‘જમીન અમારી, મનમાની નહીં ચાલે’: હાઈ-પાવર લાઇન સામે મોવિયાના ખેડૂતોનો રામધૂન સાથે રણકાર
એક દિવસના પ્રતીક ઉપવાસમાં ખેડૂતોનો અનોખો વિરોધ; રાજકીય નેતાઓને ‘નો એન્ટ્રી’ જાહેર કરી જમીન બચાવવાના સંઘર્ષને આપ્યો વધુ વેગ.
અગ્ર ગુજરાત, ગોંડલ
ગોંડલ પંથકમાં હાઇ-પાવર વીજ ટ્રાન્સમિશન લાઇનનો વિરોધ હવે વધુ ઉગ્ર બન્યો છે. તાલુકાના અનેક ગામોમાંથી પસાર થતી 400 KV અને 765 KVની ડબલ સર્કિટ વીજલાઇન સામે ખેડૂતો પોતાની કિંમતી જમીન બચાવવા માટે રસ્તા પર ઉતરી આવ્યા છે.
આ આક્રોશના ભાગરૂપે આજે ગોંડલના મોવિયા ગામે અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા એક દિવસના પ્રતીક ઉપવાસ આંદોલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોવિયા ગામના ગોવિંદ નગરમાં આવેલા શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિરના સાનિધ્યમાં સવારે 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી આ પ્રતીક ઉપવાસ યોજાયો. આ અનોખા આંદોલનની ખાસ વાત એ હતી કે, ઉપવાસ છાવણી પર “રાજકીય પદ ધરાવતા કોઈ પણ પાર્ટીના વ્યક્તિએ અહીં આવવું નહીં” તેવા બોર્ડ મારીને રાજકારણીઓને દૂર રાખવામાં આવ્યા હતા. ઉપવાસ દરમિયાન મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો સમર્થનમાં જોડાયા હતા અને વાતાવરણ રામધૂનથી ગુંજી ઉઠ્યું હતું. પરિસ્થિતિને જોતા ગોંડલ તાલુકા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
આ વિશાળ વીજલાઇન ગોંડલ તાલુકાના અંદાજે 24 જેટલા ગામોની જમીન પરથી પસાર થવાની છે, જેમાં આંબરડી, ખડવંથલી, બેટાવડ, હડમડિયા, ગરનાળા, અનીડા, ત્રાકુડા, ડૈયા, વેકરી, પાટીદળ, ચોરડી, જામવાળી, ગોમટા, વોરાકોટડા, બાંદ્રા, દેવચડી, મોવિયા, માંડણકુંડલા, કંતોલિયા, બિલડી, શિવરાજગઢ, બંધિયા, શ્રીનાથગઢ અને કમરકોટડાનો સમાવેશ થાય છે.
ખેડૂત આગેવાન રાજુ સખીયાએ જણાવ્યું હતું કે કાલાવડ ખંઢેરાથી ગીર સોમનાથ જતી આ લાઇનના સંદર્ભમાં ખેડૂતોને યોગ્ય વળતર અંગે કોઈ દિશાનિર્દેશ આપવામાં આવ્યા નથી. જંત્રી મુજબની અમારી માંગણીઓ પર સરકારે કોઈ સ્પષ્ટતા કરી નથી. અત્યારે ખરીફ પાકનો વાવણીનો કિંમતી સમય છે, ત્યારે જ કંપની પ્રાઇવેટ અને સરકારી પોલીસને સાથે રાખી, ખેડૂતો પર દાબ-દબાણ લાવીને થાંભલા નાખવાનું કામ કરી રહી છે. અમે કલેક્ટર કચેરીથી સર્વેના કાગળો માંગ્યા છે જે હજુ સુધી અપાયા નથી. જે લાઇન કાલાવડથી ગીર સોમનાથ સીધી જવાની હતી, તેને વાંકાચૂકા લાંબા વળાંકો આપીને ખેડૂતોને બરબાદ કરવા માટે અહીં લાવવામાં આવી છે. અમે આના વૈકલ્પિક રૂટની માંગ કરીએ છીએ. જો કંપની પાવરનું વેપારીકરણ કરતી હોય તો ખેડૂતોને હિસ્સો આપે, તારનું યોગ્ય વળતર આપે અને એડવાન્સ માસિક ભાડું ચૂકવે. સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશોનું મિસઇન્ટરપ્રિટેશન કરીને થાંભલા ઊભા કરાઈ રહ્યા છે. અમારી માંગ છે કે પોલ દીઠ રૂ.2 કરોડ અને રૂ. 50,000 માસિક ભાડું ચૂકવવામાં આવે.
ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર અને કંપની તેમની માંગણીઓ પ્રત્યે મૌન સેવાશે, તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની રણનીતિ આ જ છાવણીમાંથી નક્કી કરીને સરકાર સામે લડત લંબાવવામાં આવશે.


