જેતપુરમાં બંધ મકાનમાંથી રૂ. ૧.૫૭ લાખની રોકડની ચોરી: અજાણ્યા તસ્કર સામે ગુનો
સાડા ત્રણ કલાક માટે જૂનાગઢ ગયા અને નિશાચરોએ ખાતર પાડ્યું
અગ્ર ગુજરાત, જેતપુર
જેતપુરના ધોરાજી રોડ પર આવેલ રણછોડ નગર વિસ્તારમાં એક બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યો ચોર ઇસમ કબાટ અને પર્સમાંથી કુલ રૂપીયા ૧,૫૭,૦૦૦/- ની રોકડ રકમ ચોરી કરી નાસી છૂટ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ અંગે જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, જેતપુરના ધોરાજી રોડ પર આવેલ રણછોડ નગરમાં રહેતા અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય (પેટા કોન્ટ્રાક્ટ) સાથે સંકળાયેલા કિરણભાઈ વશરામભાઈ ચૌહાણ (ઉ.વ. ૪૦) એ આ મામલે ફરિયાદ નોંધાવી છે. ગત તારીખ ૧૭/૦૫/૨૦૨૬ ના રોજ સાંજે આશરે ૦૮:૩૦ વાગ્યે કિરણભાઈ તેમના પત્ની અને બાળકો સાથે જુનાગઢ ગયા હતા અને તે જ રાત્રે ૧૨:૦૦ વાગ્યાની આસપાસ પરત ફર્યા હતા. આ સાડા ત્રણ કલાકના સમયગાળા દરમિયાન તેમનું મકાન બંધ હતું. હાલ તેમના મકાનનું બાંધકામ ચાલુ હોવાથી કબાટો હજુ ફિટ કરવાના બાકી હતા અને ખુલ્લા હતા.
ચોરીની આ ઘટનાની જાણ પરિવારને તાત્કાલિક થઈ ન હતી. ગત તારીખ ૧૯/૦૫/૨૦૨૬ ના રોજ સાંજે ફરિયાદી કિરણભાઈ જ્યારે સરદાર ચોક પાસે પોતાની સાઇડ પર હતા, ત્યારે તેમની પત્ની આરતીબેનનો ફોન આવ્યો હતો કે ખાટલાના પાયા પર ટીંગાડેલા તેમના પર્સમાંથી રૂ. ૭,૦૦૦/- ગાયબ છે. પત્નીની વાત સાંભળી કિરણભાઈને શંકા જતાં તેમણે ઘરમાં ખુલ્લા કબાટમાં રાખેલા ધંધાના રોકડા રૂપીયા ચેક કરવા જણાવ્યું હતું. તપાસ કરતા કબાટના બોક્સમાં રાખેલા રૂપીયા ૧,૫૦,૦૦૦/- પણ ગાયબ જણાયા હતા.
પરિવારે પોતાની રીતે તપાસ કર્યા બાદ આખરે તારીખ ૨૧/૦૫/૨૦૨૬ ના રોજ જેતપુર ઉદ્યોગનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૩૦૫(એ) અને ૩૩૧(૪) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


