વનવિભાગની ગોળ-ખોળ નીતિ સામે વડાપ્રધાન-મુખ્યમંત્રી સુધી ફરિયાદ
ગીર વિસ્તારમાં ચાલતો વિવાદ દિલ્હી દરબારમાં પહોંચ્યો
માઇનિંગની મંજૂરી, સિંહોના મોત, ગેરકાયદે ધમધમતા રિસોર્ટ, હોટલ અને રાજભા ગઢવીને મળેલી મંજૂરી સહિતના મુદ્દે પર્યાવરણ વિદોએ મોરચો ખોલ્યો
વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર, નેચર કલબ, એડવોકેટે પીએમ-સીએમને પત્ર લખી ઉચ્ચકક્ષાની તપાસ કરવા માંગ
અગ્ર ગુજરાત, જૂનાગઢ
અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વ ડિવિઝન હેઠળના વિસ્તારોમાં કથિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને વિવાદાસ્પદ મંજૂરીઓને લઈને ગુજરાત રાજ્ય વન્યજીવન બોર્ડના વર્તમાન અને પૂર્વ સભ્યો તેમજ પર્યાવરણ પ્રેમીઓએ મોરચો માંડ્યો છે. ગીરના સંરક્ષણ બાબતે ચિંતા વ્યક્ત કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓને લેખિત પત્ર પાઠવી આ સમગ્ર મામલે નિષ્પક્ષ અને ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરવામાં આવી છે.
આ ગંભીર મુદ્દે અવાજ ઉઠાવનારાઓમાં સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફના પૂર્વ સભ્ય અને જાણીતા વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર ભૂષણ પંડ્યા, સ્નેહલ પટેલ – નેચર ક્લબ સુરત, એડવોકેટ રોહિત વ્યાસ, સી.ટી. રાણા, સુરેશ ભટ્ટ, સંજય કેલેયા અને રેવતુભા રાયજાદા સહિતના પર્યાવરણવિદો સામેલ છે. તેમણે ગીરમાં સિંહોના અસામાન્ય અને ચિંતાજનક અપમૃત્યુ તેમજ જંગલના હિતને નુકસાન પહોંચાડતા નિર્ણયો સામે સત્વરે સુધારાત્મક પગલાં લેવા અનુરોધ કર્યો છે.
વાઇલ્ડલાઇફ બોર્ડના પૂર્વ સભ્ય ભૂષણ પંડ્યાના જણાવ્યા અનુસાર, વન્યજીવ સંરક્ષણ ધારા હેઠળ દરેક સેન્ચ્યુરી અને નેશનલ પાર્ક માટે એક ‘મેનેજમેન્ટ પ્લાન’ હોય છે, જેને રાજ્યના ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન મંજૂરી આપે છે. આ પ્લાન એક કાયદાકીય દસ્તાવેજ છે, જેનું પાલન કરવું વન વિભાગના તમામ સ્ટાફ અને અધિકારીઓ માટે ફરજિયાત છે. પરંતુ, ધારી ગીર પૂર્વમાં રિસોર્ટ, માઇનિંગ અને માલધારીની સ્પેશિયલ પરમિશન આપવાના કિસ્સાઓમાં ગીર મેનેજમેન્ટ પ્લાન અને ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ (વન સંરક્ષણ ધારો) ના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થયું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ આવે છે.
સભ્યોએ પત્રમાં એ બાબતની પણ નોંધ લીધી છે કે ગીર અને સિંહોના સંરક્ષણ સંબંધિત કેટલાક મુદ્દાઓ હાલમાં ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલી જાહેર હિતની અરજીઓ સાથે સંકળાયેલા હોઈ શકે છે. તેથી, વન વિભાગ દ્વારા લેવાયેલા તમામ નિર્ણયોમાં કાયદાકીય અને પર્યાવરણીય પાસાઓનું કડક પાલન થાય તે અત્યંત અનિવાર્ય છે.
પર્યાવરણ વિદોએ ભાર મૂકેલા મુદ્દાઓ
1.બાબરકોટ રિઝર્વ ફોરેસ્ટમાં માઇનિંગની દરખાસ્ત
જાફરાબાદ તાલુકાના બાબરકોટ રિઝર્વ ફોરેસ્ટની અંદાજે 75 હેક્ટર જમીનને ખાણકામ માટે ડાયવર્ટ કરવાની દરખાસ્ત સામે સખત વિરોધ નોંધાવાયો છે. આ વિસ્તારમાં 5,500થી વધુ વૃક્ષો આવેલા છે, જે ખાણકામની મંજૂરી મળતાં જ કાપી નાખવામાં આવશે. આ વિસ્તાર 50થી વધુ સિંહો સહિત અનેક શેડ્યૂલ-1 વન્યજીવોનું કુદરતી રહેઠાણ છે અને તે ગીરના મહત્વપૂર્ણ ‘સિંહ કોરિડોર’ તરીકે ઓળખાય છે. ખાણકામથી વન્યજીવોનું રહેઠાણ છીનવાઈ જશે.
- લોક સાહિત્યકાર રાજભા ગઢવીને સ્પેશિયલ મંજૂરી અને માલધારીઓમાં રોષ
બીજો સૌથી મોટો વિવાદ જાણીતા લોક સાહિત્યકાર અને કલાકાર રાજભા ગઢવીને ગીરના લીલાપાણી વિસ્તારમાં માલધારી તરીકે આપવામાં આવેલી કથિત વિવાદાસ્પદ પરવાનગીનો છે. વર્ષ 2023માં તત્કાલીન વન અધિકારી દ્વારા જે અરજી નકારવામાં આવી હતી, તેને હવે મંજૂરી આપવામાં આવી છે. રજૂઆતકર્તાઓના જણાવ્યા મુજબ, સરકાર દ્વારા અગાઉ જ સાંથળી યોજના હેઠળ ચાંચાઈ ગામમાં જમીન ફાળવવામાં આવી હોવા છતાં આ મંજૂરી અપાઈ છે, જે ગીરના ઇકોસિસ્ટમ માટે જોખમી બની શકે છે. રાજભા ગઢવીને ‘સ્પેશિયલ કેસ’ તરીકે મંજૂરી મળતાં જ વર્ષોથી ગીર જંગલની બહાર વિસ્થાપિત થયેલા અન્ય જરૂરિયાતમંદ માલધારીઓમાં સરકાર અને વન વિભાગ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવતા માલધારી નાથાભાઈ બિજલભાઈએ જણાવ્યું કે, “અમારા બાપ-દાદા પાનવાળી નેસમાં રહેતા હતા અને તે સમયના એસટીના પાસ પણ અમારી પાસે છે. જમીન ફાળવણી વખતે અમને કોઈ જમીન મળી નથી. અમે અનેકવાર DFOને અરજીઓ કરી છે, પણ વન વિભાગ તરફથી હકારાત્મક નિર્ણય લેવાયો નથી. જો રાજભાને આવી મંજૂરી મળતી હોય, તો અમને પણ મળવી જોઈએ.”
- ખીચા ગામ પાસે ગેરકાયદેસર રિસોર્ટનું નિર્માણ
ધારી તાલુકાના ખીચા ગામમાં રિઝર્વ ફોરેસ્ટની બિલકુલ નજીક આવેલ ‘લિયોનેલ રિસોર્ટ’ ના મુદ્દે પણ સવાલો ઉઠ્યા છે. આરોપ છે કે રહેણાંક હેતુ માટે મંજૂર કરાયેલી જમીનનો ગેરકાયદેસર રીતે વ્યાપારી ઉપયોગ થઈ રહ્યો છે. આ રિસોર્ટને મળેલી વિવિધ સરકારી મંજૂરીઓ શંકાના દાયરામાં છે અને તેની તપાસ જરૂરી છે.
- સિંહોના અપમૃત્યુની ઘટનાઓ
છેલ્લા કેટલાક સમયથી ગીર નેશનલ પાર્ક, સેન્ચ્યુરી અને આજુબાજુના વિસ્તારોમાં એશિયાટિક સિંહોના અસામાન્ય મૃત્યુના બનાવો વધ્યા છે. ગીરમાં ફેલાતા વન્યજીવોના રોગચાળા સામે જેટલી ગંભીરતા દાખવવામાં આવે છે, તેટલી જ ગંભીરતા આ માનવસર્જિત અને વહીવટી પ્રશ્નો પર દાખવવાની માંગ કરાઈ છે.


