ગીરના જંગલમાંથી બેબેસિયાના કાળા ઓછાયામાંથી 11 સિંહોને નવજીવન મળ્યું
વનતારા અને વન વિભાગના સહિયારા પ્રયાસે સિંહોના કાળને હરાવ્યો: DCF વિકાસ યાદવ
17માંથી 11 સિંહો મુક્ત, 6 હજુ સારવાર હેઠળ ટૂંક સમયમાં જંગલમાં ગર્જના કરશે
અગ્ર ગુજરાત, ઉના
છેલ્લા 15 દિવસથી ગીરના જંગલમાં મોતનું તાંડવ મચાવનાર બેબેસિયા અને CVD વાયરસના ભયાનક ભરડામાંથી રાહતના સમાચાર સામે આવ્યા છે. એનિમલ કેર સેન્ટરમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા 17 સિંહોમાંથી 11 સિંહોને નવજીવન મળ્યું છે અને તેમને ફરી ગીરના ગીચ જંગલોમાં મુક્ત કરવામાંઆવ્યા છે. બાકીના 2 નર, 1 માદા અને 3 સિંહબાળ હજુ સારવાર હેઠળ છે, જેમની તબિયતમાં પણ ઝડપથી સુધારો થઈ રહ્યો છે.
ગીર પશ્ચિમ રેન્જની બાબરીયા અને પૂર્વની જસાધાર રેન્જમાં છેલ્લા પખવાડિયાથી સિંહોમાં બેબેસિયા અને CVD વાયરસની દહેશત ફેલાઈ હતી. બેબેસિયાના અજગરી ભરડામાં આવી જતાં અંદાજે 12 સિંહોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. એક પછી એક સિંહના મૃતદેહ મળતાં ગીરની ધરતી કંપી ઉઠી હતી અને આ ગોઝારી ઘટનાના પડઘા છેક દિલ્હી દરબાર સુધી પહોંચ્યા હતા.પરિસ્થિતિની ગંભીરતા જોતાં રાજ્યના વન મંત્રી તાત્કાલિક જામવાળા અનેજસાધાર એનિમલ કેર સેન્ટર પર દોડી આવ્યા હતા અને સ્થળ પર જ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
આ મહાઅભિયાનમાં જામનગર સ્થિત ‘વનતારા’ની નિષ્ણાત ટીમ, સાસણ સહિતના વેટરનિટી તબીબો, વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને બીટ ગાર્ડ સહિતનો સ્ટાફ દિવસ-રાત એક કરીને સિંહોની સારવાર અને મોનીટરીંગમાં જોડાઈ ગયો હતો. એક-એક સિંહના શ્વાસ પર નજર રાખી, ટીપે-ટીપે દવા આપી કાળના મુખમાંથી સિંહોને પાછા ખેંચી લાવવાનો જંગશરૂ થયો.
વન વિભાગ અને વનતારાની અથાગ મહેનત રંગ લાવી.જસાધાર એનિમલ કેર સેન્ટરમાંથી 4 સિંહોને અને જામવાળા એનિમલ કેર સેન્ટરમાંથી 7 સિંહોને સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ ગીરના ગીચ જંગલોમાં મુક્ત કરવામાં આવ્યા છે. મોતને હરાવીને ફરી જંગલમાં ગર્જના કરતા સિંહોને જોઈ વન વિભાગે રાહતનો શ્વાસ લીધો છે.હાલ જસાધારમાં 1 માદા અને 2 સિંહબાળ, જ્યારે જામવાળામાં 2 નર અને 1 સિંહબાળ સારવાર હેઠળ છે. કુલ 6 સિંહો હજુ ડોક્ટરોની દેખરેખ હેઠળ છે.
આ બાબતે ગીર પૂર્વ રેન્જના DCF વિકાસ યાદવ (ભા.વ.સે.) સાથે ટેલિફોનિક વાતચીત કરતાં તેમણે જણાવ્યું, જે 6 સિંહો સારવાર હેઠળ છે તેમની હાલત ઝડપથી સુધરી રહી છે.ટૂંક સમયમાં જ તેમને પણ જંગલમાં મુક્ત કરવામાં આવશે.હાલ પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે.વન વિભાગની તમામ રેન્જની ટીમો સિંહોનું 24×7 મોનીટરીંગ કરી રહી છે.હવે સિંહો ફરી જંગલમાં મુક્ત મને વિહરતા થઈ ગયા છે.
DCFએ ઉમેર્યું કે, વનતારા, વેટરનિટી ડોક્ટરો અને અમારા બીટ ગાર્ડથી લઈને અધિકારીઓ સુધીની ટીમે જે જહેમત ઉઠાવી છે તેના કારણે જ આજે આપણે 11 સિંહોને બચાવી શક્યા છીએ. આ સહિયારા પ્રયાસ નું પરિણામ છે.
ગીરમાં બેબેસિયાનો આતંક અને બચાવ કામગીરી
ગીર પૂર્વ-પશ્ચિમ રેન્જમાં બેબેસિયા અને CVD વાયરસની આશંકા મૃત્યુ છેલ્લા 15 દિવસમાં અંદાજે 12 સિંહોના મોત 17 સિંહોને આઇસોલેટ કરી સારવાર શરૂ કરાઈ. જસાધારમાં 7 જામવાળામાં 10 સિંહ વનતારા, સાસણના વેટરનિટી ડોક્ટરો, વન વિભાગના અધિકારીઓ, બીટ ગાર્ડ ની મહેનતે 11 સિંહો સંપૂર્ણ સ્વસ્થ થઈ જંગલમાં મુક્ત કર્યા અને 6 હજુ સારવાર હેઠળ. DCFના મતે પરિસ્થિતિ નિયંત્રણમાં સારવાર હેઠળના સિંહોની તબિયતમાં સુધારો હોવાનું જણાવ્યું ગીરના જંગલનો રાજા ફરી એકવાર મોતને હરાવીને પોતાના સામ્રાજ્યમાં પરત ફર્યો છે. 12 સિંહોના મોતના કલંક બાદ 11 સિંહોને બચાવવાની આ સફળતા વન વિભાગ અને વનતારાના યશમાં વધારો કરે છે. હવે રાહ એ વાતની છે કે સારવાર હેઠળના 6 સિંહો પણ ટૂંક સમયમાં ગીરની ધરતી પર ગર્જના કરતા જોવા મળે.


