નોળિયો કરડવાથી મહિલાને હડકવા ઉપડયો, પાલનપુર સિવિલમાં દુલર્ભ કેસ
રાજસ્થાનના સિરોહી જિલ્લાનો કેસ આપતા તબીબો માટે પણ સંશોધનનો વિષય બન્યો
અગ્ર ગુજરાત, પાલનપુર
પાલનપુરની બનાસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલમાં એક અત્યંત દુર્લભ અને ચોંકાવનારો તબીબી કિસ્સો સામે આવ્યો છે. રાજસ્થાનના સિરોહી જિલ્લાના 45 વર્ષીય મહિલામાં નોળિયો કરડ્યાના દોઢ મહિના બાદ હડકવાના લક્ષણો જોવા મળતાં તબીબો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. હોસ્પિટલના ડોક્ટરોએ તપાસ બાદ મહિલાને હડકવા થયો હોવાનું નિદાન કર્યું છે.
માહિતી મુજબ, દોઢ મહિના અગાઉ મહિલાને નોળિયાએ કરડતાં તેઓ સારવાર માટે સ્થાનિક સરકારી હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાં તેમને હડકવા વિરોધી રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. જોકે ત્યારબાદના ડોઝ લેવા જતાં તેમને જણાવાયું હતું કે નોળિયાના કરડવાથી સામાન્ય રીતે હડકવા થતો નથી, તેથી બાકીના ડોઝ લેવાની જરૂર નથી. આ સલાહ બાદ મહિલાએ આગળની રસી લીધી નહોતી.
તાજેતરમાં મહિલામાં હડકવાના ગંભીર લક્ષણો દેખાવા લાગ્યા હતા. ખાસ કરીને તેમને હાઇડ્રોફોબિયા એટલે કે પાણીનો ભય જોવા મળ્યો હતો. પાણી સામે લાવતા જ તેઓ ગભરાઈ જતા હતા અને પાણી પીવામાં અસમર્થ બનતા હતા. આ લક્ષણોને આધારે પાલનપુરની બનાસ હોસ્પિટલમાં તબીબોએ તપાસ કરી અને હડકવા હોવાનું નિદાન કર્યું.
બનાસ મેડિકલ કોલેજ ખાતે અને જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે એક અજીબોગરીબ કિસ્સો હમણાં આવ્યો છે. રાજસ્થાનના સિરોહીના વતની 45 વર્ષીય ડાળીબેન ઉજાજી સરગડાને 17 જૂને દાખલ કરવામાં આવ્યાં છે. દોઢ મહિના અગાઉ એક નોળિયો એમને કરડી ગયો હતો. નોળિયો કરડ્યા પછી એ લોકો ત્યાંની સરકારી હોસ્પિટલમાં ગયા હશે, એ સરકારી હોસ્પિટલમાં એક એન્ટી રેબીસ વેક્સીન એટલે કે હડકવા વિરોધી રસીનો એક ડોઝ આપેલો હતો. ત્યારબાદ એ લોકો ફરી પાછા ગયા પણ એમને સ્થાનિક ડોક્ટરે એવું કહ્યું કે નોળિયાથી તો કોઈ દિવસ હડકવા લાગતો નથી એટલે તમે ઇન્જેક્શન નહીં લો તો ચાલશે. આથી બાકીના ઇન્જેક્શન ન લીધા.
આ મહિલામાં હડકવાના હાઇડ્રોફોબિયાના સિમ્પ્ટમ્સ છે. અમારા તબીબોએ હડકવાનું નિદાન કર્યું છે. નોળિયો કરડ્યો હોય અને હડકવા થયો હોય આવો કિસ્સો મારા જીવનમાં પહેલાં ક્યારેય જોયો નથી. પાણી એમની સામે ધરતા જ એકદમ ગભરાઈ જાય અને પાણી પી ન શકે ને આમ આમ તરફડિયા મારે એ જાતના સિમ્પ્ટમ્સ અત્યારે છે. અમારા તબીબોએ તપાસી અને નક્કી કર્યું છે કે આને હડકવા લાગી ગયો છે. અને આવો કિસ્સો મેં આજ સુધી મારી જિંદગીમાં ક્યારેય પણ જોયો નથી કે કોઈ નોળિયો કરડ્યો હોય અને કોઈને હડકવા લાગ્યો હોય.
જ્યારે હડકવા એકવાર લાગી જાય પછી તબીબી વિજ્ઞાન પાસે કોઈ પણ જાતની દવા અત્યાર સુધીમાં શોધાઈ નથી. એકવાર હડકવા લાગી ગયો એટલે મગજની અંદર નેગ્રી બોડી નામના બોડી પેદા થાય છે અને મગજ ઉપર અસર થવાથી ધીમે ધીમે માણસ મરી જાય છે. એટલે આ દર્દીને પણ બચવાની શક્યતા બિલકુલ નથી.


