મોરબી રોડનો ક્રેઝ વધ્યો, સૌથી વધારે ૧૭૮૮ દસ્તાવેજ
રાજકોટમાં જૂન મહિનામાં ૧૪૦૪૧ મિલકતોની નોંધણી : સરકારી તિજોરીમાં ઠલવાયા રૂ.૮3.3૯ કરોડ : મોરબી રોડને એઇમ્સ, એરપોર્ટ, નવી કોર્ટનો ફાયદો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં રિયલ એસ્ટેટમાં તેજી જોવા મળી રહી છે. જૂન મહિનામાં ૧૪૦૪૧ મિલકત ખરીદીની નોંધણી થઇ છે. જેમાં ફરી વખત મોરબી રોડ મોખરે છે. મોરબી રોડ પર રોકાણકારો દ્વારા સૌથી વધારે મિલકત ખરીદવામાં આવી છે. મોરબી રોડ પર હાલ સૌથી વધારે ડેવલોપીંગ થઇ રહ્યું છે. એરપોર્ટ, એઇમ્સ, નવી કોર્ટ, અટલ સરોવર સહિતની મહત્વની સુવિધાઓ નજીકમાં જ ડેવલોપ થતાં રોકાણકારો મોરબી રોડ તરફ વધ્યાં છે.
વિશ્વમાં મંદીનું મોજું ફરી વળ્યું છે પરંતુ રાજકોટ રિયલ એસ્ટેટમાં મંદી જેવું કશુ નથી. રાજકોટ શહેર અને જિલ્લાની સબ રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણીમાં ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે જૂન મહિનામાન ૧૮ સબ રજીસ્ટ્રાર કચેરીમાં કુલ ૧૪૦૪૧ દસ્તાવેજો નોંધાયા હતા જેના કારણે રાજ્ય સરકારની તિજોરીમાં ૮૩.૩૯ કરોડની આવક થઇ છે. આ વખતે પણ દસ્તાવેજ નોંધણીમાં સૌથી વધુ મોરબી રોડ પર નોંધાયા છે.
રાજકોટ શહેરમાં છેલ્લા પાંચ વર્ષથી વિકાસ ગાંડો થયો છે. સમગ્ર વિશ્વમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ રાજકોટ રિયલ એસ્ટેટમાં મંદીના બદલે ફુલ તેજીનો માહોલ વર્તાઇ રહ્યો છે.
રાજકોટ શહેરની આઠ અને જિલ્લાની ૧૦ સબ રજીસ્ટ્રાર કચેરીમાં જૂન મહિનામાં પણ દસ્તાવેજ નોંધાવવા માટે ભારે ધસારો જોવા મળ્યો હતો જેમાં મોરબી રોડ તેમજ રતનપર સબ રજીસ્ટ્રાર કચેરીમાં તો વેઇટીંગ જોવા મળ્યું હતું.
રાજકોટ શહેર-જિલ્લામાં એક મહિનામાં ૧૪૦૪૧ દસ્તાવેજો નોંધાયા છે. જેના કારણે રાજ્ય સરકારને ફી પેટે ૧૧,૭૫,૧૮,૭૬૭ અને સ્ટેમ્પ ડ્યયુટી પેટે ૭૧,૬૪,૭૭,૩૪૩ની આવક થઇ છે. આમ, એક જ મહિનામાં સરકારની તિજોરીમાં ૮૩,૩૯,૯૬,૧૧૦ રૂપિયાની આવક થઇ છે.
દર વખતની માફક આ વખતે પણ મોરબી રોડ પર સૌથી વધુ ૧૭૮૮ દસ્તાવેજ નોંધાયા હતા. જ્યારે બીજા ક્રમે મવડી સબ રજીસ્ટ્રાર કચેરીમાં ૧૨૮૯, ત્રીજા ક્રમે ગોંડલ સબ રજીસ્ટ્રાર કચેરીમાં ૧૨૬૯, ચોથા ક્રમે રતનપર સબ રજીસ્ટ્રાર કચેરીમાં ૧૧૭૬ અને પાંચમાં ક્રમે રૈયા સબ રજીસ્ટ્રાર કચેરીમાં ૧૦૨૯ દસ્તાવેજો નોંધાયા છે. જ્યારે સૌથી ઓછા વિંછીયા સબ રજીસ્ટ્રાર કચેરીમાં એક માસમાં માત્ર ૪૮૫ દસ્તાવેજની નોંધણી થઇ છે.
દસ્તાવેજમાં મોબાઇલ અને ઇમેલ ફરજીયાત થાય તો આસામીઓને મળશે ફાયદો : એડવોકેટ જયભારત ધામેચા
આજના આધુનિક અને ડિજિટલ યુગમાં જો મિલકતના ખરીદ-વેચાણ સમયે જ તંત્ર અને જનતા બંનેના હિત માટે એક નાનકડો વ્યવહારૂ સુધારો કરવામાં આવે, તો આ સમસ્યા ખૂબ જ સરળતાથી હલ થઈ શકે તેમ છે. આ અંગે એક શ્રેષ્ઠ અને સકારાત્મક સૂચન એ છે કે જ્યારે પણ કોઈ જમીન કે કે પ્લોટનો દસ્તાવેજ સબ-રજિસ્ટ્રાર કચેરીમાં નોંધવામાં આવે, ત્યારે જ ખરીદનાર નાગરિકનું સંપૂર્ણ ફિઝિકલ સરનામું તો હોય જ, પરંતુ તેની સાથે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે તેનો ચાલુ
મોબાઈલ નંબર તથા ઈમેલ આઈડી પણ દસ્તાવેજમાં સત્તાવાર રીતે નોંધવાની પદ્ધતિ ફરજિયાત કરવી જોઈએ. જો આ ડિજિટલ વિગતો દસ્તાવેજ અને સરકારી રેવન્યુ રેકોર્ડના ઓનલાઈન પોર્ટલ પર ઉપલબ્ધ હોય, તો ફિઝિકલ સરનામે નોટિસ ન પહોંચવાના કિસ્સામાં, કોઈપણ સરકારી કે અર્ધ-સરકારી તંત્ર પ્લોટ માલિકનો ઈમેલ કે મોબાઈલ નંબર દ્વારા સહેલાઈથી સીધો સંપર્ક સાધી શકે છે. આનાથી તંત્ર પણ પોતાની પૂર્વ સૂચના ડિજિટલ માધ્યમથી સીધી અને ઝડપથી માલિક સુધી પહોંચાડી શકે છે અને પ્રોપર્ટી ધારક પણ સમયસર પોતાની રજૂઆત કે સંમતિ આપી શકે છે. જો દસ્તાવેજમાં જ આ આખી ડિજિટલ વિગત સ્પષ્ટ હશે, તો મિલકત માલિક અને તંત્ર બંને વચ્ચે એક આદર્શ તાલમેલ જળવાઈ રહેશે અને પૂર્વ સૂચના વગર થતી કામગીરીના વિવાદો પર કાયમી બ્રેક લાગી જશે.


