જેવી તબીબી તપાસને પ્રાધાન્ય આપવું જોઈએ. હિમોગ્લોબિન ઇલેક્ટ્રોફોરેસિસ ટેસ્ટ એ એક મહત્વપૂર્ણ નિદાન સાધન છે, જેનો ઉપયોગ લોહીમાં વિવિધ પ્રકારના હિમોગ્લોબિનને ઓળખવા અને તેનું મૂલ્યાંકન કરવા માટે થાય છે. ગર્ભાવસ્થાના શરૂઆતના અઠવાડિયામાં જ ‘કોરિઓનિક વિલસ સેમ્પલિંગ’ (CVS) દ્વારા બાળક થેલેસેમિક છે કે નહીં તે જાણી શકાય છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના ભગીરથ પ્રયત્નોના કારણે આ અતિગંભીર આનુવંશિક રોગની નાબૂદી માટે ગુજરાત સમગ્ર દેશમાં રોલ મોડલ બન્યું છે. ‘રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ’ (RBSK) હેઠળ સરકાર શાળાઓ અને આંગણવાડીઓમાં બાળકોનું હેલ્થ સ્ક્રીનિંગ કરે છે. ‘પ્રી-મેરિટલ’ (લગ્ન પૂર્વે) અને ‘પ્રી-નેટલ’ (ગર્ભાવસ્થા દરમિયાન) ટેસ્ટિંગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
જાગૃત નાગરિક તરીકે આપણે ‘સાવચેતી’ને સંસ્કાર બનાવીશું, તો જ આવનારી પેઢીને ‘થેલેસેમિયા મુક્ત વિશ્વ’ની ભેટ આપી શકીશું. ત્યારે આજના ‘વિશ્વ થેલેસેમિયા દિવસ’ નિમિત્તે થેલેસેમિયાના દર્દીઓ માટે અત્યંત જરૂરી રક્તદાન કરવા તથા જનજાગૃતિ થકી થેલેસેમિયામુક્ત ગુજરાતના નિર્માણ માટે પ્રત્યેક નાગરિક સંકલ્પબદ્ધ બને તે જરૂરી છે.


