ઇંધણના નવા ધોરણો જાહેર, પેટ્રોલમાં 3૦ ટકા સુધી ઇથેનોલ ભેળવવાની મંજૂરી
મિડલ ઇસ્ટના તણાવની ભારત પર અસર પડતા સરકારની મંજૂરી
અગ્ર ગુજરાત, અમદાવાદ
પશ્ચિમ એશિયામાં ઈરાન-અમેરિકા-ઈઝરાયેલ વચ્ચેના તણાવની ભારત પર ઊંડી અસર પડી છે. દેશમાં ડીઝલ-પેટ્રોલની ભારે અછત વચ્ચે, ભારત સરકાર હવે ક્રૂડ ઓઈલની આયાત ઘટાડવા અને પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ વધારવાની દિશામાં ઝડપથી કામ કરી રહી છે. આ અંતર્ગત, હવે ભારતમાં પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ હાલના ૨૦ ટકાથી વધારીને ૩૦ ટકા કરવાની મંજૂરી મળી ગઈ છે.
દેશમાં હાલમાં ઈ20 (૨૦ ટકા ઇથેનોલ યુક્ત) ફ્યુઅલ લાગુ કરવામાં આવી રહ્યું છે, પરંતુ હવે સરકાર ઈ22 થી લઈને ઈ30 સુધીના નવા ફ્યુઅલ બ્લેન્ડની તૈયારીમાં લાગી ગઈ છે. સરકારના આ પગલાથી સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે કે ભારત હવે વિદેશી ક્રૂડ ઓઈલ પરની પોતાની નિર્ભરતા ઘટાડવા માંગે છે. તાજેતરમાં ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના કારણે ક્રૂડ ઓઈલના ભાવ આસમાને આંબી રહ્યા છે અને તેની સપ્લાય પર પણ મોટું સંકટ ઊભું થયું છે. આ વધતા તણાવ અને કિંમતોમાં સતત ઉતાર-ચઢાવને કારણે ઊર્જા સુરક્ષા દેશ માટે એક મોટી ચિંતા બની ગઈ હોવાથી સરકાર લાંબા ગાળાની યોજના પર કામ કરી રહી છે.
કેન્દ્ર સરકારના આ લક્ષ્યને ધ્યાનમાં રાખીને બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ(બીઆઈએસ)એ પેટ્રોલમાં ૨૨ ટકાથી લઈને ૩૦ ટકા સુધી ઇથેનોલ બ્લેન્ડિંગ માટે ઈ22, ઈ25, ઈ27 અને ઈ30 ઇંધણના નવા ધોરણો જારી કરી દીધા છે. અહેવાલો અનુસાર, બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સેના નવા જાહેરનામામાં ઈ30 ઇંધણને દેશભરમાં તાત્કાલિક ફરજિયાત કરવામાં આવ્યું નથી, પરંતુ બજારમાં આ પ્રકારનું મિશ્રણ લાવવા માટે જરૂરી તકનીકી માપદંડો નિર્ધારિત કરવામાં આવ્યા છે. હાલમાં ભારત વિશ્વમાં ક્રૂડ ઓઈલનો એક મોટો આયાતકાર દેશ છે.


