મહીસાગર જિલ્લાની શાળાઓમાં બાળકોને શારીરિક શિક્ષા કે માનસિક ત્રાસ આપવા પર કલેક્ટરનો સંપૂર્ણ પ્રતિબંધ
રીપોર્ટ આસીફ લુણાવાડા
અગ્ર ગુજરાત, મહીસાગર
મહીસાગરની તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં શારીરિક દંડ પર રોક, નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે શિસ્તભંગના પગલાં લેવાશે
મહીસાગર જિલ્લાના કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ અર્પિત સાગર દ્વારા જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને અપાતી શારીરિક શિક્ષા કે માનસિક ત્રાસ પર તાત્કાલિક અસરથી સંપૂર્ણ પ્રતિબંધ મૂકતો મહત્વનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. જિલ્લાની તમામ સરકારી, અનુદાનિત અને બિન-અનુદાનિત શાળાઓના આચાર્યોને સંબોધીને જારી કરાયેલા આ સત્તાવાર પરિપત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે કોઈપણ સંજોગોમાં બાળકો સાથે અમાનવીય વર્તન ચલાવી લેવામાં આવશે નહીં. આ આદેશનો હેતુ શાળાઓમાં ભયમુક્ત વાતાવરણ ઊભું કરવાનો અને બાળકોના માનસિક તેમજ શારીરિક સ્વાસ્થ્યનું રક્ષણ કરવાનો છે.
આ આદેશમાં જણાવ્યા અનુસાર મહીસાગર જિલ્લામાં આવેલી તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, જેમાં જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓ તેમજ CBSE કે અન્ય કોઈ પણ બોર્ડ સાથે જોડાયેલી ખાનગી શાળાઓનો સમાવેશ થાય છે, ત્યાં કોઈ પણ બાળકને શાળાના શિક્ષક, આચાર્ય કે સંચાલક દ્વારા કોઈ પણ કારણસર શારીરિક કે માનસિક ત્રાસ આપી શકાશે નહીં. સરકારના શિક્ષણ વિભાગના વિવિધ ઠરાવો અને ‘બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ-૨૦૦૯’ (RTE) ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરનાર સંસ્થાઓ કે વ્યક્તિઓ સામે વહીવટી તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે.
જિલ્લા કલેક્ટર અર્પિત સાગરે વધુમાં જણાવ્યું છે કે આ જોગવાઈઓનો અમલ તમામ સંબંધિતોએ ચુસ્તપણે કરવાનો રહેશે. જો કોઈ પણ વ્યક્તિ દ્વારા આ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે અથવા તે અંગેની કોઈ ફરિયાદ મળશે અને તપાસમાં સત્યતા જણાશે, તો જવાબદાર વ્યક્તિ સામે પ્રવર્તમાન નિયમોનુસાર કડક શિસ્તભંગના પગલાં લેવામાં આવશે. આ બાબતની ગંભીર નોંધ લેવા માટે જિલ્લાના તમામ શાળા સંચાલકો, આચાર્યો અને શિક્ષકોને તાકીદ કરવામાં આવી છે.


